Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

એમેઝોનના અધિકારીની ધરપકડ પર સુપ્રીમ કોર્ટે ની રોક

ધાર્મિક લાગણી દુભાવતા દ્રશ્યોને લઈને વેબ સિરિઝનો વિવાદ : અપર્ણાની આગોતરા જામીન અરજી પર કોર્ટે નોટિસ આપી, મામલાની તપાસમાં સહયોગ આપવો પડશે

નવી દિલ્હી, તા.૫ : વેબ સિરિઝ તાંડવના ધાર્મિક લાગણી દુભવતા દ્રશ્યોને લઈને જાગેલા વિવાદમાં એમેઝોન પ્રાઈમના અધિકારી અપર્ણા પુરોહિતને સુપ્રીમ કોર્ટે રાહત આપી છે.અપર્ણા પુરોહિતની ધરપકડ કરવા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે. જોકે તેમણે આ મામલાની તપાસમાં સહયોગ આપવો પડશે. અપર્ણાની આગોતરા જામીન અરજી પર કોર્ટે નોટિસ આપી છે.

તાંડવ વેબ સિરિઝ સામે લખનૌમાં નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ અપર્ણા પુરોહિતે ધરપકડ પર રોક લગાવવા માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. જેના કારણે હવે એમેઝોન પ્રાઈમના અધિકારીની ધરપકડ પર રોક લાગી છે. ઉલ્લેખનીય છે કે, તાંડવ વેબ સિરિઝમાં ભગવાન રામ અને ભગવાન શિવની મજાક ઉડાવતા દ્રશ્યોને સામેલ કર્યા બાદ લોકોમાં રોષ ભડકી ઉઠ્યો હતો.

દરમિયાન કેન્દ્ર સરકારે તાજેતરમાં ઓટીટી પ્લેટફોર્મ માટે જે નિયમો બનાવ્યા છે તેના પર પણ સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે, આ નિયમોમાં દંડ ફટકારવાના કે કેસ ચલાવવા જેવી જોગવાઈઓ છે નહી. કોઈ યોગ્ય કાયદો બનાવ્યા વગર ઓટીટી પ્લેટફોર્મ પરની સામગ્રીનુ નિયંત્રણ કરવુ મુશ્કેલ છે.

કોર્ટની ટિપ્પણીના જવાબમાં સરકાર તરફથી ખાતરી આપવામાં આવી હતી કે, પ્રસ્તાવિત કાયદાને બે સપ્તાહમાં કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.

(7:44 pm IST)