Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

જો કલાસ ૮૦-સી હેઠળના લાભ લેવા હોય તો રિટર્ન ૩૧ જુલાઇ પહેલા ભરવુ પડશે

જો સમયસર રિટર્ન ફાઇલ નહિ કરો તો લાભ બંધ

નવી દિલ્હી તા.૫, નાણામંત્રી અરૂણ જેટલીએ બજેટમાં એક એવી જોગવાઇ કરી છે જે કરદાતાઓને મોટો ફટકો પાડી શકે છે. બજેટને ઝીણવટભરી નજરે જોઇએ તો એક મહત્વની જોગવાઇ પર ધ્યાન જાય છે. જો તમારે કલમ ૮૦-સી હેઠળના લાભ લેવા હોયતો ટેકસ રીટર્ન નિયત તારીખ ૩૧ જુલાઇ પહેલા ભરી દેજો. બજેટમાં એવી જોગવાઇ કરવામાં આવે છે. કે તમે નિયત તારીખ સુધીમાં રીટર્ન નહિ ભરો તો ચેપ્ટર વીઆઇએ હેઠળ કરમુકત તમામ આવક કરપાત્ર ગણાશે.

ઉલ્લેખનીય છે કે ચેપ્ટર વીઆઇએ હેઠળ કરદાતા કલમ ૮૦ સી, ડી, ડીડીબી, ઇ,  જી,  જીજી,  યુ,  ટીટીએ, અંતગર્ત અનેક  રોકાણો કે ખર્ચ પર કરમુકિત મેળવી શકે છે. જેમાં બચત ખાતા પરનું રૂ.૧૦,૦૦૦  સુધીનું વ્યાજ એલઆઇસી, મેડીકલ ઇન્શ્યોરસ, ઉચ્ચ શૈક્ષણિક લોન, એચઆરએ હાઉસીંગ લોન મુદ્દલ, ટયુશન ફિ વગેરેનો સમાવેશ થાય છે.

 વ્યકિતગત કે કોર્પોરેટ એમ બંને પ્રકારના કરદાતાઓ માટે આ નિયમ લાગુ પડશે એમ બજેટમાં જણાવવામાં આવ્યું છે. કેટલાક કિસ્સામાં આ પેનલ્ટી જોગવાઇ હાલમાં લાગુ જ છે. હવે તેમાં કલમ ૮૦ હેઠળની કરમુકિતઓને પણ આવરી લેવામાં આવી છે. આ નિયમ લાવવા પાછળ સરકારનો આશય વહેલી તકે તિજોરી ભરવાનો. આટલી મોટી કરમુકિત ગુમાવવી કોઇ કરદાતાને પોસાય નહિં તેથી કરદાતા નિયત તારીખ સુધીમાં રીટર્ન ભરી દેશે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી રોકાણકારો માટે ૮૦ સી સહિત કરમુકિતની બચત કરી શકે છે.

(4:02 pm IST)