Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

જાપાનમાં પાક.ની વ્યક્તિના શબનો દાહ સંસ્કાર કરાયો

બીજી વખત પાકિસ્તાનીની જાપાની પદ્ધતિથી અંત્યેષ્ટીઃ જાપાનમાં રહેતા પાકિસ્તાની સરકારને સવાલો કરી રહ્યા છે

ટોકિયો, તા.૫: જાપાનમાં પાકિસ્તાનના એક વ્યક્તિના શબના દાહ સંસ્કાર કરવામાં આવ્યા તેને લઈ વિવાદ જામ્યો છે. તે વ્યક્તિ પાકિસ્તાનના લાહોરની રહેવાસી હતી અને થોડા દિવસો પહેલા જ તેનું મૃત્યુ થયું હતું. મૃત્યુ બાદ સ્થાનિક અધિકારીઓએ તેના શબને મુસ્લિમ રીત-રિવાજ પ્રમાણે દફનાવવાના બદલે દાહ સંસ્કાર કર્યા હતા.
છેલ્લા ૬ મહિનામાં બીજી વખત જાપાનમાં કોઈ પાકિસ્તાની વ્યક્તિના અંતિમ સંસ્કારી જાપાની પદ્ધતિથી કરી દેવાયા છે. આ ઘટનાને લઈ જાપાનમાં રહેતા પાકિસ્તાનીઓ ઈમરાન ખાન સરકારને સવાલો કરી રહ્યા છે.
પાકિસ્તાનની અંગ્રેજી ન્યૂઝ વેબસાઈટના અહેવાલ પ્રમાણે મૃતક વ્યક્તિનું નામ રાશિદ મહમૂદ ખાન હતું અને તે ૫૦ વર્ષના હતા. તેમને કોઈ બાળક નહોતું. રાશિદના પત્ની જાપાનના જ હતા. રાશિદની પત્નીનો કોઈ જ પાકિસ્તાની કે કોઈ મુસ્લિમ સંગઠન સાથે કોઈ સંપર્ક નહોતો.
રાશિદના એક નજીકના મિત્ર મલિક નૂર અવાને હોસ્પિટલ મેનેજમેન્ટનો સંપર્ક કર્યો ત્યારે આ વાત સામે આવી હતી. તેમને કહેવામાં આવ્યું કે, રાશિદનું મૃત્યુ થયું છે અને જાપાનના રીત-રિવાજો પ્રમાણે તેમના અંતિમ સંસ્કાર કરી દેવાયા છે.  રાશિદના અંતિમ સંસ્કારને લઈ જાપાનમાં રહેતા પાકિસ્તાનીઓમાં ભારે નારાજગી છે. રાશિદના અનેક મિત્રોએ પાકિસ્તાન સરકારને માગણી કરી છે કે, તેઓ આ મુદ્દાને જાપાનની સરકાર સામે ઉઠાવે. સોશિયલ મીડિયા પર પણ અનેક લોકો આ મુદ્દે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.
જાપાનમાં ૯૯ ટકા કરતાં પણ વધારે મૃતદેહના અંતિમ સંસ્કાર દાહ આપીને જ કરવામાં આવે છે પંરતુ ઈસ્લામમાં દાહ સંસ્કારની મનાઈ છે.
જાપાનમાં કબ્રસ્તાનની સંખ્યા પણ ખૂબ ઓછી છે તેવામાં મુસ્લિમ સમુદાયને પોતાના રીત-રિવાજો પ્રમાણે પરિવારજનોના અંતિમ સંસ્કાર કરવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યાં કાયદાકીય રીતે કબ્રસ્તાન બનાવવા પર કોઈ જ પ્રતિબંધ નથી પરંતુ સ્થાનિક લોકો તેનો ભારે વિરોધ કરે છે.

 

(8:20 pm IST)