Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

ભોપાલના સાંસદ પ્રજ્ઞાઠાકુર પક્ષના નેતાઓથી નારાજઃ ઘરે કરી ગુપ્ત મીટીંગ

ભોપાલ તા. પ : ભોપાલના સાંસદ અને બીજેપી નેતા પ્રજ્ઞાસિંહ ઠાકુર પોતાના જ પક્ષના નેતાઓથી નારાજ છે જેના કારણે તેમણે ભારતીય જનતા પાર્ટીમાં હાંસીયામાં ધકેલી દેવાયેલ અન્ય નેતાઓ સાથે મીટીંગ કરી હતી માનવામાં આવે છે કે સાધ્વી પોતાના વિસ્તારમાં ધારાસભ્યો અને ભુતપૂર્વ મેયરના હસ્તક્ષેપથી નારાજ છે. સાધ્વી પ્રજ્ઞાએ ભોપાલના લગભગ ૩૦ લોકો સાથે પોતાના નિવાસસ્થાને મીટીંગ યોજી હતી જેમાં લોકોના મોબાઇલ પણ બહાર મુકાવી દેવાયા હતા.

તેમણે કેટલાક સીનીયર નેતાઓને પણ પોતાની સાથે જોડવાનું શરૂ કરી દીધું છે આ ઉપરાંત તે પોતાના સંસદીય વિસ્તારનો ફીડબેક પણ લઇ રહ્યા છે. એમ પણ કહેવાઇ રહ્યું છે. કે તેમણે પક્ષના ઉચ્ચ નેતાઓને તથા આરએસએસના અધિકારીઓને પણ ફરીયાદ કરી છે.

સાંસદ સાથે થયેલ મીટીંગમાં શિવાજી ઠાકરે, વિષ્ણુ રાઠૌર, ડોકટર દિપક મેહતા સહિત લગભગ ત્રીસ નેતાઓ સામેલ હતા મીટીંગમાં એ પણ ચર્ચા થઇ કે થોડા દિવસો પહેલા થયેલ કિસાન સંમેલનમાં સાધ્વી પ્રજ્ઞાને મંચ પર પાછળ બેસાડાયા હતા આ ઉપરાંત ભોપાલમાં ભાજપાના નવા જીલ્લા કાર્યાલયમાં પણ તેમનું સન્માન યોગ્ય રીતે નહોતું થયું એવુ કહેવાય છે કે પ્રજ્ઞા પાસે પક્ષથી નારાજ એવા ૧પ૦ નેતાઓનું લીસ્ટ છે જેમની સાથે આગામી દિવસોમાં મીટીંગ થઇ શકે છે.

(3:19 pm IST)