Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

પતિની હત્યા કરી નસ કાપી પત્નીનો આપઘાતનો પ્રયાસ

પાટનગરમાં ફરી એક હચમચાવી દેતી ઘટના : હત્યા બાદ ફેસબુક ઉપર પોસ્ટ, પાડોશીઓએ પોલીસને જાણ કરતા પોલીસે દરવાજો તોડી આરોપીને ઝડપી લીધી

નવી દિલ્હી, તા. : દેશની રાજધાની દિલ્હીમાં ફરી એકવાર હચમચાવી દેતી ઘટના બની છે. દિલ્હીના છતરપુર એક્સટેન્શન વિસ્તારમાં એક મહિલાએ પહેલા તેના પતિની ચાકુ મારીને હત્યા કરી નાખી હતી, બાદમાં પોતે હાથની નસ કાપી લઈને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ પતિની હત્યા બાદ ફેસબુક પોસ્ટ લખી હતી. પોસ્ટમાં મહિલાએ લખ્યું કે, તેણીએ તેના પતિની હત્યા કરી નાખી છે. અંગેની જાણકારી મકાન માલિકે પોલીસને આપી હતી. પોલીસે ઘરનો દરવાજો તોડીને પતિ અને પત્નીને તાત્કાલિક હૉસ્પિટલ ખસેડ્યા હતા. સારવાર દરમિયાન ડૉક્ટરોએ પતિને મૃત જાહેર કર્યો છે.

પોલીસને મળેલી જાણકારી પ્રમાણે મૃતક ચિરાગ હરિયાણાના યમુના નગરનો રહેવાશી છે. જ્યારે પત્ની રેણુકા મધ્ય પ્રદેશના ઉજ્જૈનની રહેવાશી છે. બંને એક વીમા કંપનીના અલગ અલગ વિભાગમાં કામ કરતા હતા. કંપનીમાં દોસ્તી થયા બાદ બંને પ્રેમ લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ બંને છતરપુરમાં જેવીટીએસ ગાર્ડન સ્થિત માકાનમાં ભાડે રહેવા લાગ્યા હતા. છેલ્લા આઠ વર્ષથી બંનેના લગ્ન થયા હતા. બંનેને સંતાન હતું.

પોલીસને મળેલી માહિતી પ્રમાણે રવિવારે રજા હોવાને કારણે બંને ઘર પર હતા. રવિવારે બંને વચ્ચે કોઈ વાતે ઝઘડો થયો હતો. જે બાદમાં ચિરાગ પોતાના રૂમમાં જઈને ઊંઘી ગયો હતો. ચિરાગ ઊંઘી ગયા બાદ રેણુકાએ ઘરમાં રહેલા ચાકુ વડે તેના પર અનેક વખત પ્રહાર કર્યો હતો. રેણુકાએ ચિરાગના પેટ અને છાતીના ભાગે રસોડામાં રહેલી છરીના ઘા ઝીંકી દીધા હતા. ફ્લોર પર અને દીવાલ પર લોહીના ધબ્બા જોવા મળ્યા હતા. જેના પરથી લાગી રહ્યું હતું કે બંને વચ્ચે ઝપાઝપી પણ થઈ હશે. ચિરાગ બેભાન બની ગયા બાદ રેણુકાએ ઘટનાક્રમ વિશે ફેસબુક પોસ્ટ મૂકી હતી. જે બાદમાં સુસાઈડ નોટ લખીને પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બંનેને ગંભીર હાલતમાં હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હૉસ્પિટલ ખાતે ડૉક્ટરોએ ૩૭ વર્ષીય ચિરાગ શર્માને મૃત જાહેર કરી દીધો છે. જ્યારે ૩૬ વર્ષીય પત્ની રેણુકાની હાલત ગંભીર છે.

(8:30 am IST)