Gujarati News

Gujarati News

News of Sunday, 5th January 2020

રાજસ્થાનના કોટાના જે. કે. લોન હોસ્પિટલમાં નવજાત બાળકોની મોતનો આંકડો 110 પહોંચ્‍યો : અશોક ગેહલોતના નિવેદન પર ડેપ્‍યુટી સચિન પાયલટે નારાજગી વ્‍યકત કરી

જયપુર: રાજસ્થાનના કોટાના જે કે લોન હોસ્પિટલમાં નવજાત બાળકોની મોતનો આંકડો રવિવાર સુધીમાં 110 પહોંચી ગયો છે. શનિવારે મામલે સીએમ અને ડેપ્યુટી સીએમ વચ્ચેનો તણાવ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ શાસિત પ્રદેશમાં નવજાત બાળકોના મોતના આંકડાને લઈને સીએમ અશોક ગેહલોતે આપેલા અસંવેદનશીલ નિવેદનને લઈને ડેપ્યુટી સીએમ સચિન પાયલટે જવાબ આપતા કહ્યું કે જવાબદારી નક્કી કરવી પડશે, આપણે સરકારમાં છીએ. હકીકતમાં સચિન પાઈલટનું નિવેદન સીએમ અશોક ગેહલોતના તે બેજવાબદારીવાળા નિવેદન બાદ આવ્યું જેમાં તેમણે કહ્યું હતું કે "ભાજપના શાસનમાં વધુ બાળકો મરતા હતાં અને અમારા શાસનમાં આંકડામાં ઘટાડો થયો છે."

સીએમ અશોક ગેહલોતે કહ્યું હતું કે "ઘટના સામે આવ્યાં બાદ અમે એક્સપર્ટની ટીમ કોટા મોકલી. અમારી સરકારે ગંભીરતા સાથે જરૂરી પગલાં ભર્યાં. બાળકોના મોત પર રાજકારણ ખેલાવવું જોઈએ નહીં. અમારા એક વર્ષના શાસન દરમિયાન શિશુ મૃત્યુ દરનો આંકડો સુધર્યો છે. તપાસ કરી છે. સારવારમાં કોઈ બેદરકારી નહતી. 100 બાળકો લગભગ ભાજપના પાંચ વર્ષના શાસનમાં પણ મરતા રહ્યાં છે. અમારા સમયમાં ઓછો આંકડો છે. તેમના સમયે વર્ષમાં 1000 બાળકો વર્ષે મરતા હતાં. અમારા સમયમાં 900 બાળકોની સંખ્યા સામે આવી છે."

શનિવારે કોટાના મામલે પ્રતિક્રિયા આપતા રાજસ્થાનના ડેપ્યુટી સીએમ સચિન પાઈલટે કહ્યું કે ગત સરકારના ખરાબ કામોને દોષ આપવાથી કઈ વળશે નહીં. આપણે જવાબદારી નક્કી કરવી પડશે. અત્રે જણાવવાનું કે જે કે લોન હોસ્પિટલમાં 34 દિવસમાં બાળકોના મોતનો આંકડો 107 સુધી પહોંચી ગયો છે.

ગેહલોત સરકાર પર નિશાન સાધતા કહ્યું કે "મને લાગે છે કે તેના પર આપણી પ્રતિક્રિયા વધુ દયાળુ અને સંવેદનશીલ થઈ શકતી હતી. 13 મહિના સુધી સત્તામાં રહ્યા બાદ મને લાગે છે કે ગત સરકારના ખરાબ કામોને દોષ દેવાથી કશું થવાનું નથી. જવાબદારી નક્કી થવી જોઈએ." અત્રે જણાવવાનું કે ગેહલોત સરકારે કોટાની જે કે લોન હોસ્પિટલમાં બાળકોના મોતના મામલે જે પ્રકારે હેન્ડલિંગ કરવામાં આવી રહ્યું છે તેને લઈને ભારે ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે.

(11:32 am IST)