Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

કોંગ્રેસને રાષ્ટ્રીય રાજકારણથી દૂર કરી ન શકાય : શિવસેના

યુપીએનું અસ્તિત્વ રહ્યું નથીનો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીનો દાવો : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના નિવેદન પર સામનામાં જવાબ, કોંગ્રેસને દૂર રાખવાનો મતલબ ફાસીવાદી પરિબળોને મદદ કરવાનો થાય

નવી દિલ્હી, તા. : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ તાજેતરમાં કહ્યુ હતુ કે, હવે કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુપીએ ગઠબંધનનુ અસ્તિત્વ રહ્યુ નથી.

જેની સામે હવે શિવસેનાએ પોતાના અખબાર સામના થકી જવાબ આપીને કહ્યુ છે કે, કોંગ્રેસને રાષ્ટ્રીય રાજકારણથી દુર રાખવાનો મતલબ દેશમાં ફાસીવાદી પરિબળોને મદદ કરવાનો થાય છે.

શિવસેનાએ કહ્યુ છે કે, પોત-પોતાના રાજ્ય સંભાળવાની સાથે સાથે ભાજપનો સામનો કરવા માટે વિપક્ષ એક બને તે મુદ્દા પર તો તમામ પાર્ટીઓએ સાથે આવવુ જોઈએ. એકતાનુ નેતૃત્વ કોણ કરશે તે ભવિષ્યની વાત છે.મમતા બેનરજી બંગાળમાં વાઘની જેમ લડીને ચૂંટણી જીતયા છે અને ભાજપને ધોબીપછાડ આપી છે.

શિવસેનાના કહેવા પ્રમાણે પશ્ચિમ બંગાળમાંથી મમતા બેનરજીએ કોંગ્રેસ, ડાબેરીઓ અને ભાજપનો સફાયો કરીનાંખ્યો છે તે વાત સાચી પણ કોંગ્રેસને રાષ્ટ્રીય રાજનીતિથી દુર રાખવાનો મતબલ હાલમાં જે ફાસીવાદી પરિબળો છે તેમને પ્રોત્સાહન આપવાનો છે.

ઉલ્લેખનીય છે કે, ટીએમસીએ તો ત્યાં સુધી કહ્યુ હતુ કે, કોંગ્રેસ ડીપ ફ્રિઝરમાં જતી રહી છે અને દેશને એક વૈકલ્પિક મોરચાની જરુર છે. જવાબદારી વિપક્ષોએ મમતા બેનરજીને આપી છે.તેઓ હાલમાં વિપક્ષનો સૌથી લોકપ્રિય ચહેરો છે.

(7:17 pm IST)