Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

અનિશ્ચિત આવક છે? તો આ રીતે કરો ફાઇનાન્શિયલ પ્લાનિંગ

ખર્ચા પર નિયમિત રીતે નજર રાખોઃ પૂરતી કેશ હાથમાં રાખોઃ એક જ એકાઉન્ટ રાખો

નવી દિલ્હી તા. ૪ : જયારે તમારી માસિક આવક અને ખર્ચ વિશે જાણ હોય તો તમારે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું સહેલું રહે છે. તમારૂ બજેટ સરળતાથી તૈયાર કરી શકો છો અને ખર્ચ થતી રકમ વિશે પણ માહિતી રાખી શકો છો. જોકે, જો તમારી આવક નિશ્ચિત ના હોય તો પહેલાથી થતો ખર્ચ અને બચતને એડજસ્ટ કરવી થોડું મુશ્કેલ બને છે. બીજી તરફ સ્વરોજગાર તેમજ ફ્રીલાન્સર પ્રોફેશનલોને અનિશ્ચિત રકમનો સામનો કરવો પડે છે. જેથી તેમના માટે ફાઇનાન્સ મેનેજમેન્ટ મુશ્કેલ બને છે. જોકે, થોડા એવા રસ્તા છે જેનાથી તમે તમારૂ ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરી શકો છો.

અનેક લોકોની આદત હોય છે કે તેમની પાસે જેટલા રૂપિયા હોય છે તે બધાં જ ખર્ચી નાખે છે. આથી ખર્ચ કરવાની આદત પર નજર રાખવી જોઇએ અને કયારેય પણ પોતાની આવક કરતાં વધારે ખર્ચો કરવો ના જોઇએ. અનેક મોબાઇલ એપ્લિકેશનની મદદથી તમે ખર્ચા પર નજર રાખી શકો છો. તેમજ પોતાની વપરાતી રકમ વિશે ચોક્કસ રીતે જાણી શકો છો. અનુમાનિત માસિક આવક અને ખર્ચ જાણવા માટે તમારે ગત ૧૨ મહિનાના ખર્ચની નોંધ કરીને તમારે તેની એવરેજ મેળવવી જોઇએ. જેથી તમે ભવિષ્યના ખર્ચ પર અંકુશ રાખી શકો અને આગળનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ વ્યવસ્થિત રીતે કરી શકો.

જો તમારી પાસે પૂરતી રોકડ ના હોય તો પર્યાપ્ત ધનના અભાવમાં તમારી પર દેવું થઇ શકે છે. જો તમારે કટોકટીમાં રૂપિયાની જરૂર હોય તો તમે દેવાની જાળમાં ફસાઇ શકો છો. રૂપિયા મળતાં આશરે ૧૫-૨૦ દિવસનો સમય લાગી શકે છે. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાથી તમે રૂપિયાની વ્યવસ્થા કરી શકો છો.

કેશ રિઝર્વને તમારે ઇમર્જન્સી ફંડ તરીકે અલગ રાખવી જોઇએ. કેશ રિઝર્વનો ઉદ્દેશ્ય તમારા નિયમિત ખર્ચને પૂરો કરવાનું રહેશે. જયારે તમારી આવક નિશ્ચિત ના હોય. તમારે ઇમર્જન્સી ફંડને કેશ રિઝર્વથી અલગ રાખવું જોઇએ. ઇમર્જન્સી ફંડમાં ઓછામાં ઓછી એટલી રકમ તો રાખવી જ જોઇએ જેથી તમારી ફાઇનાન્શિયલ જવાબદારીઓને પૂરી કરી શકે.

તમારે સમગ્ર રૂપિયા એક જ એકાઉન્ટમાં રાખવા જોઇએ. જેથી તે નક્કી થશે કે તમે વગર વિચાર્યે ખર્ચો કરતાં નથી. તેમજ તમારા વપરાશ પર પણ નજર રાખી શકશો. આવું કરવા માટે સૌ પ્રથમ તો તમારે વપરાશની એક મર્યાદા નક્કી કરવી પડશે. જો બેંક બેલેન્સની રકમ વપરાશની એક નક્કી કરેલી મર્યાદાથી ઓછી ના રહેવી જોઇએ.

આર્થિક તંગીથી બચવાનો સૌથી સારો ઉપાય એ છે કે પહેલા તમે બચત કરો અને પછી ખર્ચો કરો. હાથમાં રૂપિયા આવતાં પહેલા જ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાનું ટાળો. આવું કરવાથી ગંભીર આર્થિક પરિણામ જોવા મળી શકે છે. પહેલા રૂપિયા બચાવવાની આદત રાખો અને આર્થિક લક્ષ્યને પૂરો કરવા માટે રોકાણ કરો. પહેલા બચત કરીને પછી ખર્ચો કરશો તો ભવિષ્યમાં એક ફંડ તૈયાર કરવા માટે મદદ મળી રહેશે.

સ્વાસ્થ્ય સંબંધીત સમસ્યા અથવા શારીરિક વિકલાંગતા જેવી પરિસ્થિતિઓથી બચી શકાતું નથી પરંતુ વીમો ઉતરાવીને આ બાબતના જોખમને ઓછું કરી શકાય છે. અનિયમિત આવકના કારણે આવી પરિસ્થિતિઓ સામે લડવામાં મુશ્કેલી થઇ શકે છે. લાઇફ ઇન્શ્યોરન્સ લેવાથી ફેમિલીને તમારી ગેરહાજરીમાં આર્થિક મદદ મળી શકે છે. આ જ રીતે મેડિકલ ઇન્શ્યોરન્સ લેવાથી સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓમાં રાહત મળે છે. તમારે કેશલેસ પોલિસી લેવી જોઇએ જેથી આ મુશ્કેલીઓનો સામનો કરી શકો.

(9:55 am IST)