Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

બોલો, મદરેસામાં વિદ્યાર્થીઓને ગીતાના શ્લોક ભણાવાય છે !

લખનો તા ૪  : ભારત વિવિધતાવાળો દેશ છે અને અનેકતામાં એકતા એ દેશની સદીઓ જુની ઓળખ છે. સાંપ્રદાયીક સોૈહાર્દ દ્વારા સમગ્ર વિશ્વને શાંતિનો સંદેશ આપનારા આ દેશમાં એક બીજાનું સન્માન કરવું એ જીવન જીવવાની કળા છે. મદરેસાઓનું નામ આવે ત્યાં જ આપણા માટે એ ધાર્મિક શિક્ષણ માટે બનેલા કેન્દ્ર નજર આવે છે, પરંતુ મુરાદાબાદની એક મદરેસામાં એક એવી પહેલ કરાઇ છે, જેનાં દરેક જણ વખાણ કરી રહ્યા છે.

ભોજપુરમાં આવેલી મદરેસામાં વિદ્યાર્થીઓને સંસ્કૃતનું શિક્ષણ આપવામાં આવી રહયું  છે અને  શ્રીરામચરિત માનસથી લઇને ગીતાના દરેક શ્લોકનો અર્થ સમજાવવામાં આવી રહયો છે. વિદ્યાર્થીઓ જયાં સંસ્કૃતના અભ્યાસમાં રસ દાખવી રહ્યા છે ત્યાં  મદરેસાના મેનેજર એને દેશને જાણવાની અને સમજાવવાની પહેલ ગણાવી રહ્યા છે.

મદરેસામાં ૧૫૦થી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ લે છે. મદરેસામાં તમામ વિષયોના શિક્ષણ સાથે સંસ્કૃતનો પણ અભ્યાસ કરાવાઇ રહ્યો છે અને સંસ્કૃતના પોૈરાણિક ગ્રંથો દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ અપાઇ રહ્યું છે. એક બાજુ રામચરિત માનસ દ્વારા ભગવાન રામના જીવન સંલગ્ન પહેલુઓ છે, તો બીજી બાજુ ગીતા દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુનના સંવાદ વિદ્યાર્થીઓને ઇતિહાસની જાણકારી આપે છે. બારમા ધોરણ સુધીનું શિક્ષણ આપતી આ મદરેસામાં વિદ્યાર્થીઓ માટે સંસ્કૃતનો અભ્યાસ ફરજીયાત છે. દરરોજ બાળકો સંસ્કૃત ભાષામાં લખાયેલા શ્લોકોનો અનુવાદ કરીને સમજાવાય છે, બાળકોને આપવામાં આવી રહેલી આ તાલીમથી અનેક વાલીઓ સંતુષ્ટ છે. અને અભ્યાસ માટે પ્રોત્સાહીત કરે છે.

(3:38 pm IST)