Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

મુખ્યમંત્રી પદના મુદ્દે જ ભાજપ સાથે વાતચીત કરાશે : શિવસેના

મહારાષ્ટ્રમાં મડાગાંઠ વચ્ચે ૧૭૫ સભ્યોના સમર્થનનો દાવો કરાયો : શિવસેનાના જિદ્દી વલણના લીધે સરકાર રચવાને લઇને મહારાષ્ટ્રમાં અડચણ આક્ષેપબાજીનો દોર યથાવત : તમામ પાસાઓ ઉપર રાજકીય પક્ષોની ગણતરી

મુંબઈ, તા. ૩ : મહારાષ્ટ્રમાં નવી સરકારની રચનાને લઇને જોરદાર મડાગાંઠની સ્થિતિ વચ્ચે આજે શિવસેનાના નેતા સંજય રાવતે કહ્યું હતું કે, તેમની પાર્ટી મુખ્યમંત્રીના હોદ્દાના મુદ્દા ઉપર જ ભારતીય જનતા પાર્ટી સાથે વાતચીત કરશે. સંજય રાવત વારંવાર કઠોર અને નબળા નિવેદન કરી રહ્યા છે. બીજી બાજુ મુખ્યમંત્રી પદને લઇને શિવસેના અને ભાજપ વચ્ચે ખેંચતાણ યથાવતરીતે જારી રહી છે. સરકાર રચવાને લઇને વાતચીતનો સિલસિલો તમામ રાજકીય પક્ષોમાં ચાલી રહ્યો છે. જો કે, સરકારની રચના આડે મુખ્યમંત્રીના હોદ્દાને લઇને અડચણો આવી રહી છે. ૨૧મી ઓક્ટોબરના દિવસે રાજ્ય વિધાનસભાની ચૂંટણી એક સાથે લડનાર ભાજપ અને શિવસેના વચ્ચે હવે ચીફ મિનિસ્ટરના પોસ્ટની વહેંચણીને લઇને જોરદાર ખેંચતાણ ચાલી રહી છે. આજ કારણસર સરકારની રચનાને લઇને વાતચીત વિધિવતરીતે આગળ વધી નથી. મડાગાંઠ જારી રહી છે.

               રાવતે આજે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, મડાગાંઠ અકબંધ રહી છે. સરકારની રચના અંગે વાતચીત હજુ શરૂ થઇ નથી. રાજ્ય સભાના સભ્યએ વધુમાં કહ્યું હતું કે, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે રવિવારના દિવસે ઔરંગાબાદ પહોંચ્યા છે અને ગયા મહિનામાં પડેલા કમોસમી વરસાદના કારણે જિલ્લામાં પાકને થયેલા નુકસાનની સમીક્ષા કરી ચુક્યા છે. બીજી બાજુ શિવસેનાના મુખપત્ર સામનામાં પણ શિવસેનાના નેતાઓ લેખ લખીને ભાજપને પડકાર ફેંકી રહ્યા છે. રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવા ભાજપને પડકાર ફેંકીને શિવસેનાના નેતા કહી ચુક્યા છે કે, આવા કોઇપણ પગલા સદીમાં પાર્ટીની સૌથી મોટી હાર તરીકે રહેશે. શિવસેનાના નેતાઓ આડેધડ નિવેદનબાજી કરી રહ્યા છે. બીજી બાજુ સંજય રાવતે ફરી એકવાર ભાજપ વગર અન્ય વિકલ્પો સાથે સરકાર બનાવવાના સંકેત આપ્યા છે. તેઓએ ૧૭૦થી ૧૭૫ ધારાસભ્યોનું સમર્થન હોવાની વાત કરી છે અને કહ્યું છે કે, શિવસેના ભાજપ સામે માત્ર મુખ્યમંત્રી પદના મુદ્દા પર વાતચીત કરશે. સંજય રાવતનું કહેવું છે કે, હાલ મડાગાંઠ અકબંધ છે.

              જો વાતચીત થશે તો મુખ્યમંત્રી પદના મુદ્દા પર જ થશે. સામનામાં એક લેખ મારફતે રાવતે ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેઓએ દાવો કર્યો છે કે, ભાજપને વિધાનસભા ચૂંટણીમાં ૧૦૫ સીટો મળી છે. જો શિવસેના સાથે રહી ન હોત તો આ આંકડો ૭૫થી ઉપર ગયો ન હોત. ગઠબંધન હોવાના કારણે ગતિ મળી હતી. હવે શરત મુજબ ફડનવીસને સેનાને અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદ આપવા માટે તૈયારી દર્શાવી જોઇએ. રાવતે ગઠબંધનના પાંચ સંભવિત વિકલ્પોની પણ વાત કરી છે જે પૈકી એકમાં કહ્યું છે કે, ભાજપ બહુમતિ પુરવાર કરવામાં નિષ્ફળ રહેશે. ત્યારબાદ બીજી પાર્ટી તરીકે શિવસેના હોવાથી સરકાર બનાવવાનો દાવો કરશે. એનસીપીના ૫૪ અને કોંગ્રેસના ૪૪ તથા અન્યોની મદદથી બહુમતિના આંકડા ૧૭૦ સુધી પહોંચી શકાશે. શિવસેના પોતાના મુખ્યમંત્રીને બનાવી શકશે. વાજપેયીએ જે રીતે દિલ્હીમાં સરકાર ચલાવી હતી તેવી રીતે તમામને સાથે લઇ આગળ વધવાની જરૂર છે.

(12:00 am IST)