Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

હરિયાણા સરકાર દ્વારા લોકો માટે મનોહર જ્‍યોતિ યોજનાઃ રૂ.7500ના ખર્ચે એક સિસ્‍ટમ લગાવવાથી વિજ બિલ થઇ જશે બંધ

નવી દિલ્હી: દર મહીને વીજળીનું ખુબ બિલ આવતું હોય તો બધા બજેટ ખોરવાઈ જતા હોય છે. આ માટે કેટલાક લોકોના મનમાં એવું સતત થતું હોય છે કે એવું કઈંક કરવું જોઈએ જેથી કરીને વીજળીનું બિલ ઓછું આવે કે આવે જ નહીં. જો તમે એવું વિચારતા હોવ તો તે શક્ય છે! કારણ કે તેમાં કોઈ રોકેટ સાયન્સ નહીં પરંતુ 'સોલર' સાયન્સ છે.

સોલર એનર્જી ખુબ ઝડપથી ગામડા, શહેરોમાં પોતાની મજબૂત હાજરી નોંધાવી રહી છે અને ભારત સરકાર પણ અક્ષય ઉર્જાને લઈને અનેક યોજના ચલાવે છે. પાણી કે કોલસાથી બનનારી વીજળી પર આપણી નિર્ભરતા ઓછી થાય, તે માટે કેન્દ્ર સહિત તમામ રાજ્ય સરકારો પણ સોલર ઉર્જા પર સબસિડી આપી રહી છે. આજે ખેતરોથી લઈને ઘર, ઓફિસો, ફેક્ટરીઓમાં પણ સોલર ઉર્જાનો ઉપયોગ થઈ રહ્યો છે. બસ, કાર, ટ્રેનો સુદ્ધા સોલર ઉર્જાથી ચાલે છે.

આ રીતે મળશે વીજળીના બિલથી છૂટકારો

સોલર એનર્જી યોજનાની આ કડીમાં હરિયાણા સરકાર ઉર્જાના ક્ષેત્રમાં દરેક ઘરને આત્મનિર્ભર બનાવવા માટે સોલર ઉર્જાને પ્રોત્સાહન આપી રહી છે. રાજ્યના દરેક ઘરમાં સોલર પેનલ લગાવવા માટે વિશેષ સ્કિમ ચલાવવામાં આવી રહી છે. આ યોજના હેઠળ દરેક પરિવાર ઉર્જા મામલે આત્મનિર્ભર થઈ જશે અને તેને વીજળીનું બિલ ભરવામાંથી છૂટકારો મળી જશે.

શું છે મનોહર જ્યોતિ યોજના?

હરિયાણા સરકારે 2017માં રાજ્યના લોકો માટે મનોહર જ્યોતિ યોજના (Manohar Jyoti Yojana) શરૂ કરી હતી. હરિયાણા રિન્યુઅલ એનર્જી ડિપાર્ટમેન્ટ એજન્સી (HAREDA)ના સાયન્ટિફિક એન્જિનિયર પી કે નોટિયાલે જણાવ્યું કે મનોહર જ્યોતિ યોજના હરિયાણા રાજ્યના તમામ પરિવારો માટે છે. આ યોજનાનો હેતુ રાજ્યની અંદર સોલર સિસ્ટમ હેઠળ અક્ષય ઉર્જાને વધારવાનું છે.

મનોહર જ્યોતિ યોજનાના ફાયદા

મનોહર જ્યોતિ યોજના હેઠળ દરેક પરિવારને એક 150 વોટની સોલર સિસ્ટમ આપવામાં આવે છે. સોલર સિસ્ટમની સાથે લિથિયમ બેટરી પણ અપાય છે. આ સિસ્ટમથી 3 LED લાઈટ, એક પંખો, અને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ ચલાવી શકાય છે.

150 વોટની સોલર પેનલ અને તમામ સામાનનો ખર્ચો 22500 રૂપિયા આવે છે. હરિયાણા સરકાર તેના પર 15000 રૂપિયાની સબસિડી આપી રહી છે. આ રીતે માત્ર 7500 રૂપિયા જમા કરીને આ યોજનાનો ફાયદો ઉઠાવી શકાય છે.

કેવી રીતે કરી શકો છો અરજી

મનોહર જ્યોતિ યોજનાનો ફાયદો ઉઠાવવા માટે તમારી પાસે આધાર કાર્ડ, બેન્ક ખાતુ, હરિયાણાના રહીશ હોવાનું મૂળ નિવાસી પ્રમાણપત્ર હોવું જોઈએ. તમારું બેન્ક ખાતું તમારા આધાર નંબર સાથે જોડાયેલું હોવું જોઈએ. આ યોજના હેઠળ ઘર પર સોલર પેનલ લગાવવા માટે તમારે hareda.gov.in વેબસાઈટ પર વિઝિટ કરવી પડશે. આ યોજના અંગે વધુ જાણકારી માટે 0172-2586933 નંબર  પર સંપર્ક થઈ શકે છે.

(4:37 pm IST)