Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ વણસી : 1200થી વધુ ગામોમાં પૂર : SDRFની મદદથી 5,950 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

1950 લોકો હજુ પણ ફસાયેલા:પૂર પ્રભાવિત વિસ્તારો અને તેમને બચાવવાના પ્રયાસો ચાલુ: હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી શરૂ

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે બુધવારે જણાવ્યું હતું કે, રાજ્યના ઉત્તરીય ભાગમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ વધુ વણસી છે અને SDRFની મદદથી 5,950 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યારે 1950 લોકો હજુ પણ ફસાયેલા છે. પૂર પ્રભાવિત વિસ્તારો અને તેમને બચાવવાના પ્રયાસો ચાલુ છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, શિવપુરી અને ગ્વાલિયર વચ્ચેની રેલ સેવા અને મોરેનામાં ટેલિકોમ્યુનિકેશન સેવાઓ ખરાબ રીતે પ્રભાવિત થઈ હતી. બુધવારે હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી જ્યારે મંગળવારે ખરાબ હવામાનને કારણે બચાવ કામગીરી પ્રભાવિત થઈ હતી.તેમણે બુધવારે બપોરે પૂરગ્રસ્ત વિસ્તારોનો હવાઈ સર્વે કર્યો હતો.

આ પછી CMએ કહ્યું કે, ‘રાજ્યના ઉત્તરીય ભાગમાં પૂરની સ્થિતિ ગંભીર છે. શિવપુરી, શેઓપુર, દાતિયા, ગ્વાલિયર, ગુના, ભીંડ અને મોરેના જિલ્લાના 1125 ગામો પ્રભાવિત થયા છે.

સાથે જ તેમણે કહ્યું કે, SDRF અને NDRF ભારતીય સેના અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ મળીને 240 ગામોમાંથી 5,950 લોકોને બહાર કાઢવામાં સફળ થયા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, સેના, બીએસએફ, એનડીઆરએફની ચાર કોલમ અને એસડીઆરએફની 70 ટીમો બચાવ કામગીરીમાં વ્યસ્ત છે. NDRFની વધુ ટીમો આવી રહી છે. IAF ના પાંચ હેલિકોપ્ટરમાંથી ચાર ગ્વાલિયરમાં અને એક શિવપુરીમાં બચાવ કાર્યમાં રોકાયેલા છે.

 મુખ્યમંત્રીએ કહ્યું કે, રાહતની વાત છે કે કેટલીક જગ્યાએ પાણીનું સ્તર ઘટી રહ્યું છે. શિયોપુર જિલ્લાના કેટલાક ગામો સંપૂર્ણપણે ડૂબી ગયા છે પરંતુ ત્યાં ફસાયેલા લોકો સુરક્ષિત છે અને સેના બચાવ માટે તે ગામો સુધી પહોંચી રહી છે. તેમણે જણાવ્યું કે, સેનાએ દાતીયાના 36 ગામોમાંથી 1100 લોકોને બચાવ્યા. દાતીયા જિલ્લામાં કેટલાક સ્થળોએ લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા કારણ કે પૂરના કારણે તમામ મુખ્ય રસ્તાઓ બંધ છે.

(12:37 am IST)