Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

અમરાવતી હત્યાકાંડમાં નવો વળાંક :પકડાયેલ આરોપી યુસુફ ખાન મૃતક ઉમેશ કોલ્હેનો 15 વર્ષ જુનો મિત્ર હતો

મૃતક ઉમેશના ભાઈ મહેશ કોલ્હેએ કહ્યું આ કેસમાં પકડાયેલ આરોપી યુસુફ ખાન પશુ ચિકિત્સક છે, અમે તેને 2006થી ઓળખીએ છીએ. તેણે કહ્યું કે તેનો ભાઈ ઉમેશ અને યુસુફ સારા મિત્રો હતા.

મહારાષ્ટ્રના અમરાવતીના કેમિસ્ટ ઉમેશ કોલ્હેની ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માને કથિત રીતે સમર્થન કરવા બદલ હત્યા કરવામાં આવી હતી. મૃતક ઉમેશના ભાઈ મહેશ કોલ્હેએ રવિવારે જણાવ્યું કે આ કેસમાં પકડાયેલ આરોપી યુસુફ ખાન પશુ ચિકિત્સક છે, અમે તેને 2006થી ઓળખીએ છીએ. તેણે કહ્યું કે તેનો ભાઈ ઉમેશ અને યુસુફ સારા મિત્રો હતા. તમને જણાવી દઈએ કે યુસુફ ખાન એ છ લોકોમાં સામેલ હતો જેમની 21 જૂને ઉમેશ કોલ્હેકની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. બીજી તરફ અમરાવતીના સાંસદ નવનીત રાણાએ  આજે મ્યુનિસિપલ કમિશનર પર ઉમેશ કોલ્હેની હત્યાને દબાવવાનો આરોપ લગાવ્યો હતો.

સાંસદ નવનીત રાણાના આરોપ અંગે મૃતક ઉમેશના ભાઈ મહેશ કોલ્હેને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તેઓ ચોક્કસ કંઈ કહી શકે તેમ નથી. કોલ્હેએ કહ્યું કે મને લાગે છે કે પોલીસે પોતાની શક્તિનો થોડો વધુ ઉપયોગ કરીને આ બાબતને ગંભીરતાથી લેવી જોઈતી હતી. જણાવી દઈએ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહે શનિવારે આ કેસ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને ટ્રાન્સફર કર્યો હતો. અગાઉ, સ્થાનિક ભાજપ એકમે પણ પોલીસ પર હત્યા પાછળનું કારણ છુપાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો.

અમિતભાઈ  શાહના હસ્તક્ષેપનો ઉલ્લેખ કરતા મહેશ કોલ્હેએ કહ્યું કે દેશના ગૃહમંત્રીને તેમાં સામેલ થવું પડ્યું તે દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે કહ્યું કે જો તેમના વિના મામલાને ગંભીરતાથી લેવામાં આવ્યો હોત તો સારું થાત. ANI સાથે વાત કરતા તેમણે કહ્યું કે જ્યારથી આ કેસના માસ્ટરમાઇન્ડની ધરપકડ કરવામાં આવી છે ત્યારથી તપાસમાં ઝડપ આવી છે. મૃતક કેમિસ્ટના ભાઈ મહેશે જણાવ્યું કે અમે ઘણા સમયથી જાણવા માગતા હતા કે આવા શાંત વ્યક્તિની હત્યા કેવી રીતે થઈ શકે. તેમણે કહ્યું કે અમારી એક જ માંગ છે કે કેસની સુનાવણી ફાસ્ટટ્રેક કોર્ટમાં થવી જોઈએ અને દોષિતોને મહત્તમ સજા આપવામાં આવે.

 

(9:48 pm IST)