Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

રિલાયન્સે વર્ષ 2020-21માં કોર્પોરેટ સોશિયલ રિસપોન્સબિલિટી પાછળ રૂ. 1140 કરોડ ખર્ચ કર્યો

મહામારીની લડાઇમાં જોડાઈને કંપનીએ સ્વાસ્થ્યસંભાળ, તબીબી-કક્ષાના પ્રવાહી ઓક્સિજન, ભોજન અને માસ્કની આપૂર્તિ કરી: દરરોજ 1000 ટન ઓક્સિજન વિવિધ રાજ્યોને પહોંચાડ્યો : કંપનીએ 27 લાખ લાભાર્થીઓને 5.5 કરોડ ભોજન પહોંચાડ્યા: મુંબઈમાં ભારતની પહેલી કોવિડ હોસ્પિટલ તૈયાર કરી : વિવિધ સ્થળોએ 2300થી વધુ પથારીઓની સહાય પૂરી પાડી

જામનગર : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે માર્ચ 2021ના રોજ પૂરા થતાં નાણાકીય વર્ષમાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) પાછળ રૂ. 1140 કરોડનો ખર્ચ કર્યો હતો, જેમાં કોવિડ-19 સહાય, ગ્રામીણ ક્ષેત્રે પરિવર્તનશીલ કાર્યો, શિક્ષણ, સ્વાસ્થ્ય, રમત ગમત અને આપત્તિ પ્રતિસાદ પાછળ થયેલા ખર્ચનો સમાવેશ થાય છે. કંપનીના તાજેતરમાં જારી થયેલા અહેવાલ મુજબ, રિલાયન્સે નાણાકીય વર્ષ 2019-20માં સીએસઆર પ્રવૃત્તિઓ પાછળ રૂ. 1022 કરોડનો ખર્ચ કર્યો હતો.
મહામારીનો મુકાબલો કરવાની ભારતની લડાઈમાં જોડાતાં, રિલાયન્સે એક વર્ષ દરમિયાન સ્વાસ્થ્યસંભાળ, તબીબી-કક્ષાના પ્રવાહી ઓક્સિજન, ભોજન અને માસ્કની આપૂર્તિ કરી હતી. જામનગરના પ્લાન્ટમાં જરૂરી ફેરફાર કરી દરરોજ 1000 ટન ઓક્સિજન વિવિધ રાજ્યોને પહોંચાડી એક લાખ દર્દીઓની ઓક્સિજનની દૈનિક જરૂરિયાત પૂરી કરવામાં આવી હતી.
કંપનીએ 27 લાખ લાભાર્થીઓને 5.5 કરોડ ભોજન પહોંચાડ્યા, મુંબઈમાં ભારતની પહેલી કોવિડ હોસ્પિટલ તૈયાર કરવા સાથે કોવિડના દર્દીઓની સારસંભાળ અને સારવાર માટે વિવિધ સ્થળોએ 2300થી વધુ પથારીઓની સહાય પૂરી પાડી હતી, 21 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 50 લાખ જેટલા ફ્રન્ટલાઇન વોરિયર્સ અને એસેન્શિયલ સર્વિસ પ્રોવાઇડર્સને પુનઃ ઉપયોગમાં લઈ શકાય એવા 81 લાખ માસ્કનું વિતરણ કર્યું હતું, જ્યારે દેશના 18 રાજ્યોના 249 જિલ્લાઓમાં કોવિડ-19 વિષયક સેવાઓમાં જોતરાયેલા 14000થી વધુ એમ્બ્યુલન્સ અને વાહનોને 5.5 લાખ લીટર ઈંધણ પૂરું પાડ્યું હતું.
અહેવાલમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, કંપનીની ગુજરાત નજીકના સિલવાસા ખાતેની મેન્યુફેક્ચરિંગ સુવિધાની ક્ષમતા વધારીને ફ્રન્ટલાઇન વર્કર્સ માટે દરરોજના 1,00,000 પીપીઈ કિટ્સ અને માસ્કનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં પરિવર્તનશીલ કાર્યોના ક્ષેત્રે 10,000થી વધુ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ગ્રામીણ સ્વયંસેવકોને તાલીમ આપી 131 લાખ ક્યૂબિક મીટર જળસંચય ક્ષમતા વિકસાવી, ઉપરાંત 20 રાજ્યો અને 150થી વધુ શહેરોમાં 39 કૌશલ્યવર્ધન કેન્દ્રોને સહાય કરી 8800 બેરોજગારોને વિવિધ કૌશલ્યોની તાલીમ પૂરી પાડી હતી.
સ્વાસ્થય ક્ષેત્રે, રિલાયન્સે મોબાઇલ મેડિકલ યુનિટ્સ (MMUs), સ્ટેટિક મેડિકલ યુનિટ્સ (SMUs) અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર્સ (CHCs) ખાતે 2.3 લાખ હેલ્થ કન્સલ્ટેશન્સ પૂરા પાડ્યા હતા. પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી એજ્યુકેશન ક્ષેત્રે અનેકવિધ શૈક્ષણિક પહેલને સહાય પૂરી પાડી હતી. મહારાષ્ટ્રના નવી મુંબઈ સ્થિત ઉલ્વે ખાતે જિયો ઇન્સ્ટિટ્યૂટ ‘ગ્રીનફિલ્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એમિનન્સ’ની સ્થાપના કરવામાં આવી છે જે કુલ 52 એકર જમીનમાં પથરાયેલી છે અને તેમાં 3,60,000 ચોરસ ફૂટની ઇમારત પણ આવેલી છે, આ ઇન્સ્ટિટ્યૂટ વર્ષ 2021ના શૈક્ષણિક સત્રથી કાર્યરત થશે.
આ સંસ્થા દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને કમ્પ્યૂટર સાયન્સમાં રિલાયન્સ ફાઉન્ડેશન સ્કોલરશિપ્સની શરૂઆત પણ કરવામાં આવી છે, ઉપરાંત રિલાયન્સ ફાઉન્ડેશનની સ્કૂલોના 763 શિક્ષકો અને 116 નોન-ટીચિંગ સ્ટાફને ટેક્નોલોજી પ્લેટફોર્મ પર 4100 કલાકની તાલીમ પણ આપવામાં આવી છે, જ્યારે મધ્ય પ્રદેશમાં 75 સરકારી સ્કૂલોને અપગ્રેડ કરવામાં આવી અને 221માં માસ્ટર ટ્રેઇનર્સ તૈયાર કરવામાં આવ્યા છે. RILની પરોપકારી પહેલનું સુકાન સંભાળતા રિલાયન્સ ફાઉન્ડેશન (RF) દ્વારા ભારતના બાળકો તથા યુવાનોમાં શીખવાનું અને આગેવાની લેવાનું કૌશલ્ય વિકસાવવા માટે રમત ગમતને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. તેની શરૂઆતથી અત્યાર સુધીમાં ફિટનેસ ટ્રેનિંગ, ન્યૂટ્રિશન અને કોચિંગ દ્વારા રિલાયન્સની રમત ગમતની પહેલ 2.15 કરોડ યુવાનો સુધી પહોંચી છે.
ઓલિમ્પિક્સ અને અન્ય પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સ્પોર્ટિંગ ઇવેન્ટ્સમાં ભારતનું પ્રદર્શન વધુ બહેતર બને તે માટે આર્ચરી, એથ્લેટિક્સ, બેડમિન્ટન અને વેઇટલિફ્ટિંગ સહિતના 11 એથ્લેટ્સને રિલાયન્સ સહાય કરી રહ્યું છે. આપત્તિ પ્રતિસાદ (ડિઝાસ્ટર રિસ્પોન્સ) ના ક્ષેત્રે કંપનીએ અમ્ફાન, નિસર્ગ, બુરેવી અને નિવાર વાવાઝોડા દરમિયાન અધિકૃત સરકારી વિભાગો અને સ્થાનિક વહીવટીતંત્ર સાથે મળીને વાવાઝોડા પહેલા અને પછી લોકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ગોદાવરી પૂર પહેલા અને ત્યારબાદ 20,000થી વધુ લોકોને પાકમાં આવતા રોગોનું વ્યવસ્થાપન કરવા માટે સહાય કરી હતી.
ઉત્તરાખંડમાં આવેલા પૂર બાદ RF દ્વારા ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ સાથે મળીને 250 લોકોને ભોજન પૂરા પાડ્યા અને 150 કુટુંબોને રાશન કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. પડાણા ખાતેની પશુ ચિકિત્સા હોસ્પિટલમાં 4818 પશુઓને તબીબી સારસંભાળ પૂરી પાડી હતી. RF દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં પશુધન માટે ઘાસચારો, પક્ષીઓ માટે ચણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા અને રખડતાં જાનવરોને ખોરાક પૂરો પાડવા માટે NGOsની સહાય લેવામાં આવી હતી.

(8:53 pm IST)