News of Thursday, 4th June 2020
નવી દિલ્હી, તા. ૪ : એક તરફ ભોજન અધિકાર કાર્યકર્તા અને નિષ્ણાતો માંગ કરી રહ્યા છે કે દેશની એક મોટી વસ્તીને ભૂખમરાથી બચાવવી જોઈએ અને સરકારે તેમના બેંક ખાતામાં પૈસા જમા કરવા જોઈએ તથા યોગ્ય માત્રમાં રેશન આપવું જોઈએ. બીજી તરફ કેન્દ્ર સરકારે જે પણ થોડું ગણું ખાદ્ય ફાળવ્યું છે એ પણ લોકોને મળી રહ્યું નથી. પરંતુ વાસ્તવિકતા એ છે કે મે મહિનામાં લગભગ ૧૪.૫ કરોડથી વધુ ગરીબ લોકોને વડાપ્રધાન ગરીબ કલ્યાણ પેકેજ હેઠળ વધારાનેં રેસન મળ્યું નથી. જ્યારે એપ્રિલ મહિનામાં લગભગ ૬.૫ કરોડ લોકોને વધારાનું રેશન મળ્યુ નથી. આ એ લોકો છે કે જે સરકારની પરિભાષાના હિસાબથી લાભાર્થી છે અને તેમને રેશન મળવું જોઈતુ હતું. આ માહિતી ગત નાણાં મંત્રાલયે જાહેર કરેલી પ્રેસ રિલીઝથી સામે આવી છે.
કોરોના મહામારીના કારણે લોકોની સામે પેદા થયલાં સંકટના સમાધાન માટે નાણામંત્રી નિર્મલા સીતારમને ૨૬મી માર્ચે વડાપ્રધાન ગરીબ કલ્યાણ પેકેજની જાહેરાત કરી હતી. આ પેકેજ હેઠળ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાનૂન હેઠળ પ્રત્યેક લાભાર્થીને ત્રણ મહિને(એપ્રિલ થી જૂન) માટે પાંચ કિલો વધારાનું ખાદ્ય અને પ્રતિ રેશન કાર્ડ એક કિલો દાળ આપવાની હતી. જોકે, સરકાર દ્વારા આપેલાં આંકડા અનુસાર મે મહિનામાં ૬૫.૮૫ કરોડ લોકોને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાનૂન હેઠળ રેશન આપવામાં આવ્યું. જ્યારે હાલ દેશમાં કુલ લાભાર્થીઓની સંખ્યા ૮૦.૩૨ કરોડ છે. આ રીતે મે મહિનામાં ૧૪.૪૭ કરોડ લોકોને આ યોજનાનો લાભ મળ્યો નથી. આ રીતે એપ્રિલ મહિનામાં ૭૩.૮૬ કરોડ લોકોને જ વધારાનું રેશન આપવામાં આવ્યું છે. એટલે કે આ મહિનામાં હજુ પણ ૬.૪૬ કરોડ લોકોને પીએમજીકેપી હેઠળ રેશન આપવામાં આવ્યું નથી. વડાપ્રધાન ગરીબ કલ્યાણ પેકેજ હેઠળ એપ્રિલ મહિના માટે કુલ ૪૦.૪૮ લાખ મેટ્રિક ટન રેશન ફાળવવામાં આવ્યું હતું.
પરંતુ રાજ્ય સરકારોએ એમાંથી ફક્ત ૩૬.૯૩ લાખ ટન જ રેશન વિતરણ કર્યું. આ રીતે મે મહિના માટે પણ યોજના હેઠળ એટલું જ રેશન ફાળવ્યું હતું પરંતુ વિવિધ રાજ્યો દ્વારા ૩૨.૯૨ લાખ ટન રેશન જ ફાળવ્યું. આ આંકડા કોવિડ-૧૯ મહામારી સમયે પણ રેશન આપવાના કેન્દ્ર અને રાજ્ય સરકારોના દાવા સામે સવાલ પેદા કરે છે. જ્યારે જૂન મહિના માટે હમણાં સુધી ૧૭ રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશોએ ૭.૧૬ કરોડ લાભાર્થીઓને ૩.૫૮ લાખ ટન વધારાનું રેશન ફાળવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલી માહિતીથી એ ખબર પડે છે કે રાજ્યો દ્વારા ૧૦૧ લાખ ટન અનાજ ઉપાડવામાં આવ્યું છે. એટલે કે રાજ્યોએ જેટલું અનાજ ઉપાડ્યું છે તેનું ફક્ત ૭૦ ટકા જ અનાજ વિતરણ કરવામાં આવ્યું છે. નાણાં મંત્રાલયે જાહેર કરેલી પ્રેસ રિલીઝથી એ પણ ખબર પડે છે કે સરકારે એપ્રિલ અને મે મહિનામાં જેટલી પણ દાળ વિતરણ કરવાની હતી, તેની ફક્ત ૪૦ ટકા જ વિતરણ કરી છે.