Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

હવે ટ્રેન સંચાલનમાં વિલંબ થશે તો પ્રમોશન પર અસર

સંબંધિત અધિકારીઓ પર હવે તવાઈ રહેશે : ટ્રેન નિર્ધારિત સમય મુજબ નહીં ચાલે તો ઝોનના અધિકારી જવાબદાર ગણાશે : રેલવે મંત્રીએ સ્પષ્ટ સૂચનાઓ આપી

નવીદિલ્હી,તા. ૩ : ટ્રેનોના સંચાલનમાં હવે વિલંબ થશે તો સંબંધિત અધિકારીઓના પ્રમોશન ઉપર અસર થશે. આના માટે સંબંધિત અધિકારીઓને જવાબદાર ગણવામાં આવશે. ટ્રેનોની અવરજવરમાં વિલંબને પહોંચી વળવાના હેતુસર રેલવે દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, ટ્રેનોના સંચાલનમાં હવે વિલંબ થશે તો અધિકારીઓના પ્રમોશન પર તેની અસર થશે. રેલવેના આ નિર્ણયથી ટ્રેનોમાં મુસાફરી કરતા સામાન્ય લોકોને રાહત થશે. સંબધિત અધિકારીઓના પ્રમોશન પર આની અસર પડી શકે છે. રેલવે પ્રધાન પીયુષ ગોયેલે રેલવેના તમામ ઝોનના પ્રમુખોને ચેતવણી આપીને કહ્યું છે કે, રેલ સેવાઓમાં વિલંબ થવા ઉપર તેમના અપ્રેઝલને અસર થશે. મંત્રાલયના અધિકારીઓને ટ્રેનોના સમય ઉપર સંચાલનની ખાતરી કરવા એક મહિનાનો સમય આપવામાં આવ્યો છે. રેલવે મંત્રાલયના એક અધિકારીએ વિગત આપતા કહ્યું છે કે, ગયા સપ્તાહમાં એક આંતરિક બેઠક થઇ હતી જેમાં ગોયેલે ઝોનના જનરલ મેનેજરોને કહ્યું હતું કે, તેઓ મેઇન્ટેન્સ વર્કની આડમાં ટ્રેનોના સંચાલનમાં વિલંબની બાબતને રજૂ કરી શકશે નહીં. નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં આશરે ૩૦ ટકા ટ્રેનો મોડેથી દોડી હતી. હોલીડે સિઝનમાં પણ સ્થિતિમાં સુધારો થયો ન હતો. ખાસ કરીને ઉત્તર રેલવેના જનરલ મેનેજરને ગોયેલ તરફથી ઠપકો સાંભળવો પડ્યો હતો. આ ઝોનમાં પરફોર્મન્સ ૨૯મી મે સુધી ૪૯.૫૯ ટકા રહ્યો હતો. ગયા વર્ષે આ અવધિની સરખામણીમાં ૩૨.૭૪ ટકા ઓછો ટકા છે. મંત્રીએ કહ્યું હતું કે, મોટાપાયે વિલંબને ચલાવી લેવામાં આવશે નહીં. મોટાપાયે ટ્રેક ઉપર રિન્યુઅલના કામ ચાલી રહ્યા છે જેથી ટ્રેનોની અવરજવરને અસર થઇ રહી છે. છતાં પણ તેઓએ આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે અપીલ કરી હતી. પરફોર્મન્સના આંકડા હાલમાં ખુબ જ નબળા દેખાઈ રહ્યા છે.

(12:00 am IST)