Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

એમેઝોન-ફ્લિપકાર્ટને આજથી લોકડાઉન-૩માં સ્માર્ટફોન, લેપટોપ સહિતની વસ્‍તુઓના વેચાણને મંજૂરી

નવી દિલ્હીઃ કોરોના સંક્રમણને રોકવાના પ્રયત્નમાં લૉકડાઉન દેશમાં ત્રીજીવાર વધારી દેવામાં આવ્યું છે. કોવિડ-19ના દર્દીઓની વધતી સંખ્યા રોકવા માટે હવે 17 મે સુધી દેશમાં લૉકડાઉન છે. પરંતુ સ્માર્ટફોન, લેપટોપ સહિત બીજી બિનજરૂરી વસ્તુને ખરીદવા ઈચ્છુક લોકો માટે આ વખતે સારા સમાચાર છે. ગૃહ મંત્રાલયે ઈ-કોમર્સ કંપનીઓને ત્રીજા લૉકડાઉન દરમિયાન બિનજરૂરી સામાનોના વેચાણની મંજૂરી આપી છે. આજથી શરૂ થઈ રહેલા આ લૉકડાઉન 3.0માં લોકો નવા સ્માર્ટફોન, લેપટોપ અને બીજી ઇલેક્ટ્રીક આઇટમ ખરીદી શકે છે. પરંતુ કંપનીઓએ ડિલિવરી માટે કેટલિક શરતો રાખી છે.

ગૃહ મંત્રાલયના દિશા-નિર્દેશો પ્રમાણે, બિનજરૂરી સામાનોનું વેચાણ માત્ર તે જગ્યાએ કરવામાં આવશે જ્યાં કોરોનાનો કોઈ કેસ નથી. સરકારે કહ્યું કે, ઈ-કોમર્સ પ્લેટફોર્મ માત્ર ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં બિનજરૂરી સામાનની ડિલિવરી કરી શકશે. રેડ ઝોન માટે કેટલાક પ્રતિબંધ હજુ છે, તેનો મતલબ છે કે અમદાવાદ રેડ ઝોનમાં છે અહીં હજુ ફાયદો મળશે નહીં.

ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વેંચાશે સ્માર્ટફોન અને લેપટોપ

બિનજરૂરી સામાન જેમ કે સ્માર્ટફોન, લેપટોપની ડિલિવરીની મંજૂરી આપવામાં આવી છે. ઘણા લોકો નવો ફોન કે લેપટોપ ખરીદવાની રાહ જોઈ રહ્યાં છે. એપ્રિલમાં સરકારે ઈ-કોમર્સ કંપનીઓને જરૂરી સામાન ડિલિવર કરવાની મંજૂરી આપી હતી પરંતુ તે સામાનોની ડિલિવરી બેન હતી જે જરૂરી સેવાથી બહાર હતી. આ આદેશને કારણે એમેઝોન અને ફ્લિપકાર્ડે સ્માર્ટફોન અને લેપટોપનું વેચાણ બંધ કર્યું હતું.

આશા છે કે સ્માર્ટફોન ડિલિવરીને કેટલાક વિસ્તારમાં છૂટ મળ્યા બાદ હવે સ્માર્ટફોન કંપનીઓ પણ ફોન લોન્ચ કરી શકે છે. મહત્વનું છે કે વનપ્લસે હાલમાં ભારતીય માર્કેટ માટે પોતાનો વનપ્લસ 8 સિરીઝની જાહેરાત કરી હતી. આ સ્માર્ટફોનની કિંમતો પણ સામે આવી પરંતુ લૉકડાઉનને કારણે વેચાણ થઈ શક્યું નથી. એપલે  42,900 રૂપિયાની કિંમત વાળા આઈફોન એસઈને ભારતીય બજારમાં લોન્ચ કરી દીધો છે.

(5:09 pm IST)