News of Monday, 4th May 2020
મુંબઈ, તા.૪: કોરોનાના દર્દીઓથી સરકારી હોસ્પિટલો ઉભરાઈ રહી છે, અને પ્રાઈવેટ હોસ્પિટલો તેના માટે કલ્પના ના કરી શકાય તેટલા ચાર્જ વસૂલી રહી છે. તેવામાં મધ્યમ વર્ગની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે. મુંબઈમાં સામે આવેલી એક ઘટનામાં એક વ્યકિતને કોરોનામાં ના માત્ર પોતાના ૭૪ વર્ષીય પિતાને ગુમાવવા પડ્યા, પરંતુ પ્રાઈવેટ હોસ્પિટલનું ૧૬ લાખ રુપિયાનું તગડું બિલ પણ ચૂકવવું પડયું.
સાંતાક્રુઝમાં રહેતા એક વ્યકિતના પિતાને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા, અને તેમની ૧૫ દિવસ સુધી ટ્રીટમેન્ટ ચાલી હતી. જોકે, શરીરના એક પછી એક અંગોએ કામ કરવાનુ બંધ કરી દેતા ૭૪ વર્ષીય વૃદ્ઘનું અવસાન થયું હતું. બીજી તરફ, હોસ્પિટલના ડિરેકટર મનપ્રિત સોહલે વધારે પડતો ચાર્જ લેવાયો હોવાના આક્ષેપને નકારતા જણાવ્યું હતું કે, દર્દીને ગંભીર હાલતમાં લવાયા હતા, અને તેમને બેસ્ટ ટ્રીટમેન્ટ આપવા છતાં તેઓનું મોત થયું હતું.
મહારાષ્ટ્ર સરકારે ગયા સપ્તાહે વીમો ના હોય તેવા લોકોને કોરોના તેમજ અન્ય રોગોની સારવાર માટેના ચાર્જ પ્રાઈવેટ હોસ્પિટલ માટે નક્કી કરેલા છે. છતાંય દ્યણા પરિવારો પ્રાઈવેટ હોસ્પિટલો કમરતોડ ચાર્જ વસૂલતી હોવાના આક્ષેપો કરી રહ્યા છે.
નાણાવટી હોસ્પિટલની ઘટનામાં મૃતકના દીકરાનો આક્ષેપ છે કે, હોસ્પિટલે જે બિલ આપ્યું તેમાં ૮.૬ લાખ રુપિયા ચાર્જ દવાઓ અને બીજી વસ્તુઓનો લગાવાયો છે. જયારે ૨.૮ લાખ રુપિયા કોવિડ ચાર્જ લેવાયો છે. તેમનો આક્ષેપ છે કે સરકારે ભલે ચાર્જ નક્કી કર્યા હોય, પરંતુ લાગે છે કે હોસ્પિટલો તેને નથી ગણકારી રહી. તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા ઉમેરે છે.
મૃતક હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા ત્યારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી તેમના પરિવારજનો દ્યરે જ કવોરન્ટિનમાં હતા. તેમને એડમિટ કરાયા ત્યારે ૬૦,૦૦૦ રુપિયા જમા કરાવાયા હતા. જોકે, બીજા દિવસે હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો અને જણાવાયું હતું કે દર્દીની હાલત ગંભીર હોવાથી તેમને વેન્ટિલેટર પર મૂકવા પડશે તેમજ ડાયાલિસિસ કરવું પડશે.
દર્દીના દીકરાએ એવો પણ દાવો કર્યો હતો કે, તેમના બ્લડ ટેસ્ટ થોડા દિવસ પહેલા જ કરાયા હતા, જેમાં તેમની કિડની સ્વસ્થ જણાઈ હતી. તેમ છતાંય તેમનું ડાયાલિસિસ કરવું પડશે તેમ કહી હોસ્પિટલ બિલ વધારતી રહી હતી. તેમણે થોડા દિવસ બાદ ૩.૪ લાખ રુપિયા ભર્યા હતા, છતાંય એક દિવસ હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો કે જો તેમણે રુપિયા ના ભર્યા તો દર્દીની ટ્રીટમેન્ટ બંધ કરી દેવાશે.
બીજી તરફ, હોસ્પિટલનું કહેવું છે કે દર્દીની હાર્ટસર્જરી થયેલી હતી અને તેમને દાખલ કરાયા ત્યારબાદ તેમના અંગોએ કામ કરવાનું બંધ કરી દેતાં તેમને વેન્ટિલેટર પર મૂકાયા હતા. આવી સ્થિતિમાં કોઈપણ દર્દીની સારવારનો ચાર્જ રોજનો એક લાખ રુપિયાથી વધારે થાય છે.