Gujarati News

Gujarati News

News of Thursday, 4th April 2019

વિજય માલ્યાના ભિખારીવેળા - મગરના આંસુ

પૈસા નથી... પત્ની, બાળકોની કમાણી - ઉધારીથી જિંદગી જીવું છું

બ્રટનની કોર્ટ સમક્ષ 'રોદણા રોયા' : ઓળખીતા પાસેથી ૭૫.૭ લાખ તથા ૧.૧૫ કરોડ ઉધાર લીધા છે : વ્યકિતગત સંપત્તિ માત્ર ૨૯૫૬ કરોડની બચી છે

લંડન તા. ૪ : ભાગેડુ આરોપી વિજય માલ્યાનું કહેવું છે કે હવે મારી પાસે જીવન જીવવાના પૈસા નથી. હું મારા પાર્ટનર, પર્સનલ આસીસ્ટન્ટ, પરિચિત વેપારીઓ અને પત્ની - બાળકો ઉપર નિર્ભર છું. તેણે આ વાત ૧૩ બેંકો દ્વારા તેની વિરૂધ્ધ દાખલ થયેલ બેંકરપ્ટસી અરજીના જવાબમાં જણાવી છે.

પોતાના બેંક એકાઉન્ટ પર ભારતીય બેંકોનો કબજો રોકવા માટે વિજય માલ્યા પોતાની ખરાબ જિંદગીના ખોટા કિસ્સાઓ કહી રહ્યો છે. જીવનના સૌથી સારા દિવસોમાં રાજાના ઠાઠથી જીવનારા માલ્યા કહી રહ્યો છે કે તેને જીવન નિર્વાહ માટે પોતાની પાર્ટનર, પર્સનલ આસિસ્ટન્ટ, જાણીતા બિઝનેસમેન અને પોતાના બાળકો પર નિર્ભર રહેવું પડે છે. વિજય માલ્યાએ ૨૬ માર્ચે ટ્વીટ કરીને કહ્યું હતું, મારી પાસેથી પૈસા લઈ લો, પરંતુ જેટને બચાવી લો.

હકીકતમાં જે ૧૩ બેંકોના ૧૧,૦૦૦ કરોડ રૂપિયા માલ્યાની પાસે ફસાયેલા છે, તેણે પાછલા વર્ષે ૧૧ સપ્ટેમ્બરે માલ્યા વિરુદ્ઘ બેંકરપ્ટસી પિટિશન દાખલ કરી જેના પર આ વર્ષે ડિસેમ્બર મહિનામાં સુનાવણી થવાની છે. બેંકોની અરજી પર પૂછાયેલા સવાલના જવાબમાં માલ્યાએ કહ્યું કે તેની વ્યકિતગત સંપત્તિ ઓછી થઈને ૨૯૫૬ કરોડ રૂપિયા થઈ ગઈ છે અને આ આખી સંપત્ત્િ। તેણે બેંકો સાથે સેટલમેન્ટ કરવા કર્ણાટક હાઈકોર્ટ સામે રજૂ કરી છે. બેંકોએ માલ્યા પાસેથી મળેલી આ જાણકારીને યુકે કોર્ટને આપી.

બેંકોએ કોર્ટને જણાવ્યુ કે માલ્યાની પત્ની પિંકી લલવાની વર્ષમાં લગભગ ૧.૩૫ કરોડ રૂપિયા કમાય છે. જે મુજબ માલ્યાએ પોતાની પર્સનલ આસિસ્ટન્ટ મહલ અને એક પરિચિત બિઝનેસમેન બેદી પાસેથી ક્રમશઃ ૭૫.૭ લાખ અને ૧.૧૫ કરોડ રૂપિયા ઉધાર લીધા છે. નિજેલ તોજી માલ્યાને લોન આપનારા ૧૩ બેંકોનું યુકે કોર્ટમાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેમણે જાણકારી આપી કે માલ્યાએ બેંકોને કહ્યું કે તેણે પોતાના જીવનનિર્વાહ અને અમુક દેવું ચૂકતે કરવા આ પૈસા ઉધાર લીધા છે. લંડન કોર્ટ તરફથી આપવામાં આવેલી લેખિત જાણકારીમાં જાણવા મળ્યું કે માલ્યા પર બ્રિટિશ સરકારનો લગભગ ૨.૪૦ કરોડ રૂપિયા ટેકસ ઉપરાંત પૂર્વ વકીલ મૈકફર્લેસના પણ અમુક રૂપિયા બાકી છે. સાથે જ તેણે ભારતીય બેંકોને ૩.૩૭ કરોડ રૂપિયા કાયદાકીય ખર્ચમાંથી ૧.૫૭ કરોડ રૂપિયા નથી આપ્યા.

માલ્યાના વકીલ જોન બ્રિસબીએ બુધવારે યુકે કોર્ટને જણાવ્યું કે માલ્યા જીવનનિર્વાહ માટે દર અઠવાડિયે ૧૬.૨૧ લાખ રૂપિયામાંથી દર મહિને ૨૬.૫૭ લાખ રૂપિયામાં ગુજારો કરવા માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે કોર્ટે માલ્યાના જીવનનિર્વાહ માટે અઠવાડિયે ૧૬.૫૧ લાખ રૂપિયા સુધી ખર્ચ કરવાની અનુમતિ આપી છે. કોર્ટે એમ પણ જણાવ્યું કે માલ્યા પર સાઉથ આફ્રિકન બેંકોનું પણ ૩૦.૬ કરોડ રૂપિયાનું દેવું છે જે ભારતીય બેંકોના બેંકરપ્ટસી પિટિશનમાં શામેલ છે.

બુધવારે લંડન કોર્ટમાં ભારતીય બેંકોની તે અરજી પર સુનાવણી કરાઈ જેમાં બેંકોએ યુકે સ્થિત આઈસીઆઈસીઆઈ બેંકમાં માલ્યાના કરંટ એકાઉન્ટ પર કબ્જો આપવાની અપિલ કરી હતી. બેંગલુરૂ ડીઆરટીએ પોતાના આદેશમાં બેંકોને અનુમતિ આપી છે, જેના આધારે બેંકોએ લંડન કોર્ટમાં અરજી દાખલ કરી. હકીકતમાં ૧૪ જાન્યુઆરીએ બેંકોને અંતરિમ થર્ડ પાર્ટી ઓર્ડર મળ્યો હતો, જેના આધારે બેંકોએ માલ્યાના એકાઉન્ટમાં તે સમયે પડેલા ૨.૩૩ કરોડ રૂપિયા અટેચ કરી લીધા હતા. હવે માલ્યા આ આદેશને રદ્દ કરવાની માગણી કરી રહ્યો છે.

માલ્યાના વકીલ બ્રિસબીએ કોર્ટમાં દલીલ આપી કે આઈસીઆઈસીઆઈ બેંક જ એકમાત્ર સાધન છે, જેના દ્વારા માલ્યા પોતાના જીવનનિર્વાહ માટે ખર્ચ કરી શકે છે. તેના પર બેંકો તરફથી વકીલ તોજીએ કહ્યું, માલ્યાને કિંગફિશર બીયર યુરોપ તરફથી દર મહિને ૬.૭૫ લાખ રૂપિયા મળે છે, જે આઈસીઆઈસીઆઈ બેંકના ખાતામાં જમા નથી થતા. તેમણે કહ્યું, માલ્યાની લાઈફસ્ટાઈલ પર કોઈ આફત નહીં આવે. તોજી આગળ કહે છે, માલ્યા પર પોતાની પત્ની અને બાળકોના જવાબદારી છે, પરંતુ તેની પત્ની પિંકી લલવાની વર્ષમાં લગભગ ૧.૩૫ કરોડ રૂપિયા કમાઈ રહી છે અને બાળકો ફેમિલી ટ્રસ્ટના લાભાર્થી છે, જેમાં કિંમતી મૂર્તિઓ, કાર્સ, દુનિયાભરમાં રહેલી કરોડોની સંપત્તિ, ભવ્ય બોટ્સ અને એક ગેમ રિઝર્વ શામેલ છે. જોકે માલ્યા પોતાની પત્ની અને બાળકોનો ખર્ચ ઉઠાવી રહ્યાનો દાવો કરી રહ્યો છે.

તોજીએ કોર્ટને જણાવ્યું, માલ્યા હજુ પર સંપૂર્ણ ઠાઠથી જીવી રહ્યો છે. માલ્યાને પોતાના વકીલો માટે કયાંકથી ફંડીંગ મળી રહ્યું છે. તેને કોઈ પરેશાની નથી થઈ રહી, જેવી સામાન્ય લોકો સમજી રહ્યા છે. તે હજુ પણ દર અઠવાડિયે ૧૬.૨૧ લાખ રૂપિયા ખર્ચી રહ્યો છે. કાયદાકીય લડાઈ પર પણ ખૂબ ખર્ચો કરી રહ્યો છે.(૨૧.૯)

(11:35 am IST)