Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

સમર્થકોની અટકાયત કરાતા લખનૌમાં પ્રહલાદ મોદીના ધરણા

લખનૌ પોલીસની કાર્યશૈલીથી મોદીના ભાઈ નારાજ : ૧૦૦થી વધારે સમર્થકોને મુક્ત નહીં કરવામાં આવે તો ઉપવાસ આંદોલનની પણ ચેતવણી આપી, તંત્ર દોડતું થયું

લખનૌ, તા. ૩ : ઉત્તર પ્રદેશના પાટનગર લખનૌના અમોસી એરપોર્ટની બહાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદી બુધવારે ધરણા પર બેસી ગયા. પ્રહલાદ મોદીએ લખનૌ પોલીસની કાર્યશૈલીની સામે ધરણા શરુ કર્યા છે. જણાવાઈ રહ્યું છે કે, પોતાના સમર્થકોની અટકાયતથી નારાજ પ્રહલાદ મોદીએ ધરણા શરૃ કર્યા. તે સાથે જ પ્રહલાદ મોદીએ સમર્થકોને મુક્ત નહીં કરવામાં આવે તો ઉપવાસ આંદોલનની પણ ચેતવણી આપી છે.

પ્રહલાદ મોદીએ કહ્યું કે, અમારા સ્વાગતમાં આવનારા ૧૦૦ કાર્યકર્તાઓની લખનૌ પોલીસે અટકાયત કરી લીધી છે. હું ત્યાં સુધી ધરણા પર બેઠો રહીશ, જ્યાં સુધી અમારા બધા કાર્યકર્તાઓને છોડી દેવામાં નહીં આવે. લખનૌ પોલીસ જણાવે કે, આખરે કોના આદેશથી તેમની અટકાયત કરાઈ છે. પીએમઓનો આદેશ છે તો તે આદેશ બતાવવામાં આવે.

પ્રહલાદ મોદીએ એમ પણ કહ્યું કે, અમારો ૪ ફેબ્રુઆરીએ સુલતાનપુર, ૫મીએ જૌનપુર અને ૬ઠ્ઠી ફેબ્રુઆરીએ પ્રતાપગઢમાં કાર્યક્રમ હતો. હું આજે એટલે લખનૌ એરપોર્ટ પર આવ્યો છું. અહીં આવીને મને જાણકારી મળી કે અમારા જે કાર્યકર્તા હતા, તેમને પોલીસે પકડી લીધા છે. એ કારણે હું આજે ધરણા પર બેસી ગયો છું. એરપોર્ટની બહાર ત્યાં સુધી ધરણા પર બેઠો રહીશ, જ્યાં સુધી અમારા બધા કાર્યકર્તાઓને છોડવામાં નહીં આવે.

જણાવી દઈએ કે, પ્રદલાદ મોદીની દીકરી સોનલ મોદીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ટિકિટ માંગીને ભાજપ મોવડી મંડળને મૂઝવણમાં મૂકી દીધું છે. પોતાની દીકરીએ ભાજપમાંથી ટિકિટ માંગી હોવા અંગે પ્રહલાદ મોદીએ ભાજપને ફિક્સમાં મૂકતો જવાબ આપતા કહ્યું હતું કે, હવે ખબર પડશે કે ભાજપમાં પીએમ મોદીની કેટલી ઈજ્જત છે.

(12:00 am IST)