Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

મમતા બેનર્જી તમામ મર્યાદા તોડી અધિકારીને લઇને પરેશાન કેમ છે ?

બંગાળમાં ગઠબંધનના નેતા બનવા મમતા બેનર્જીના નાટક : પ્રસાદ : નારદા, શારદા અને રોઝવેલી મામલામાં તપાસ કરવા સીબીઆઈને સુપ્રીમે કહ્યું હતું : અનેક વખત સમન્સો છતાં અધિકારી સતત બહાના બનાવતા હતા

નવીદિલ્હી, તા. ૪ : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીમાં કોલકાતામાં કેન્દ્ર સરકારની સામે ધરણા પ્રદર્શન જારી છે. બીજી બાજુ મમતા બેનર્જી સરકારના વલણની સામે ભાજપ પણ આક્રમક મૂડમાં છે. આજે સાંજે કેન્દ્રીય મંત્રી અને પાર્ટીના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું હતું કે  મમતા બેનર્જી એવા અધિકારીને બચાવવા પ્રયાસ કરી રહી છે જે ઘણી બધી બાબતો જાણે છે. ગઠબંધન ઉપર પ્રહાર કરતા રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, ધરણા મારફતે મમતા પોતાને નેતા તરીકે પ્રોજેક્ટ કરવાના પ્રયાસ કરી રહી છે. રાહુલ ગાંધી અને માયાવતીને પણ પ્રશ્ન કરવો પડશે કે તેમનું શું થનાર છે. રવિશંકર પ્રસાદે પ્રશ્ન કરતા કહ્યું હતું કે, બંગાળમાં શું થઇ રહ્યું છે. રાજકીય કાવતરા ઘડવામાં આવી રહ્યા છે. ધરણા પ્રદર્શન યોજીને ગઠબંધનના નેતા બનવાના પ્રયાસ થઇ રહ્યા છે. એક પોલીસ કમિશનર નેતાઓની સાથે ધરણા ઉપર બેઠા છે. આનો શું મતલબ છે. ધરણા પર બેસીને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના માર્ગ ઉપર આગળ વધી રહ્યા છે. અમે આશા રાખીએ છીએ કે, ભ્રષ્ટાચારની તપાસની સામે તપાસ સંસ્થાને ઝુંકવું જોઇએ નહીં. રવિશંકર પ્રસાદે કોંગ્રેસ પર પ્રહાર કરતા રાહુલ ગાંધીના ૨૦૧૪માં કરવામાં આવેલા ટ્વિટને વાંચીને સંભળાવ્યું હતું. ભાજપ નેતાએ કહ્યું હતું કે, ૮મી મે ૨૦૧૪ના દિવસે કોંગ્રેસ પાર્ટીએ રાહુલ ગાંધીનું ટ્વિટ કર્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં ચીટ ફંડ કૌભાંડમાં ૨૦ લાખ લોકોના પૈસા ડુબી ગયા છે. આ વખોડવા લાયક બાબત છે. અમારી સરકાર ૨૬મી મે ૨૦૧૪ના દિવસે સત્તામાં આવી હતી અને નારદા, શારદા અને રોઝવેલી મામલામાં તપાસ શરૂ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં વિપક્ષી પક્ષોના વલણ સામે પણ પ્રશ્નો થાય છે.  આ લોકો ભાજપ, અમિત શાહ અને મોદી સામે આડેધડ નિવેદન કરતા રહે છે. ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે, મમતાએ ૨૬મી એપ્રિલ ૨૦૧૩ના દિવસે પોંજી સ્કીમમાં તપાસ કરવા એસઆઈટીની રચના કરી હતી. તેના અધ્યક્ષ રાજીવકુમાર હતા જે કોલકાતાના પોલીસ કમિશનર છે. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ અને ડાબેરી સમર્થક તે વખતે સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. નવમી મે ૨૦૧૪ના દિવસે એવો આદેશ આપવામાં આવ્યો હતો કે, મામલામાં સીબીઆઈ તપાસ કરશે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે, નારદા, શારદા અને રોઝવેલી મામલામાં તમામ એંગલથી તપાસ થશે. પ્રસાદે કહ્યું હતું કે, જ્યારે સાંસદ મદનમિત્રા, તાપસ પાલ જેવા મોટા નેતાની ધરપકડ કરવામાં આવી ત્યારે મમતાએ કોઇ પ્રશ્ન ઉઠાવ્યા ન હતા. તમામ મર્યાદા તોડીને મમતા પોલીસ કમિશનરના સમર્થનમાં ધરણા પર કેમ બેઠા છે. સુદીપ બંદોપાધ્યાય અને મદન મિત્રાની ધરપકડ ઉપર મમતા પરેશાન ન હતા તો ૮૩ બેંચના આઈપીએસ ઓફિસરને બચાવવા આટલા પરેશાન કેમ થયેલા છે. આનાથી શંકા થાય છે કે, આ અધિકારી ઘણી બધી બાબત જાણે છે. કમિશનરને અનેક મોટી બાબતો અંગે માહિતી છે. પ્રસાદે કહ્યું હતું કે, એજન્સી તમામ દસ્તાવેજ માંગી રહી હતી. ત્રણ વખત પોલીસ કમિશનરને સમન્સ આપવામાં આવ્યું હતું. નિવેદન આપવા કહેવામાં આવ્યું હતું. તપાસ સંસ્થાને કાયદા હેઠળ અધિકાર છે કે તે કોઇપણ વ્યક્તિને બોલાવી શકે છે અને વાત કરી શકે છે. ૨૦૧૭માં બે વખત અને ૨૦૧૮માં સમન્સ જારી કરવામાં આવ્યા બાદ આ અધિકારી બહાનાબાજી કરીને ઉપસ્થિત થયા ન હતા. પ્રસાદે કહ્યું હતું કે, જ્યારે સીબીઆઈએ કહ્યું કે, ૧૦ તપાસ અધિકારીઓને મોકલી દો તો કોઇ એમ કહેશે કે વૃદ્ધ થઇ ગયા છે. કોઇ કહે છે કે તેમના ભાઇનું મોત થઇ ગયું છે. પોલીસ તરફથી કહેવામાં આવ્યું હતુંકે, આ તમામ નિવૃત્ત થઇ ગયા છે. કોઈ જવાબ પોલીસ તરફથી મળી રહ્યા ન હતા.

(7:56 pm IST)