Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

નવભારતના નિર્માણ અર્થે પ્રાસલામાં શનિવારથી રાષ્ટ્રકથા શિબિર

ભારતીય સંસ્કૃતિના સાર્વભૌમત્વને ટકાવી રાખવા માટે રાષ્ટ્રનિર્માણની ભાવના યુવાનોમાં વિકસાવવી જરૂરી છે : સ્વામી ધર્મબંધુજી : એક સાથે ૧૬ હજાર યુવક - યુવતીઓને આઠ દિવસ સુધી અપાશે શારીરિક, બૌદ્ધિક અને આત્મજાગૃતિનું પ્રશિક્ષણ : ભારતીય સેનાના જવાનોનું સ્તુત્ય યોગદાન : ગૌસેવા, માનવસેવા અને રાષ્ટ્રસેવા અર્થે જીવન સમર્પિત કરી દેનાર સ્વામી ધર્મબંધુજી આયોજીત રાષ્ટ્રઘડતર શિબિરમાં જોડાશે દેશભરમાં બૌદ્ધિકો : સામાજીક ચેતના જાગૃત કરવાનું વિરાટ અભિયાન : માત્ર ગુજરાત નહિં મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, આસામથી માંડીને જમ્મુ - કાશ્મીર સહિત કુલ ૨૬ રાજયોમાંથી યુવક - યુવતીઓ શિબિરમાં સામેલ થશે

રાજકોટ, તા. ૪ : દેશના નવનિર્માણમાં યુવાનોનો ફાળો સૌથી મહત્વનો છે. સદ્દનસીબ છે કે દુનિયાના દેશોમાં ભારત પાસે સૌથી વધુ સક્ષમ યુવાધન છે. આ યુવાનોમાં રાષ્ટ્ર પ્રત્યેના ધર્મની ભાવના વિકસીત થાય તે જરૂરી છે. આ કામ છેલ્લા ૧૯ વર્ષથી ઉપલેટા તાલુકાના પ્રાસંલા ખાતે કાર્યરત વૈદિક મિશન ટ્રસ્ટના માધ્યમથી કરવામાં આવે છે. રાષ્ટ્રકથા શિબિર વિશે ગુજરાતના યુવાનો અપરિચિત નથી. આ વર્ષે તા.૬ થી તા.૧૩ (શનિથી શનિ) જાન્યુ. સુધી પ્રાસંલા ખાતે રાષ્ટ્રકથા શિબિર યોજાશે, જેમાં દેશના જાણીતા ચિંતકો, શિક્ષણશાસ્ત્રીઓ, વૈજ્ઞાનિકો, સુરક્ષા સલાહકારો, ન્યાયવિદ્દો, વિવિધ ક્ષેત્રના તજજ્ઞો હાજર રહી રાષ્ટ્રીય ઘડતરના ચિંતનમાં સહભાગી થશે. તેમ સ્વામી ધર્મબંધુજી (મો. ૯૦૯૯૧ ૦૦૦૦૦)એ જણાવ્યુ હતું.

ભારત દેશની સંસ્કૃતિએ વેદ - ઉપનિષદ અને ધર્મગ્રંથો ઉપર આધારીત રહી છે. સૈકાઓ પહેલાના આ ગૌરવવંતા દેશનો ઈતિહાસ સુચવે છે કે ભારત સોને કી ચિડીયા તરીકે જગતભરમાં જાણીતુ હતું. વિશ્વને ધર્મ, જ્ઞાન અને જીવનશૈલીનું ઉત્તમ માર્ગદર્શન આ દેશના મહાનુભાવોએ પૂરૂ પાડ્યુ છે. અલબત આજે આપણે અનેક પ્રકારના પ્રશ્નોથી પીડિત છે. જાતિવાદ, ભાષાવાદ, પ્રાંતવાદના પ્રશ્નો સાંસ્કૃતિક વિરાસત માટે ખતરારૂપ બની રહ્યા છે. આર્થિક સ્થિતિ ડામાડોળ રહેતી હોવાથી દુનિયાના ધનિક દેશો ગમે ત્યારે આપણી ગરીમાને હાનિ પહોંચાડતા રહે છે. આ સ્થિતિમાં આ દેશનું અખંડ સાર્વભૌમત્વ જાળવવા માટે યુવાનોને જાગૃત કરવા જરૂરી છે. તે કામ રાષ્ટ્રકથા શિબિર છેલ્લા ૧૯ વર્ષોથી કરતી રહી છે.

વૈદિક મિશન ટ્રસ્ટ દ્વારા આયોજીત શિબિરમાં દેશના જુદા જુદા ૨૬ રાજયોના અંદાજે ૧૬ હજારથી વધુ યુવાનો હાજર રહેશે. વેદ અને ઉપનિષદની ઋચાઓ તેમજ યજ્ઞના પ્રારંભ સાથે શિબિરને ખુલ્લી મૂકવામાં આવશે. આ શિબિરમાં આર્મી, નેવી, સીઆરપીએફ, કોસ્ટગાર્ડ, બીએસએફ અને આરપીએફના જવાનો દ્વારા લશ્કરનાં સાધનોના નિદર્શન સાથે અંગકવાયતોનું નિદર્શન જોવા મળશે તેમજ ઈશરોના વૈજ્ઞાનિકો દ્વારા પ્રદર્શની ગોઠવવામાં આવી છે. જે શિબિરાર્થીઓને વૈજ્ઞાનિક સંશોધન અને સરહદી સલામી પ્રત્યે વધુ આકર્ષિત કરશે.

બહુ ઓછા લોકોને શિબિરના એ અંદાજનો ખ્યાલ હશે કે આપણા દેશના લશ્કરની ત્રણેય પાંખોના વડા દ્વારા શિબિરાર્થીઓને પ્રશિક્ષણ માટે ખાસ સહયોગ આપવામાં આવે છે. જેના કારણે પ્રાંસલા જેવા નાના સ્થળે લશ્કરની જુદી - જુદી પાંખોના અંદાજે ૭૦૦ થી ૮૦૦ જવાનો સુરક્ષાના સાધનો સાથે હાજર રહે છે. વિદ્યાર્થીઓને લશ્કરમાં સલામતી માટે વપરાતી આધુનિક ટેન્ક, મિસાઈલ્સ, અતિ આધુનિક કેમેરા, રણગાડી, રોકેટ લોન્ચર સહિતના સાધનો જોવા મળે છે. આ વર્ષે નેવી તરફથી પણ સબમરીન દ્વારા જળવાતી લશ્કરની સુરક્ષા વિશેનું ડેમોસ્ટ્રેશન તૈયાર કરવામાં આવ્યુ છે. જે શિબિરાર્થીઓ નિહાળી શકશે. ઈશરોએ અવકાશમાં જુદા - જુદા યાન જે તરતા મૂકયા છે તેના મોડેલ રજૂ કર્યા છે. તે પણ વિદ્યાર્થીઓને જોવા મળશે. કડકડતી ઠંડીમાં બોર્ડર ઉપર લશ્કરના જવાનો કઈ રીતે પોતાનું આરોગ્ય જાળવીને દેશની સુરક્ષા કરતા રહે છે ! તેના હેરતભર્યા પ્રયોગો પણ શિબિરાર્થીઓને જોવા મળશે. વહેલી સવારે પાંચ વાગ્યાથી શરૂ થતી શિક્ષણની શિબિર આખા દિવસ દરમિયાન શારીરિક, બૌદ્ધિક, આધ્યાત્મિક અને સામાજીક પ્રશિક્ષણનું મોટુ પર્વ બની રહેશે.

શિબિર કરાવશે સાંસ્કૃતિક એકતાનો પરિચય

આ શિબિરમાં જુદા જુદા રાજયોના શિબિરાર્થીઓ આવનાર હોવાથી શિબિરમાં સાંસ્કૃતિક એકતાના દર્શન થશે. દરરોજ જુદા જુદા રાજયોની સાંસ્કૃતિક કૃતિઓ, ગીત, નાટક, નૃત્યો રજૂ થશે. વિવિધ ભાષાઓમાં રજૂ થનાર આ સાંસ્કૃતિક કૃતિએ શિબિરનું એક અનોખુ સંભારણું બની રહેશે. શિબિરના સંયોજક સ્વામી ધર્મબંધુજીએ જણાવ્યુ હતું કે વિજ્ઞાન અને સુરક્ષાના ક્ષેત્રમાં જે દેશ સર્વાધિક પ્રભુત્વ પ્રાપ્ત કરી શકશે તે જ દુનિયાનું નેતૃત્વ કરી શકશે.

શિબિરનો નિત્યક્રમ

    સવારે ૪ વાગ્યે ઉત્થાન

    સવારે ૪:૩૦ થી ૫:૩૦ યોગા

    સવારે ૬ થી ૭:૩૦ સૈનિક શિક્ષા, જુડો, કરાટે, માર્શલ આર્ટ, સેલ્ફ ડિફેન્સ, શુટીંગ એન હોર્સ રાઈડીંગ

    સવારે ૮ થી ૯ બ્રેકફાસ્ટ

    સવારે ૧૦ થી ૧૨:૩૦ મહાનુભાવોના પ્રવચન, માર્ગદર્શન

    બપોરે ૧૨:૩૦ થી ૧:૩૦ લંચ

    બપોરે ૧:૩૦ થી ૨:૩૦ આરામ

    બપોરે ૨:૩ થી ૫ મહાનુભાવોનું બીજુ પ્રવચન

    સાંજે ૫:૩૦ થી ૭:૩૦ અલગ અલગ એકસપર્ટના      કાયદા, શિક્ષણ, અર્થશાસ્ત્ર, સુરક્ષાના અભ્યાસલક્ષી             વર્ગ, તજજ્ઞો સાથે ગોષ્ઠી, પ્રશ્નોત્તરી.

    સાંજે ૭:૩૦ થી ૮:૩૦ ડિનર

    રાત્રે ૮:૩૦ થી સાંસ્કૃતિક કાર્યક્રમ.

શિબિરમાંથી ૨૬ રાજયોના શિબિરાર્થીઓ કરાવશે રાષ્ટ્રીય એકતાના દર્શન

'શકિતમાન' તરીકે જાણીતા મુકેશ ખન્ના અને ફિલ્મ અભિનેતા સન્ની દેઓલ યુવાનોને દેશપ્રેમના પાઠ શીખવશે

રાજકોટ : વૈદિક મિશન દ્વારા આયોજીત યુવા ઘડતર શિબિરમાં રાષ્ટ્રીય એકતાના દર્શન થશે. કોઈ અરૂણાચલ પ્રદેશથી આવશે તો કોઈ આ સારથી જમ્મુ કાશ્મીરથી માંડીને ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, પ. બંગાળ, ઓરીસ્સા, છત્તીસગઢ સહિતના કુલ ૨૬ રાજયોના યુવક - યુવતીઓ આ શિબિરમાં સામેલ થશે.

આ શિબિરમાં શકિતમાન ટીવી સીરીયલ દ્વારા દેશભરમાં જાણીતા બનેલા અભિનેતા મુકેશ ખન્ના તેમજ ફિલ્મ અભિનેતા સન્ની દેઓલ શિબિરમાં હાજર રહી માર્ગદર્શન આપશે. સતત આઠ દિવસ સુધી દરેક દેશની સાંસ્કૃતિ વિરાસત સમાન સાંસ્કૃતિક કાર્યક્રમો અહિં રજૂ થશે. અખંડ ભારતના દર્શન થશે. દેશના જુદા જુદા વિસ્તારોમાંથી કોઈ ટ્રેન મારફતે તો કોઈ બસ મારફતે એક - બે દિવસનો પ્રવાસ કરીને શિબિરમાં આવી પહોંચ્યા બાદ અહિં વિવિધ રાજયોના વિદ્યાર્થીઓની સાથે હળીમળીને રહેશે, ભાતૃભાવના કેળવશે, એકબીજાનો નજીકથી પરિચય થતા પ્રાસંલામાં જાણે મીની ભારતનું સર્જન થયુ હોય તેવા દૃશ્યો જોવા મળશે. દેશના સર્વાંગીણ વિકાસમાં આ શિબિર ઉપયોગી થનાર હોવાથી અનેક મહાનુભાવોનું માર્ગદર્શન મળશે.

આર્મીના જનરલ જી. ડી. બક્ષી - રણધીરકુમાર મહેતા - લેફટનન્ટ જનરલ હિમાલયસિંહના હસ્તે શિબિરનું ઉદ્દઘાટન : ડો. મનમોહનસિંઘ - રાજનાથસિંઘ - વિજયભાઈ રૂપાણી સહિતના મહાનુભાવો હાજરી આપશે

રાજકોટ : દેશની સીમાડા વર્ષોથી સુરક્ષિત રાખનારા વીર સેનાપતિઓની યાદીમાં જે કેટલાક નામ અગ્રીમ પંકિતમાં રહ્યા છે. તે પૈકી એક નામ છે. જનરલ જી. ડી. બક્ષી તેઓ પાકિસ્તાન સામે ૧૯૬૫ અને ૧૯૭૧ની લડાઈમાં દુશ્મન દેશને પાઠ ભણાવવામાં અગ્રેસર હતા. આર્મીના આ અધિકારીની જેમ બીજા અધિકારી છે. જનરલ રણધીરકુમાર મહેતા આ અધિકારી પણ ઉદ્દઘાટન સત્રમાં હાજર રહેશે. લેફટનન્ટ જનરલ હિમાલયસિંહ તેમજ યુપીએસસીના ભૂતપૂર્વ મેમ્બર કલીમ શુગ્લા પણ શિબિરમાં હાજર રહેશે. ઉત્તરપ્રદેશના ડાયરેકટર જનરલ શ્રી ઓ. પી. સિંગ પણ દેશની સુરક્ષા સંબંધી માર્ગદર્શન આપી શિબિરાર્થીઓને પ્રોત્સાહિત કરશે.

૮ દિવસ દરમિયાનની રાષ્ટ્રકથા શિબિરમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. (૧) ડો. મનમોહનસિંઘ (દેશના પૂર્વ વડાપ્રધાન (૨) શ્રી રાજનાથસિંઘ (દેશના કેન્દ્રીય ગૃહમંત્રી) (૩) શ્રી વિજયભાઈ રૂપાણી (મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજય) (૪) શ્રી ઓ. પી. રાવત (ઈલેકશન કમિશ્નર ઓફ ઈન્ડિયા) (૫) શ્રી કે. વી. ચૌધરી (ચીફ વિઝીલન્સ કમિશ્નર) (૬) ડો. કે. જે. રમેશ (ડાયરેકટર ઈન્ડિયન મટીરીયોલોજી ડીપાર્ટમેન્ટ) (૭) ડો. કે. એસ. કિરણકુમાર (ચેરમેન, ઈસરો) (૮) ડો. ક્રિષ્ટોફર (ચેરમેન, ડીફેન્સ રીસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન) (૯) ડો. ગિરીશ સહાની (ડાયરેકટર જનરલ, સી. એસ.આઈ. આર.) (૧૦) ડો. શેખર બસુ (ડાયરેકટર, ભાભા એટોમીક રીસર્ચ સેન્ટર) (૧૧) શ્રી કે. કે. શર્મા (ડાયરેકટર જનરલ, બીએસએફ) (૧૨) શ્રી સંજયકુમાર (ડાયરેકટર જનરલ, એનડીઆરએસ) (૧૩) શ્રી અનિલ સ્વરૂપ (સેક્રેટરી, કેન્દ્રીય શિક્ષણ વિભાગ) (૧૪) જસ્ટીસ પીનાકીચંદ્ર ઘોષ (મેમ્બર, હ્યુમનરાઈટ્સ કમિશન) (૧૫) શ્રી જી. સતીષ રેડ્ડી (એડવાઈઝર, ડીફેન્સ મીનીસ્ટ્રી) (૧૬) શ્રી સંદિપરાય રાઠોડ (ડી. જી. સ્પેશ્યલ ટાસ્કફોર્સ તામિલનાડુ) (૧૭) શ્રી ગજેન્દ્રસિંઘ (ડાયરેકટર જનરલ કોસ્ટગાર્ડ) (૧૮) ડો. એમ. અન્નાદુરાય (ડાયરેકટર મંગલયાન - ચંદ્રયાન પ્રોજેકટ) (૧૯) ડો. એસ. અરૂનન (સ્પે. પ્રોજેકટ ડાયરેકટર, ઈસરો) (૨૦) શ્રી કે. વિજયકુમાર (સીનીયર સિકયુરીટી એડવાઈઝર, ગૃહવિભાગ) (૨૧) શ્રી દુર્ગાપ્રસાદ (ભુ. પૂ. ડી. જી., સીઆરપીએફ અને એસપીજી) (૨૨) પ્રો. કે. જે. રાવ (ડાયરેકટર ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ) (૨૩) શ્રી મોહનગુરૂ સ્વામી (જાણીતા અર્થશાસ્ત્રી) (૨૪) શ્રી જી. પાર્થસારથી (અર્થશાસ્ત્રી અને ડીપ્લોમેટ) (૨૫) શ્રી પ્રકાશ મિશ્રા (ભૂતપૂર્વ મેમ્બર, યુપીએસસી) (૨૬) શ્રી ગુલાબ કોઠારી (રાજસ્થાન પત્રિકાના પ્રોપરાઈટર) (૨૭) શ્રી સુભાષચંદ્ર ગોયેલ (ચેરમેન, જી-ટીવી), (૨૯) શ્રી મુકેશ ખન્ના (જાણીતા ફિલ્મ અભિનેતા) (૩૦) શ્રી સન્ની દેઓલ (જાણીતા ફિલ્મ અભિનેતા).

લશ્કરના જવાનો શીખવશે જુડો- કરાટેઃ શિબિરાર્થીના નિવાસ માટે તંબુ વસાહત

ભારતીય સુરક્ષાના સાધનોનું પણ પ્રદર્શન યોજાશે : દરરોજ સવારે શારીરિક કવાયતોની તાલીમ અને સાંજે બૌદ્ધિકો  : સાથે ગોષ્ઠી, શિબિર શીખવાડશે સમૂહ જીવનના પાઠ

રાજકોટ : સરહદના સિમાડે જેમ દેશની સુરક્ષા માટે જવાનો તંબુ બાંધીને છાવણી ઉભી કરીને રહેતા હોય છે તેવા આર્મીના ૫૦૦થી વધુ તંબુમાં શિબિરાર્થી યુવકોને રહેવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જે કંઈક જુદા જ પ્રકારની અનુભૂતિ કરાવશે. આ કામ માટે ભારતીય સુરક્ષા વિભાગની મદદ મળી છે. બીએસએફના જવાનો શિબિરાર્થીઓને શારીરિક કૌશલ્યની દરરોજ તાલીમ આપશે. યુવાનોમાં સાહસિક ગુણોનો વિકાસ થાય તે માટે શિબિર સ્થળે સુરક્ષાના તમામ સાધનોનું પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યુ છે. ભારતીય લશ્કરના જવાનો આ આધુનિક શસ્ત્રો, શત્રોની સાથે ઘોડેસવારીની તાલીમ આપશે. લશ્કરમાં જે પ્રકારની ઘનિષ્ઠ તાલીમ આ સૈનિકો મેળવે છે. તેનું ડેમોસ્ટ્રેશન પણ કરવામાં આવશે. શિબિરમાં દરરોજ એક કલાક સુધી ભારતીય લશ્કરના જવાનો શીખવશે. જુડો, કરાટેની તાલીમ સ્વસુરક્ષા માટે યુવાનો અને યુવતીઓને આ પ્રકારની તાલીમ આપવામાં આવશે. ગાંધીનગરથી એનડીઆરએફ (નેશનલ ડીઝાસ્ટર રેસ્કયુ ફોર્સ)ના જવાનો આપત્તિ નિવારણના સમયમાં આગ, પાણી કે, ભૂકંપ - વાવાઝોડાની પરિસ્થિતિમાંથી કઈ રીતે બચી શકાય? તેમજ અન્ય તે લોકોને કઈ રીતે બચાવી શકાય? તેની પણ વ્યવસ્થિત તાલીમ આપશે.

બપોર બાદ બૌદ્ધકો સાથે અલગ અલગ વિષયોના વર્ગો આપશે જેમાં દેશના જાણીતા અર્થશાસ્ત્રીઓ, વૈજ્ઞાનિકો, કાયદાવિદો, સુરક્ષા નીતિના ઘડવૈયાઓ અને બૌદ્ધિક સાથે શિબિરાર્થીઓ પ્રશ્નોતરી પણ કરી શકશે. શિબિરના માહોલ દરમિયાન સમૂહ જીવનના પાઠ શિબિરાર્થીઓને શિખવા મળશે.

રાષ્ટ્રકથા શિબિર એ શું છે?

    યુવાનોના ઘડતરનું એક પ્રશિક્ષણ અભિયાન, જેના થકી દેશ સેવા માટે                  મથામણ કરતા નવયુવાનોને સાચી દિશા મળે છે.

    દેશના જાણીતા બૌદ્ધિકો, વૈજ્ઞાનિકો, રાજનીતિજ્ઞો, કાયદાવિદો, અર્થશાસ્ત્રીઓ,         પર્યાવરણના તજજ્ઞો અને દેશની સુરક્ષાના સુકાનીઓ સાથેનું સંવાદ સ્થળ.

    રાષ્ટ્રીય એકતા અને દેશપ્રેમસભર બંધુત્વની ભાવના વિકાસવાનો એક પ્રયાસ           જયાં નાત - જાત - ભાષા - પ્રાંતના ભેદ ભૂલીને યુવક - યુવતીઓનું સઘન              પ્રશિક્ષણ કરવામાં આવે છે.

    વેદ, ઉપનિષદ અને ધર્મગ્રંથોમાં દર્શાવેલા જીવન ઘડતર મુજબ જીવન                 જીવવાનું ભાથુ આપવાનો એક પ્રયાસ. જયાં ૧૯- ૧૯ વર્ષથી પવિત્ર જીવનના                બહુમૂલ્ય આયામોનું શિક્ષણ અપાય છે.

    સ્વતંત્ર ભારતની જે લોકો સુરક્ષા કરી રહ્યા છે. રાત દિવસના દેશના સીમાડા             ઉપર જાગતા રહીને જીવનું બલિદાન દેતા જે લોકો અચકાતા નથી. તેવા                  ભારતીય જવાનોના જીવનનું દર્શન કરાવવાનો પ્રયાસ જયાં શિસ્ત અને                સંસ્કારની સાથે સુરક્ષાના સાધનોનો શિબિરાર્થીઓ પરિચય મેળવે છે. શિક્ષણ           માત્ર નોકરી કે વ્યવસાય માટે નથી. એક સારા નાગરીક બનવા માટે છે          અભ્યાસ બાદ વ્યકિત પોતાના જીવનમાં સ્થિર થયા પછી દેશ પ્રત્યેની ફરજ            ન ભૂલે તે માટે રાષ્ટ્ર સેવા, રાષ્ટ્રધર્મ અને રાષ્ટ્રની સુરક્ષાના પાઠ ભણાવવામાં           આવે છે.

    શારીરીક સૌષ્ઠવ કેળવ્યા વિના વ્યકિત પોતાની સુરક્ષા પણ જાળવી શકતો નથી            તેથી શિબિરએ જુડો - કરાટે સહિતની કવાયતો શિક્ષણ માટે શ્રેષ્ઠ માધ્યમ બને           છે.

    જ્ઞાનના પ્રકાશપુંજનું દર્શન : આઠ દિવસના સમય ગાળામાં અહિં દેશની શ્રેષ્ઠ       પ્રતિભાઓના જ્ઞાનનું દોહન થાય છે. વિદ્યાર્થીઓ કે શિબિરાર્થીઓ માટે આ                જ્ઞાન પ્રકાશનું દોહન એક વિરલ અનુભૂતિ હોય છે.

(4:36 pm IST)