Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd January 2018

બજેટ - ચૂંટણી વિશે મંથન કરવા ઉજ્જૈનમાં સંઘ - ભાજપની બેઠક

સંઘ પરિવારની ૩ દિવસની બેઠકનો પ્રારંભઃ મોહન ભાગવત, અમિત શાહ અને સંઘના પદાધિકારીઓ સરકારની નીતિઓ વિશે ચર્ચા-વિચારણા કરશેઃ દેશની આર્થિક અને રાજકીય પરિસ્થિતિ ઉપર થશે ચર્ચાઃ ગુજરાતના પરિણામો ઉપર પણ મંથન થશેઃ ર૦૧૯ની ચૂંટણી અંગે ઘડાશે રણનીતિ

ઉજ્જૈન તા.૩ : મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં સંઘ અને ભાજપની બે દિવસની સમન્વય બેઠકનો પ્રારંભ થઇ રહ્યો છેે. આ બેઠકમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહ અને સંઘના ટોચના અધિકારીઓ સામેલ થયા છે. જાણવા મળે છે કે આ બેઠક મુખ્યત્વે ર૦૧૯માં ભાજપના વિજયની રણનીતિ પર ચર્ચા-વિચારણા કરવા માટે મળી રહી છે. સંઘના સુત્રોના જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં ભારતીય મઝદુર સંઘ, ભારતીય ગ્રાહક પંચાયત તથા સ્વદેશી જાગરણ મંચ જેવા સંઘના ઘટક પક્ષો પણ સામેલ થયા છે જે સરકારની નીતિઓ અંગે પોતાનો રિપોર્ટ રજુ કરશે. એક પ્રકારથી આ સંઘ પરિવારના કૌર ગ્રુપની મીટીંગ છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે ર૦૧૯ની લોકસભાની ચૂંટણી આવી રહી છે એવામાં સંઘ સરકારની ખુબીઓ અને ખામીઓ અંગે માહિતી મેળવી ભાજપ માટે માહોલ તૈયાર કરવાનુ કામ કરશે. માર્ચમાં મોદી સરકારે બજેટ રજુ કરવાનુ છે. એવામાં મતદારોને ધ્યાનમાં રાખી બજેટ ઉપર ચર્ચા થશે. દેશના આર્થિક અને રાજકીય માહોલ પર ચર્ચા બાદ પક્ષ માટે નીતિઓ તૈયાર કરવા અંગે મંથન પણ થશે.

ગુજરાત ચૂંટણીમાં ભાજપનો ભલે વિજય થયો પરંતુ આ વિજય યુપી જેવા વિજયનો માહોલ તૈયાર થઇ શકયો નથી. ગુજરાતમાં કોંગ્રેસની બેઠકો વધવાથી પક્ષના અધ્યક્ષ રાહુલ ગાંધી ઉત્સાહમાં છે અને સતત સત્તા વિરોધી માહોલ તૈયાર કરવામાં લાગ્યા છે. એવામાં આ બેઠકમાં કોંગ્રેસની ગુજરાતમાં સરસાઇ ઉપર પણ મંથન કરવામાં આવશે. ગુજરાત ચૂંટણીમાં ભાજપ છઠ્ઠી વખત સત્તામાં આવ્યુ છે. જીએસટી અને નોટબંધી જેવા મોદી સરકારના કડક નિર્ણયોથી જનતાનું વલણ કેવુ રહ્યુ છે એ અંગે પણ બેઠકમાં મંથન થશે.

ર૦૧૪માં મોદીની લહેરના સહારે કેન્દ્રમાં સત્તા ઉપર આવેલી ભાજપ માટે ગુજરાતના પરિણામોએ નવેસરથી રણનીતિ ઘડવા મજબુર થવાનો સમય આવી ગયો છે. મોદી પીએમ બન્યા બાદ સતત વિજય મેળવી રહેલ ભાજપ ર૦૧૯ની ચૂંટણી માટે કયા પ્રકારની રણનીતિ બનાવશે એ ઉપર પણ ચર્ચા થશે. સાથોસાથ સંઘ પણ પોતે ગ્રામીણ વિસ્તારોમાં પોતાની વગ વધારશે. ચૂંટણીમાં રોજગાર વિપક્ષ માટે મોટો મુદો રહેશે. આ બેઠકમાં સંઘના ભૈયાજી જોષી, દત્તાત્રેય હોંશબોલે અને કૃષ્ણગોપાલ વગેરે હાજર રહે તેવી શકયતા છે.

(10:03 am IST)