Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

પી ચિદમ્બરમની જામીન અરજી ઉપર આજે સુપ્રીમમાં ફેંસલો

પી ચિદમ્બરમની પાંચમી સપ્ટેમ્બરે ધરપકડ થઇ હતી : સુપ્રીમ કોર્ટથી જામીન મળે છે કે કેમ તેના પર નજર હશે

નવીદિલ્હી, તા. ૩ : આઈએનએક્સ મિડિયા કેસમાં ધરપકડ કરવામાં આવેલા પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમની જામીન અરજી ઉપર આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં ફેંસલો થનાર છે. મની લોન્ડરિંગના આરોપમાં પાંચમી સપ્ટેમ્બરના દિવસે ચિદમ્બરમની ધરપકડ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે ગયા ગુરુવારના દિવસે ચુકાદો અનામત રાખ્યો હતો. એ ગાળા દરમિયાન ઇડીએ કોર્ટમાં કહ્યું હતું કે, તેમના પુત્ર કાર્તિની પણ ધરપકડ કરવા માંગે છે. કાર્તિ પ્રોટેક્શન દૂર કરવાને લઇને રાહ જોઈ રહ્યા છે. કાર્તિને જામીન મળેલા છે. બીજી બાજુ ચિદમ્બરમની સામે સકંજો હજુ પણ મજબૂત કરવામાં આવ્યો છે. ચિદમ્બરમની સામે સીબીઆઈએ કેસ દાખલ કર્યો હતો જેમાં તેમને જામીન મળી ચુક્યા છે. હવે ઇડીના કેસમાં જામીન મળે છે તો ચિદમ્બરમ જેલથી બહાર આવી શકે છે. આ પહેલા ઇડીના કેસમાં ચિદમ્બરમે દિલ્હી હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના ઉપર જજે કહ્યું હતું કે, પ્રથમ નજરમાં ગંભીર મામલો છે. અપરાધમાં તેમની ભૂમિકા રહેલી છે. જસ્ટિસ સુરેશે કહ્યું હતું કે, જો ચિદમ્બરમને જામીન આપવામાં આવશે તો આનાથી સમાજ ઉપર ખરાબ અસર થશે. આઈએનએક્સ મિડિયા ગ્રુપને ૨૦૦૭માં ૩૦૫ કરોડ રૂપિયા વિદેશી ફંડ મેળવવાના સંદર્ભમાં અનિયમિતતા જોવા મળી હતી. એવું જાણવા મળ્યું હતું કે, ફંડ માટે મંજુરી આપવામાં એફઆઈપીબીમાં ગેરરીતિ આચરવામાં આવી હતી. એ વખતે નાણામંત્રી તરીકે પી ચિદમ્બરમ હતા. સીબીઆઈએ મે ૨૦૧૭માં ચિદમ્બરમની સામે એફઆઈઆર દાખલ કરી હતી. ચિદમ્બરમની પાંચમી સપ્ટેમ્બરના દિવસે મોડી રાત્રે નાટ્યરીતે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદથી ચિદમ્બરમ કાયદાકીય સકંજામાંથી બહાર આવી શક્યા નથી.

(10:06 pm IST)