Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

ઝેરી ગેસ લીક થતાં હજારો લોકોના તરત જ મોત થયા

ભોપાલ ગેસ દુર્ઘટનાની ખૌફનાક યાદો તાજી : ૨-૩ ડિસેમ્બર ૧૯૮૪ની ખૌફનાક રાતના દિવસે માનવ ઇતિહાસની સૌથી વિનાશકારી ભોપાલ ગેસ દુર્ઘટના થઇ

ભોપાલ,તા. ૨ : ભોપાલમાં માનવ ઇતિહાસની સૌથી મોટી અને વિનાશકારી ઔદ્યોગિક ઘટનાને આજે ૩૪ વર્ષ થયા હોવા છતાં તેની ખૌફનાક યાદો તાજી રહી છે. ઝેરી ગેસ લીક થઇ જવાના કારણે હજારો લોકોના મોત થઇ ગયા હતા અને લાખો લોકોને અસર થઇ હતી. વર્ષો સુધી ભોપાલ ગેસની અસર જોવા મળી હતી. આ તબાહીનો અંત ત્યાં જ થયો ન હતો. આજે પણ તેની વિનાશકતાની અસર જોવા મળી શકે છે. ભોપાલ ગેસ દુર્ઘટનાનું નામ સાંભળતા જ આજે પણ લોકો ધ્રુજી ઉઠે છે. ૨-૩ ડિસેમ્બર ૧૯૮૪ની રાત્રે એક સાઇડ પાઇપ મારફતે ટેંક ઇ-૬૧૦માં પાણી ઘુસી જતાં ટેંકની અંદર જોરદાર રિએક્શનની સ્થિતિ જોવા મળી હતી. ધીરે ધીરે આ સ્થિતિ બેકાબૂ બની હતી. સ્થિતિને ભયાનક બનાવી દેવા માટે પાઈપલાઈન પણ જવાબદાર હતી જેમાં જંગ લાગી જવાના કારણે સ્થિતિ વણસી હતી. જંગ લાગી ગયેલા આયર્નની અંદર પહોંચવાથી ટેંકનું તાપમાન વધીને ૨૦૦ ડિગ્રી સેલ્સિયસ થઇ ગયું હતું જ્યારે તાપમાન મુખ્યરીતે ૪-૫ ડિગ્રી રહેવું જોઇએ. આનાથી ટેંકની અંદર દબાણ વધી ગયું હતું. આનાથી ટેંક ઉપર ઇમરજન્સી પ્રેશર પડ્યું હતું. ૪૫-૬૦ મિનિટના ગાળાની અંદર જ ૪૦ મેટ્રિક ટન એમઆઈસી ખતરનાક ગેસ લીક થઇ જતાં હાહાકાર મચી ગયો હતો. ટેંકમાંથી જંગી પ્રમાણમાં ઝેરી ગેસ લીક થઇ જવાના કારણે સમગ્ર વિસ્તારમાં ફેલાઈ જતાં ગેસના આ વાદળામાં નાઇટ્રોજનના ઓક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ સહિત તમામ ઝેરી ગેસો હતા. ભોપાલના સમગ્ર પૂર્વીય વિસ્તાર સકંજામાં આવી જતાં મોટી સંખ્યામાં લોકોના મોત થવાની શરૂઆત થઇ હતી. ગેસના સંપર્કમાં આવવાથી લોકોને આંખમાં બળતરા, ઉલ્ટીઓ અને શ્વાસ લેવામાં આવી હતી અને લોકોના મોત થવા લાગ્યા હતા. લોકોએ અફડાતફડીમાં ભાગવાના પ્રયાસ કર્યા હતા પરંતુ ગેસનું પ્રમાણ એટલા હદ સુધી ફેલાયું હતું કે, લોકોને બચવાનુ મુશ્કેલ બન્યું હતું. હજારો લોકોના મોત થઇ ગયા હતા. સામૂહિક દફનવિધિ અને અંતિમસંસ્કાર કરાયા હતા. થોડાક દિવસની અંદર જ ૨૦૦૦ પ્રાણીઓના મૃતદેહ પણ મળી આવ્યા હતા.

આસપાસના વૃક્ષો પણ સુકાઈ ગયા હતા. હોસ્પિટલો અને દવાખાનામાં દર્દીઓ ભરાઈ ગયા હતા. એક જ સમયમાં ૧૭૦૦૦ લોકોને દાખલ કરાયા હતા. સરકારી આંકડા મુજબ ૨૨૫૯ લોકોના તરત જ મોત થઇ ગયા હતા. મધ્યપ્રદેશ સરકારે ગેસ દુર્ઘટનાથી થનાર મૃતકોની સંખ્યા ૩૭૮૭ જણાવી હતી. ૨૦૦૬માં સરકારે કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, ગેસ લીક થવાના કારણે ૫૫૮૧૨૫ લોકો ઘાયલ થયા હતા જેમાં ૩૮૪૭૮ લોકો આંશિકરીતે વિકલાંગ બન્યા હતા. ૩૯૦૦ લોકો હંમેશ માટે વિકલાંગ થયા હતા. જન્મ લેનાર બાળકો ઉપર પણ તેની ગંભીર અસર થઇ હતી જેની કેટલીક અસર આજે પણ જોવા મળે છે. આ ઘટનામાં મુખ્ય આરોપી ફેક્ટ્રીના સંચાલક વોરેન એન્ડરસનને બનાવવામાં આવ્યો હતો. ૨૯મી સપ્ટેમ્બર ૨૦૧૪ના દિવસે તેમનું મોત થયું હતું. એન્ડરસન ઘટના બાદ ભારતથી ફરાર થઇ ગયા હતા પરંતુ એન્ડરસનને ભારત લાવવામાં ત્યારબાદ સફળતા મળી ન હતી.

ભોપાલ ગેસ દુર્ઘટના...

ભોપાલ, તા. ૨ : ભોપાલ ગેસ દુર્ઘટનાને ૩૪ વર્ષ થયા છે. આ વિનાશકારી હોનારતની પ્રોફાઇલ નીચે મુજબ છે.

હોનારતની તારીખ................ ૨-૩ ડિસેમ્બર ૧૯૮૪

સ્થળ...................................... ભોપાલ (મધ્યપ્રદેશ)

દુર્ઘટના જાણિતી.................... ભોપાલ ગેસ દુર્ઘટના

કારણ............................................. ઝેરી ગેસ લીક

કંપની............................. યુનિયર કાર્બાઇડ ઇન્ડિયા

મોતનો આંકડો............................................ ૩૭૮૭

મોતન દાવો થય...................................... ૧૬૦૦૦

અસરગ્રસ્તોની સંખ્યા............................. ૫૫૮૧૨૫

અસ્થાયી વિકલાંગ થયા............................ ૩૭૪૭૮

સંપૂર્ણ વિકલાંગ થયા.................................. ૩૯૦૦

પ્રાણીઓના મોત થયા.................................. હજારો

મુખ્ય આરોપી............................. વોરેન એન્ડરસન

(12:00 am IST)