Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

સરકારની બેદરકારીથી કોરોનામાં લોકોનાં મોત થયા : સોનિયા ગાંધી

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષાનાં સરકાર પર પ્રહાર : ચેતવણીઓ મળ્યા બાદ પણ કોરોના સામે લડવા માટેની તૈયારીઓને બાજુ પર મુકયાનો સોનિયા ગાંધીનો આક્ષેપ

નવી દિલ્હી, તા.૩ : કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ કોરોનાની બીજી લહેર દરમિયાન થયેલા લોકોના મોતને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે.

સોનિયા ગાંધીએ એક હિન્દી અખબારમાં લખેલા આર્ટિકલમાં ૧૦૦ કરોડ વેક્સીન ડોઝ આપવા માટે વૈજ્ઞાનિકો, ડોકટરો અને હેલ્થ કેર વર્કર્સનો આભાર માન્યો હતો અને સાથે સાથે કહ્યુ હતુ કે, દાયકાઓના પરિશ્રમના પગલે ઉભી થયેલી વેક્સીન ઉત્પાદન ક્ષમતા અને વૈજ્ઞાનિકોની આવડતના કારણે આ શક્ય બન્યુ છે. તેમણે આગળ લખ્યુ હતુ કે, મોદી સરકારે કોરોના સામે લડવા માટે જે નીતિ અપનાવી હતી તે બહુ દુખદ અને કમનસીબ હતી. દેશમાં જ્યારે કોરોના સંક્રમણની બીજી લહેર ચરમ પર હતી ત્યારે મોદી સરકારની ગુનાઈત બેદરકારીના કારણે સતત લોકો મોતને ભેટી રહ્યા હતા. કોઈ સરકાર આટલી નિષ્ક્રિય કેવી રીતે હોઈ શકે તે મારી સમજની બહાર છે. સંખ્યાબંધ ચેતવણીઓ મળ્યા બાદ પણ કોરોના સામે લડવા માટેની તૈયારીઓને બાજુ પર મુકી દેવાઈ હતી.

સોનિયા ગાંધીના કહેવા પ્રમાણે મોદી સરકાર કોરોના સામેની લડાઈને ઈવેન્ટ મેનેજમેન્ટ માટેની તક સમજી રહી છે. પીએમ મોદીના જન્મ દિવસે ૨ કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યા હતા. આવુ કામ રોજ કેમ નથી થતુ, જન્મ દિવસ પહેલા વેક્સીન ડોઝની જમાખોરી કરવામાં આવી હતી. વેક્સીન આપવાનુ શરૂ કરાયાના ૯ મહિના બાદ પણ ૩૩ ટકા કરતા ઓછી વસતીને જ બે ડોઝ મળ્યા છે. ચાર થી ૧૭ વર્ષની વયના બાળકોને કેવી રીતે વેક્સીન લગાવાશે તેની કોઈ યોજના નથી. બૂસ્ટર ડોઝ માટે પણ સરકાર પાસે કોઈ સ્ટ્રેટેજી નથી.

તેમના મતે પીએમ મોદી વેક્સીન મફત મળી રહી છે તે વાત પર ભાર મુકે છે પણ તે એવુ નથી કહેતા કે, ભારતમાં રસી હંમેશા મફત જ આપવામાં આવી રહી છે. આપણા દેશની ૧૦ ટકા વસતી હજી પણ વેક્સીન ખરીદી શકે તેમ નથી. આમ છતા સરકાર ૨૫ ટકા ડોઝ પ્રાઈવેટ સેક્ટરને આપી રહી છે. જેનાથી વેક્સીનેશન પર અસર પડી રહી છે.

(8:01 pm IST)