Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

નવાબ મલિક માર્કેટમાં કપડાનો ભાવ પૂછથી શકે છેઃ સમીર વાનખેડે

એનસીપી નેતા નવાબ મલિકના આરોપનો સમીર વાનખેડેએ જવાબ આપ્યો : એક બીજા ડ્રગ પેડલરના મોબઈલની વોટસએપ ચેટ શેર કરીને બોગસ આરોપો લગાવાઈ રહ્યા હોવાનો દાવો

મુંબઈ, તા.૨ : મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિકે લગાવેલા આરોપોનો એનસીબી ઓફિસર સમીર વાનખેડેએ જવાબ આપ્યો છે. મોંઘા કપડા અને શૂઝ પહેરવાના આરોપનો જવાબ આપતા વાનખેડેએ કહ્યુ છે કે, લોખંડવાલા માર્કેટ જઈને નવાબ મલિક કપડાનો ભાવ પૂછી શકે છે.

તેમણે કહ્યુ હતુ કે, સલમાન નામના ડ્રગ પેડલર થકી મારા પરિવારને ફસાવવાની કોશિશ કરાઈ છે. સલમાને મારી બહેનનો સંપર્ક કર્યો હતો પણ મારી બહેને તેનો કેસ લેવાની ના પાડી દીધી હતી. કારણકે તે નાર્કોટિક્સને લગતા કેસ જોતી નથી. સલમાન નામના પેડલરે વચેટિયા થકી અમને ટ્રેપ કરવાની કોશિશ કરી હતી.

તેણે મુંબઈ પોલીસ સમક્ષ એક બોગસ ફરિયાદ પણ કરી હતી. વાનખેડેએ કહ્યુ હતુ કે, એક બીજા ડ્રગ પેડલરના મોબઈલની વોટસએપ ચેટ શેર કરીને બોગસ આરોપો લગાવાઈ રહ્યા છે.

તેની પહેલા પણ ધરપકડ થઈ ચુકી છે અને તે જેલમાં છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા નવાબ મલિકે નવો આક્ષેપ કરીને કહ્યુ હતુ કે, વાનખેડે જે લુઈ વિટોન બ્રાન્ડના શૂઝ પહેરે છે તે બે લાખ રૂપિયાના હોય છે. બરબરી બ્રાન્ડનો શર્ટ પહેરે છે જે ૫૦૦૦૦ રૂપિયાનો આવે છે. ટી શર્ટ ૩૦૦૦૦ રૂપિયાની હોય છે. વાનખેડેના પેન્ટ પણ લાખોની કિંમતના હોય છે. તેઓ ૨૫ થી ૩૦ લાખ રૂપિયાની તો ઘડિયાળ પહેરે છે.

(12:00 am IST)