Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

આજે વર્લ્ડ બાયસિકલ ડે

રોજ માત્ર ૨૦ મિનિટ કરો સાયકલીંગઃ વિવિધ બિમારીઓ આપમેળે ભાગી જશે

સાયકલના પેડલ ઘુમાવશો તો તંદુરસ્તીનું પેડલ પણ ફરવા લાગશેઃ નિયમિત સાયકલીંગથી ઈમ્યુનીટી વધશેઃ જોડાઈ જાવ સાયકલ કલબમાં

જો તન તંદુરસ્ત હશે તો મન તંદુરસ્ત બનશે અને જો તન-મન તંદુરસ્ત હશે તો જીવન સ્વસ્થ અને જીવવા જેવુ લાગશે.

તન-મનને મજબુત અને તંદુરસ્ત બનાવવાનો સરળ ઉપાય નિયમિત સાયકલીંગ છે.

આજે વિશ્વની માનવજાત વિકાસના ઉન્નત શિખરો સર કરીને જીવનને જીવવા જેવુ બનાવવામાં વ્યસ્ત છે, પરંતુ વિકાસની આ ભોગવાદી યાત્રામાં માનવી પોતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં થાપ ખાઈ ગયેલ છે. જેના કારણે વિકાસની સાથે વૈશ્વિક બિમારીઓએ પણ માનવીને સુખી જીવનથી અલિપ્ત કરી દીધો છે.

વર્તમાન સમયમાં વિશ્વના બૌદ્ધિક લોકો વિકાસની સાથે માનવીને શારીરિક ક્ષમતાની વૃદ્ધિ કરવા સમજાવી રહ્યા છે. આ વિકાસના ફળ માનવીઓએ લાંબા ગાળા સુધી આપવા હશે તો તન-મનથી તંદુરસ્ત બનવુ પડશે.

આજે વિશ્વ સાયકલીંગ દિવસે માનવજાતને અને યુવા ભાઈ-બહેનોને એક જ સંદેશો આપવો પ્રસ્તુત છે અને તે છે તન-મન તંદુરસ્ત બનાવવા નિયમીત સાયકલીંગ કરવાની આદત પાડી લેવી.

વહેલી સવારે સાંજના સમયે અથવા રાત્રીના સમયે ભોજન બાદ વામકુક્ષી - ટહેલવાના બદલે સાયકલીંગ કરવામાં આવે તો તેના અનેક ફાયદા અને લાભ મળી શકે છે.

આજે ઘણા બધા શહેરોમાં સાયકલીંગ કલબ - વ્યકિગત સાયકલીંગ કે ગ્રુપ સાયકલીંગ નિયમીત રીતે વૈજ્ઞાનિક સમજ  સાથે કરવામાં આવી રહેલ છે. પરંતુ આ શરૂઆત છે. આપણે નિયમિત સાયકલીંગ ને આદત તરીકે કેળવવાની જરૂર છે. ગોંડલના શ્રી ભુવનેશ્વરી પીઠના અધ્યક્ષ અને વિવિધ ક્ષેત્રો જેવા કે અશ્વઉછેર, ગીર ગાય સંવર્ધન, આયુર્વેદ ઉત્પાદન તેમજ સામાજીક સેવાઓ સામે રાયફલ-પીસ્તોલ શૂટીંગ એકેડેમીના સ્થાપક શ્રી ઘનશ્યામજી મહારાજએ આજથી ર૧ વર્ષ પહેલા ગોંડલમાં સાયકલીંગ કલબની સ્થાપના પ્રકૃતિપ્રેમી હિતેષ દવે, ગીરીશ રાવલ મનીષભાઇ જહાટકીયા અને બીજા પ૦ જેટલા મીત્રો સાથે ગોંડલ સાયકલ હેલ્થ કલબની શરૂઆત કરી હતી. હાલમાં આ ગોંડલ સાયકલ હેલ્થ કલબમાં ર૦૦ થી વધુ નાના મોટા ભાઇ-બહેનો સભ્ય છે અને તેઓ છેલ્લા બે વર્ષથી નિયમિત સાયકલીંગ કરી રહેલ છે. ગોંડલમાં ગોંડલ સાયકલ હેલ્થ કલબના મિત્રો જેમાં આઠ વર્ષના બાળકથી લઇ ૬પ વર્ષના વયોવૃધ્ધ યુવાન સાયકલીંગ પ્રવૃતિમાં જોડાયેલ છે. મનીષભાઇ જહાટકીયા, હિતેષ દવે, ડો. દીપક લંગાલીયા, કુલદીપ, અતુલભાઇ દિપ્તીબેન, મનીષાબેન વગેરેની આગેવાની અને માર્ગદર્શન હેઠળ ગોંડલમાં નિયમીત સાયકલીંગ કરવાની એક જોરદાર ઝૂંબેશના પરીણામે વિદ્યાર્થી ભાઇ-બહેનો - વેપારીઓ- યુવાનો - ગૃહીણીઓ અને અધિકારી વર્ગ અને ડોકટર્સ ગ્રુપ, પોતાની ફુરસદે નિયમિત સાયકલીંગ કરી રહ્યા છે.

ગોંડલ સાયકલ હેલ્થ કલબના સભ્યો નિયમિત સાયકલીંગ સાથે વૃક્ષોનું વાવેતર, સફાઇ અભિયાન, સાયકલીંગ ચેલેન્જ ઇવેન્ટસમાં ભાગ લઇ ગોંડલનું ગૌરવ વધારી રહ્યા છે. રપ, પ૦, ૧૦૦, ર૦૦, ૩૦૦ કી. મી. સાયકલીંગ ચેલેન્જમાં ગોંડલના યુવા ભાઇ-બહેનો વિશાળ સંખ્યામાં ભાગ લઇ વિજેતા થઇ રહ્યા છે.

ભગવતભૂમિ ગોંડલથી પ્રારંભ થયેલ સાયકલીંગ અવેરનેશની આ ઝૂંબેશ આજે નાના-મોટા શહેરોમાં સાયલીંગ ગ્રુપ, સાયકલીંગ કલબના બેનર હેઠળ તન-મન- તંદુરસ્ત બનાવવા સાથે નિયમિત સાયકલીંગ કરી વૈશ્વિક બિમારી સામે મજબુત શારિરીક ક્ષમતા નિર્માણ કરી રહયા છે.

આજે વિશ્વ સાયકલીંગ દિવસ ઉજવણી અન્વયે માનવ માત્રને એક જ સંદેશ આપ્યાની ઇચ્છા થાય છે કે વર્ષોની જહેમત અને સંઘર્ષ બાદ મેળવેલ વિકાસના મીઠાફળ આપણે અને આપણી ભાવી પેઢી લાંબા સમય સુધી આસ્વાદ માણી શકે તે માટે નિયમીત સાયકલીંગએ એક શ્રેષ્ઠી અને સરળ ઉપાય અને ઉતમ સાધન છે. આવો પરીવારમાં નાના મોટા સૌ નિયમીત સાયકલીંગ કરીએ જેથી પેટ્રોલની બચત પર્યાવરણને સમૃધ્ધ અને પ્રદુષણને ઘટાડવામાં અને આર્થીક બચતનો પ્રયાસ પણ નિયમીત સાયકલીંગ વર્ક ઓન સાયકલ નાના હોય કે મોટા સાયકલીંગની આદત પાડીએ.

આજે વિશ્વના વિકસીત દેશોના બૌધ્ધીક નાગરીકો વર્તમાન સમયની શારીરીક સ્વાસ્થ્યની ઉપયોગીતાને ધ્યાને લઇ વધુને વધુ સાયકલીંગ કરવા પ્રત્યે સજાગ થઇ સાયકલીંગ કરી રહેલ છે.  વિશ્વને સાયકલીંગ પ્રત્યે જાગૃત કરવામાં નેધરલેન્ડ આ બાબતે પાયોનીયર દેશ છે જે સમગ્ર વિશ્વમાં લોકોને સાયકલીંગ કરવા આગેવાની લઇ રહેલ છે. આપણા સૌરાષ્ટ્રમાં વિશ્વ સાયકલીંગ અવેરનેસ ફાઉન્ડેશન દ્વારા રાજકોટમાં દિવ્યેશ અઘેરા અને ગોંડલમાં મનીષ જહાટકીયાને શહેર સાયકલ મેયર તરીકે નિયુકત કરી તેમની સાયકલીંગ અવેરનેસ એકટીવીટીને એવોર્ડથી સન્માનીત કરેલ છે જે સૌરાષ્ટ્ર માટે ગૌરવની બાબત છે.(૨-૧)

(10:10 am IST)