Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

યુપીમાં શુક્રવાર રાતથી ગુરૂવાર સવારના સાત સુધી લોકડાઉન

કોરોના પર નિયંત્રણ ન મેળવી શકાતા વધુ પગલાં : અઠવાડિયાના માત્ર બે દિવસ ગુરુવાર સવારે ૭ વાગ્યાથી શુક્રવારે રાત્રે આઠ વાગ્યા સુધી જ છુટછાટ મળી શકશે

લખનૌ, તા. ૩ : કોરોનાની સ્થિતિ પર કાબૂ મેળવવા માટે એક તરફ લોકડાઉનની માંગણી વચ્ચે સુપ્રીમ કોર્ટે પણ કેન્દ્ર અને રાજ્ય સરકારને તેના પર વિચાર કરવા માટે કહ્યું છે ત્યારે યુપી સરકારે વિકએન્ડ લોકડાઉનમાં વધુ બે દિવસ ઉમેરવામાં આવ્યા છે. એટલે કે હવે શુક્રવારે રાત્રે ૮ વાગ્યે શરુ થનારું વીકએન્ડ લોકડાઉન ગુરુવારના સવાર ૭ વાગ્યા સુધી યથાવત રહેશે. એટલે કે અઠવાડિયાના બે દિવસ ગુરુવાર સવારે ૭ વાગ્યાથી શુક્રવારે રાત્રે ૮ વાગ્યા સુધી જ મુક્તિ મળશે.

કોરોના સંક્રમણને જોતા ઉત્તરપ્રદેશમાં વીકએન્ડ લોકડાઉન આગામી ૨ દિવસ સુધી વધારવામાં આવ્યું છે. જેમાં હવે ૬ મેએ સવારે ૭ વાગ્યા સુધી પ્રતિબંધો યથાવત રહેશે. આ પહેલા યુપીમાં ત્રણ દિવસના વીકએન્ડ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી હતી જે મંગળવારે સવારે ૭ વાગ્યે સમાપ્ત થતું હતું. પરંતુ હવે તેમાં ૪ અને ૫ એમ બે દિવસ વધારવામાં આવ્યા છે.

વીકએન્ડ લોકડાઉન દરમિયાન પ્રતિબંધો રહેશે, પરંતુ જરુરી વસ્તુઓ દુકાનો અને જરુરી સેવાઓ ચાલુ જ રહેશે. રાજ્યમાં અચાનક આવેલા કોરોનાના કેસમાં ઉછાળાના કારણે નિયંત્રણો લગાવવામાં આવ્યા છે.

રવિવારે રાજ્યમાં વધુ ૩૦,૯૮૩ દર્દીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે જે પહેલા શનિવારે આ આંકડો ૩૦,૩૧૭ હતો. ગઈકાલે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ એક દિવસમાં ૨,૯૭,૦૨૧ કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે.

બીજી તરફ રાજ્યમાં નવા નોંધાયેલા કેસ કરતા સાજા થયેલા દર્દીઓનો આંકડો મોટો નોંધાયો છે. પાછલા ૨૪ કલાકમાં રાજ્યમાં ૩૬,૬૫૦ દર્દીઓ કોરોનાને હરાવીને સાજા થયા છે. જ્યારે વધુ ૨૯૦ દર્દીઓએ કોરોનાની સામે દમ તોડ્યો છે, રાજ્યમાં કુલ કોરોનાના મૃત્યુનો આંક ૧૩,૧૬૨ પર પહોંચ્યો છે.

યુપીમાં લોકડાઉ દરમિયાન રહેશે આ પ્રકારના નિયંત્રણોઃ જરુરી સેવાઓ સાથે જોડાયેલા લોકોના પાસ ઈશ્યુ કરવામાં આશે, મૉલ, જિમ, સ્પા અને ઓડિટોરિયમ બંધ રહેશે, રેસ્ટોરન્ટ ખુલ્લા રહેશે, પરંતુ માત્ર હોમ ડિલિવરીની જ મંજૂરી મળશે, અન્ય રાજ્યોમાં આવા-ગમન પર રોક નહીં, લગ્ન સમારોહના આયોજનમાં માત્ર ૫૦ લોકો જ જોડાઈ શકશે, દિવસ દરમિયાન લગાવવામાં આવેલા પ્રતિબંધોની સાથે રાત્રી કર્ફ્યૂ યથાવત રહેશે, સાર્વજનિક બસોને ૫૦% ક્ષમતા સાથે ચલાવવાની મંજૂરી અપાઈ, અંતિમ સંસ્કાર માટે વધારેમાં વધારે ૨૦ લોકોને જવાની મંજૂરી અપાઈ છે.

(7:43 pm IST)