Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

નકસલીઓ સાથે મધ્યસ્થતા કરવા માટે ઈચ્છુક છે : અન્ના

નકસલવાદની સમસ્યા વાતચીતથી ઉકેલાશે : બંદૂકથી સમસ્યા વધુ ગંભીર બની શકે છે : અન્નાનો મત

અહેમદનગર, તા. ૩ : સામાજિક કાર્યકર અને ગાંધીવાદી નેતા અન્ના હજારેએ કહ્યું છે કે નકસલવાદની સમસ્યાને ગોળીના બદલે વાતચીતથી ઉકેલવામાં આવે તે જરૂરી છે. તેમણે કહ્યું હતું કે સરકાર મંજુરી આપે તો તેઓ સરકાર અને નકસલવાદીઓ વચ્ચે વાતચીત કરવા માટે મધ્યસ્થીની ભૂમિકા કરવા માટે તૈયાર છે. તાજેતરમાં જ મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં સી-૬૦ કમાન્ડો જીપ પર નકસલવાદીઓએ હુમલો કર્યો હતો. જેમાં ૧૬ જવાન શહીદ થયા હતા. અન્ના હજારેનું કહેવું છે કે દરેક વ્યક્તિને કોઈને કોઈ સમસ્યા હોય છે પરંતુ સમસ્યાઓને ઉકેલવા માટે યોગ્ય તરીકા હોવા જોઈએ. સમસ્યાનો ઉકેલ બ્લાસ્ટ, ગોળીબાર અથવા તો માસુમ લોકોની હત્યા કરવાને હોઈ શકે નહીં. દરેક સમસ્યાનો ઉકેલ બંદુકથી આવી શકે તેમ નથી. આનાથી સમસ્યા વધારે જટીલ હોઈ શકે છે. અન્નાએ વાતચીતમાં કહ્યું હતું કે ઈતિહાસ સાક્ષી છે કે વાતચીત મારફતે તલવારને પણ મુકી દેવામાં આવે છે. આ પંરપરાને ભુલવાની જરૂર નથી. દરેક સમસ્યાનો માનવીય ઉકેલ રહેલો છે. અમે નકસલવાદના મુદ્દા પર દરમિયાનગીરી કરવા માટે ઈચ્છુક છીએ. તેમની પાસે કોઈ મોટી તાકાત નથી. અન્નાએ કહ્યું હતું કે રાષ્ટ્ર અને સમાજનો હેતુ છે જેથી તેઓ દરમિયાનગીરી કરવા માટે તૈયાર છે.

સરકારને પણ આની જડ સુધી જવાના પ્રયાસ કરવા જોઈએ. હકીકતમાં સમસ્યા શું છે તેને સમજીની આગળ વધવાની જરૂર છે. આનાથી સમસ્યાનો ઉકેલ આવશે. દરેક વ્યક્તિને માહિતી હોવી જોઈએ કે આવી ઘટનાઓનો રાજકીય ઉપયોગ કરવાની બાબત યોગ્ય નથી. ગઢચિરોલીમાં હાલમાં જ કરાયેલા આઈઈડી બ્લાસ્ટમાં સી-૬૦ કમાન્ડો પૈકીના ૧૬ કમાન્ડોના મોત થયા હતા.

(8:19 pm IST)