Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

વૈશ્વિક આતંકવાદી જાહેર કરાયેલ મસુદ અઝહર 1994માં પોર્ટુગીઝ પાસપોર્ટ પર ભારતમાં ઘુસ્‍યો હતોઃ અધિકારીને શંકા જતા કહ્યું હું ગુજરાતથી છું અને પોર્ટુગલમાં રહુ છું

નવી દિલ્હી: પુલવામા આતંકી હુમલા માટે જવાબદાર જૈશ એ મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરી દેવાયો છે. જેની પાછળ ભારતની નિર્ણાયક ભૂમિકા રહી છે. હકીકતમાં ભારતે જે પુરાવા આતંરરાષ્ટ્રીય સમુદાયને સોંપ્યા તેના આધારે જ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરી શકાયો.

વાત જાણે એણ છે કે 1994માં મસૂદ અઝહરને જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં પકડવામાં આવ્યો હતો. ત્યારબાદ તપાસ એજન્સીએ તેની પાસેથી અનેક રહસ્યો ઓકાવ્યાં હતાં. જેના આધારે ભારતીય ગુપ્તચર એજન્સીઓએ અઝહર વિરુદ્ધ અનેક પુરાવા ભેગા કર્યા હતાં. આ રિપોર્ટમાં તેણે પોતે સ્વીકાર્યું હતું કે તે આતંકી સંગઠન સાથે જોડાયેલો છે. ગુપ્તચર એજન્સીઓના તે રિપોર્ટ(Interrogation report) થી જે પુરાવા ભારતે ભેગા કર્યા તેની અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવામાં મોટી ભૂમિકા રહી છે.

તે રિપોર્ટ મુજબ મસૂદ અઝહરને સૌથી પહેલા 11 ફેબ્રુઆરી 1994ના રોજ અનંતનાગમાં પકડવામાં આવ્યો હતો. તે વખતે તેણે જણાવ્યું હતું કે તે સંગઠન હરકત ઉલ અંસાર નામના આતંકી સંગઠન સાથે જોડાયેલો છે. તે સમયે તે સંગઠનનો સેક્રેટરી જનરલ હતો. તેણે એ પણ જણાવ્યું હતું કે તે પાકિસ્તાનના બહાવલપુરના મોડલ ટાઉનમાં કૌસર કોલોનીનો રહીશ છે. તેની અફઘાનિસ્તાનમાં આતંકી ટ્રેનિંગ પણ થઈ હતી.

મસૂદ અઝહરે  પૂછપરછમાં જણાવ્યું કે તે પાકિસ્તાની છે અને ભારતમાં તે વલી અદમ ઈસા નામના પોર્ટુગીઝ પાસપોર્ટ દ્વારા દાખલ થયો છે. મસૂદ અઝહરે એ પણ જણાવ્યું હતું કે, 'જ્યારે ઈમીગ્રેશન કાઉન્ટર પર હાજર અધિકારીને મારા પોર્ટુગીઝ હોવા પર શક થયો તો મેં તેને જણાવ્યું કે હું ગુજરાતથી છું અને પોર્ટુગલમાં રહું છું. પૂછપરછમાં મસૂદ અઝહરે જણાવ્યું કે તે દિલ્હી અને લખનઉ ગયો હતો અને ત્યારબાદ શ્રીનગર પહોંચ્યો હતો.'

(12:00 am IST)