Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

માત્ર RO પાણીથી જ થશે મહાકાળનો અભિષેક: ધોવાણ અટકાવવા સુપ્રીમ કોર્ટનો નિર્ણય:પૂજા -સામગ્રીનું પ્રમાણ નક્કી કરવા આદેશ

ઉજ્જૈનઃ શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ પર માત્ર આરઓ પાણી ચઢાવવામાં આવશે જ્યોતિર્લિંગનું ધોવાણ અટકાવવા માટે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે ઉપરાંત સુપ્રીમ કોર્ટે જ્યોતિર્લિંગ પર ચઢાવાતા દૂધ અને પૂજાની સામગ્રીનું પ્રમાણ પણ નિશ્ચિત કરવા માટે આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયથી સ્પષ્ટ છે કે મંદિર સમિતિ દ્વારા કરાયેલી ભલામણોને સ્વીકારી લેવાઈ છે.

   મહાકાળમાં જળાભિષેક, દુધનો અભિષેક અને પૂજન સામગ્રી ચઢાવવાથી શિવલિંગનું ધોવાણ થઈ રહ્યું હતું. તેના કારણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. તેના પર કોર્ટે એક સ્પેશિયલ કમિટિ બનાવીને ધોવાણ અને તેના કારણોની તપાસ કરાવી. એક્સપર્ટ કમિટિએ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને તપાસ કર્યા બાદ કેટલાક ઉપાયોનું સૂચન કર્યું હતું. અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ઘણા નિર્દેશ આપ્યા હતા.

  તેના પર નિર્ણય આપતા સુપ્રીમ કોર્ટે જ્યોતિર્લિંગ પર અભિષેક માટે માત્ર આરઓના પાણીનો ઉપયોગ કરવાનો આદેશ કર્યો છે. ધોવાણથી બચાવવામાટે સર્વોચ્ચ અદાલતે નિર્ણય લીધો છે. ઉપરાંત સુપ્રીમ કોર્ટે શિવલિંગ પર ચઢાવાતા દૂધ, બિલીપત્ર અને પૂજાની સામગ્રીનું પ્રમાણ પણ નક્કી કર્યું છે. સુપ્રીમ કોર્ટે મંદિર સમિતિના સૂચનોને માન્ય રાખી નિર્ણય આપ્યો છે.

   મહાકાળ જ્યોતિર્લિંગના અભિષેક માટે અત્યાર સુધી કોટિતીર્થ કુંડના પાણીનો ઉપયોગ થયો હતો. કોટિતિર્થમાં મંદિરની પાછળ સ્થિત રુદ્રસાગરનું જળ બહાર આવે છે. કહેવાય છે કે રુદ્રસાગરમાં ક્ષિપ્રા નદીનું પાણી આવે છે. પરંતુ ક્ષિપ્રાના પ્રદૂષિત થવાના કારણે તે પાણીથી મહાકાળ જ્યોતિર્લિંગને પણ નુકસાન થઈ રહ્યું છે.

સુપ્રીમ કોર્ટમાં જ્યોતિર્લિંગ ધોવાણ સંબંધે અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના એક્સપર્ટની કમિટિની રચના કરીને ધોવાણની તપાસ માટે આદેશ આપ્યો હતો. પહેલા ટીમે જ્યોતિર્લિંગનું માપ લીધું અને સાથે શિવલિંગ પર રહેલા પંચામૃતના નમૂના લીધા. પછી પાણીના એક્ટપર્ટની એક ટીમને મહાકાળને અર્પિત કરાતા પાણીના નમૂના લીધા. ઉપરાંત મંદિર પરિસર સ્થિત કોટિતીર્થ કુંડ, લગભગ 100 મીટર દૂર સ્થિત રુદ્રસાગર અને ક્ષિપ્રા નદીના પાણીના નમૂનાની તપાસ કરી. સાથે ટીમે પરિસરમાં સ્થિત જૂના મહાકાળ, અનાદિકલ્પેશ્વર મહાદેવ સહિત અન્ય મંદિરમાં પણ તપાસ કરી હતી.

(12:00 am IST)