Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

મોબાઇલમાં મસ્ત નર્સે વાતો-વાતોમાં મહિલાને ર વખત લગાવી દીધી કોરોના વેકસીન

ભૂલની જાણ થયા બાદ નર્સે મહિલાને તમે ઉભા થઇને જતા કેમ ન રહ્યા તેમ કહીને ગુસ્સો કર્યો

નવી દિલ્હી, તા. ૩ : ભારતમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે અને કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આ સાથે જ ગુરૂવારથી દેશભરમાં વેકિસનેશન અભિયાનનો ત્રીજો તબક્કો પણ ચાલુ થઈ ગયો છે. ત્યારે આ વાયરસની ગંભીરતા વચ્ચે પણ ભારે મોટી બેદરકારી સામે આવી છે અને તે પણ સ્વાસ્થ્ય વિભાગ તરફથી. કાનપુર ગ્રામીણ વિસ્તારમાં એક એએનએમ નર્સે મહિલાને બે વખત વેકિસન આપી દીધી હતી.

કાનપુરના ગ્રામીણ મડૌલી પીએચસી ખાતે કોરોના વેકિસન અપાઈ રહી છે. વેકિસન લેવા પહોંચેલી કમલેશ દેવી નામની એક મહિલાને એક જ સાથે બે વખત વેકિસન આપી દેવાઈ હતી. કામના સમયે ફોનમાં વ્યસ્ત એએનએમ નર્સે મહિલાને એક જ જગ્યાએ બે વખત વેકિસન આપી દીધી હતી. બાદમાં મહિલા તેને વઢી એટલે તેણે પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી. જો કે, મહિલાના પરિવારજનોને આની જાણ થતાં જ તેમણે હંગામો મચાવી દીધો હતો.  કમલેશ દેવીના કહેવા પ્રમાણે એએનએમ ફોનમાં વાત કરવામાં ખૂબ જ મશગૂલ હતી. વેકિસન બાદ તેઓ ત્યાં બેસી રહ્યા હતા અને તેણે તેમને જવા પણ નહોતુ કહ્યું. બાદમાં વાત કરતા કરતા તે એક વખત વેકિસન અપાઈ ચુકી છે તે ભૂલી ગઈ અને બીજી વખત પણ વેકિસન આપી દીધી હતી. મહિલાએ જ્યારે શું બે વખત વેકિસન આપવામાં આવે છે તેવો સવાલ કર્યો ત્યારે નર્સને પોતાની ભૂલની જાણ થઈ હતી. પરંતુ તેણે સામે ગુસ્સો કરીને તમે વેકિસન લગાવાયા બાદ જતા કેમ ન રહ્યા તેમ કહી ઝગડો કર્યો હતો. કમલેશ દેવીના કહેવા પ્રમાણે તેઓ સ્વસ્થ છે પરંતુ તેમને વેકિસન લીધી તે જગ્યાએ સોજો આવી ગયો છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડીએમએ તપાસના આદેશ આપ્યા છે.

(3:58 pm IST)