Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

ચલણી નોટ ઉપર ગાંધીજીની તસવીર દૂર કરવાની અનેક વખત માંગ થતી રહે છે પરંતુ આરબીઆઇએ આ પગલુ ક્‍યારેય ભર્યું નથી

નવી દિલ્હીઃ મોહનદાસ કરમચંદ ગાંધી, મહાત્મા ગાંધી કે પછી બાપુ, તમે જે કોઈ નામથી તેમને બોલાવો, ગાંધીજી દરેક સમયે પ્રસ્તુત છે.  પછી તે 2 ઓક્ટોબર ગાંધી જયંતી હોય, 30 જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિન હોય, સ્વતંત્રતા દિવસની ઉજવણી હોય કે પછી પ્રજાસત્તાક દિવસની ઉજવણી હોય.... બાપુને દરેક સમયે લોકો યાદ કરતા રહે છે. મહાત્મા ગાંધી એક એવી વ્યક્તિ છે, જેમની તસવીરનો ભારતીય ચલણમાં ટ્રેડમાર્ક તરીકે ઉપયોગ કરાયો છે. ચલણી નોટ પરથી ગાંધીજીની તસવીર દૂર કરવાની અનેક વખત માગ થતી રહી છે, પરંતુ RBIએ આ પગલું ક્યારેય ભર્યું નથી.

કરન્સી ટ્રેડમાર્ક છે ગાંધીજી

ભારતની ચલણી નોટો પર ગાંધીજીની તસવીર મુકવામાં આવેલી છે. દેશી કાળ પર છપાતી નોટો પર પણ આ તસવીર અંકિત કરેલી છે. સવાલ એ છે કે ગાંધીજીની તસવીર આવી ક્યાંથી, જે ઐતિહાસિક અને ભારતીય ચલણી નોટનો ટ્રેડમાર્ક બની ગઈ. હકીકતમાં, આ માત્ર પોટ્રેટ ફોટો નથી, પરંતુ ગાંધીજીની સંલગ્ન તસવીર છે. આ તસવીરમાંથી જ ગાંધીજીનો ચહેરો પોટ્રેટના સ્વરૂપમાં લેવાયો છે.

ક્યાંની છે તસવીર?

આ તસવીર એ સમયે ખેંચવામાં આવી હતી, જ્યારે ગાંધીજીએ તત્કાલિન બર્મા અને ભારતમાં બ્રિટિશ સેક્રેટરી તરીકે કામ કરતા ફ્રેડરિક પેથિક લોરેન્સ સાથે કોલકાતા ખાતેના વાઈસરોય હાઉસમાં મુલાકાત કરી હતી. એ તસવીરમાંથી જ ગાંધીજીનો ચહેરો પોટ્રેટ તરીકે ભારતીય ચલણી નોટોમાં ઉપયોગમાં લેવાય છે.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ કર્યો હતો ફેરફાર

આપણે આજે ભારતીય નોટો પર ગાંધીજીની જે તસવીર જોઈએ છી, ત્યાં પહેલા અશોક સ્તંભ રહેતો હતો. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા 1996માં ચલણી નોટોમાં પરિવર્તન કરવાનો નિર્ણય લેવાયો હતો. તેના અનુસાર અશોક સ્તંભના સ્થાને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો ફોટો અને અશોક સ્તંભનો ફોટો નોટની નીચે ડાબી બાજુએ મુકવામાં આવ્યો હતો. અત્યારે સુધી રૂ.5 થી રૂ.1000ની નોટમાં ગાંધીજીનો ફોટો દેખાતો હતો. 1987માં જ્યારે રૂ.500ની નોટ પ્રથમ વખત ચલણમાં આવી ત્યારે તેમાં ગાંધીજીનો વોટરમાર્ક ઉપયોગ કરાયો હતો.

માત્ર રૂ.1ની નોટ ભારત સરકાર બહાર પાડે છે

'કરન્સી ઓફ ઓર્ડિનન્સ'ના નિયમાનુસાર ભારત સરકાર દ્વારા માત્ર રૂ.1ની નોટ બહાર પાડવામાં આવે છે. રૂ.2થી માંડીને રૂ.2000 સુધીનું ચલણ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવે છે. વર્તમાનમાં રૂ.2ની નોટનું ઉત્પાદન બંધ છે, પરંતુ જુની નોટો હજુ પણ ચલણમાં છે.

મહાત્મા ગાંધી પહેલા હતી કિંગ જ્યોર્જની તસવીર

આ અગાઉ ભારતની ચલણી નોટો પર કિંગ જ્યોર્જની તસવીર રહેતી હતી. ભારતીય રૂપિયો 1957 સુધી 16 આનામાં ગણતરીમાં લેવાતો હતો. ત્યાર પછી ભારતીય ચલણમાં દશાંસ પદ્ધતિનો સ્વીકાર કરકાયો અને એક રૂપિયાનું નિર્માણ 100 પૈસામાં કરવામાં આવ્યું. મહાત્મા ગાંધીની તસવીરવાળી કાગળની નોટોની શરૂઆત વર્ષ 1996થી થઈ હતી, જે હજુ પણ ચલણમાં છે.

(5:29 pm IST)