Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

IL&FS મેનેજમેન્ટ પર આખરે સરકારનો કબજો : નવું બોર્ડ રચાયું

સત્યમ બાદ પ્રથમ વખત પ્રાઇવેટ કંપની પર સરકારનો કબજો : ૮મીએ નવા છ સભ્યોના બોર્ડની બેઠક યોજાશે : માત્ર આઈએલએન્ડએફએસ પર ૧૬૫૦૦ કરોડનું દેવું : સાથી કંપનીઓ સાથે મળી દેવું ૯૧૦૦૦ કરોડ

નવી દિલ્હી,તા. ૧ : વ્યાજની રકમ નહીં ચુકવવાની સ્થિતિના પરિણામ સ્વરુપે ચર્ચામાં રહેલી સંકટગ્રસ્ત કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિઝિંગ એન્ડ ફાઇનાન્સિયલ સર્વિસ લિમિટેડના મેનેજમેન્ટ ઉપર સરકારે કબજો કરી લીધો છે. રાષ્ટ્રીય કંપની કાયદા અથવા તો નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ દ્વારા આજે જણાવવામાં આવ્યું હતું કે, સત્યમ કોમ્પ્યુટર બાદ પ્રથમ વખત પ્રાઇવેટ કંપની પર હવે સરકારનો કબજો થઇ ગયો છે. આઈએલએન્ડએફએસ માટે નવા બોર્ડની રચના કરવામાં આવી છે. બોર્ડની બેઠક અને છ સભ્યો૮મી ઓક્ટોબર પહેલા મળશે જેમાં અન્ય પાસાઓ ઉપર ચર્ચા કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા મંજુરી આપી દેવામાં આવી છે. સરકાર તરફથી કોર્પોરેટ મામલાના મંત્રાલય દ્વારા એનસીએલટીમાં આની અરજી કરી હતી. હવે સરકાર આઈએલએન્ડએફએસના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં છ સભ્યોની નિમણૂંક કરશે. નવા બોર્ડમાં કોટક મહિન્દ્રા બેંકના એમડી ઉદય કોટક, આઈએએસ ઓફિસર વિનિત નય્યર, પૂર્વ સેબી વડા જીએન વાજપેયી, આઈસીઆઈસીઆઈ બેંકના પૂર્વ ચેરમેન જીસી ચતુર્વેદી, આઈએએસ ઓફિસર માલિની શંકર અને નંદ કિશોર સામેલ છે. નવા સભ્યોના નિર્દેશક મંડળની પ્રથમ બેઠક ૮મી ઓક્ટોબરના દિવસે મળશે. દશકોથી એએએ રેટિંગ મેળવનાર આ કંપની ઉપર છેલ્લા કેટલાક વર્ષથી દેવાનું સ્તર ખુબ વધી ગયું હતું. છેલ્લા બે મહિનામાં તેની હાલત ખુબ જ કફોડી બની ગઈ હતી. મૂળભૂત કંપનીઓની સાથે સાથે સહાયક કંપનીઓને પણ વ્યાજ ચુકવણીમાં તકલીફ પડી રહી હતી. માત્ર આઈએલએન્ડએફએસ પર ૧૬૫૦૦ કરોડ રૂપિયાથી વધુનું દેવું છે જ્યારે સહાયક કંપનીઓને મળીને દેવાની રકમ ૯૧૦૦૦ કરોડ સુધી પહોચી ગઈ છે. આ દેવાનો મોટો હિસ્સો બેંકો અને ઇન્સ્યોરન્સ કંપનીઓ પાસેથી લેવામાં આવ્યો છે. સરકાર ખુબ ઓછી પ્રાઇવેટ કંપનીઓને પોતાના નિયંત્રણમાં લેવા માટે આગળ વધે છે. ગયા વર્ષે ૨૦૧૭માં સરકાર દેવામાં ડુબેલી રિયલ્ટી કંપની યુનિટેક લિમિટેડ પર પોતાના નિયંત્રણ સ્થાપિત કરવાના પ્રયાસમાં હતી તે વખતે સુપ્રીમ કોર્ટમાં સરકારને પડકાર ફેંકવામાં આવ્યો હતો. આખરે કોર્ટે સરકારને આ દિશામાં આગળ વધવાથી રોકી દીધી હતી. નવ વર્ષ પહેલા એટલે કે ૨૦૦૯માં સરકારે સત્યમ કોમ્પ્યુટર પર પોતાનો કબજો જમાવી લીધો હતો. તે વખતે કંપનીની અંદર એકાઉન્ટિંગ કૌભાંડ સપાટી ઉપર આવ્યા બાદ મૂડીરોકાણકારો આઈટી સેક્ટરમાં રોકાણ કરવામાં ખચકાટ અનુભવ કરી રહ્યા હતા. સરકારે મૂડીરોકાણકારોનો વિશ્વાસ પુનઃ સ્થાપિત કરવા માટે સત્યમ કોમ્પ્યુટરના મેનેજમેન્ટને પોતાના હાથમાં લેવાનો નિર્ણય કર્યો હતો. જો કે, ત્યારબાદ આને ટેક મહિન્દ્રાને વેચી દેવાનો નિર્ણય કર્યો હતો. આઈએલએન્ડએફએસમાં ૨૫ ટકાથી વધુ હિસ્સેદારી રાખનાર ઇન્સ્યોરન્સ કંપની એલઆઈસીએ ગયા સપ્તાહમાં જ કહ્યું હતું કે તે આ કંપનીને ડૂબવા દેશે નહીં. આઈએલએન્ડએફએસના અન્ય એક મોટા શેરધારકો પૈકી જાપાનની ઓરિક્સ કોર્પ પાસે ૨૩.૫૪ ટકા હિસ્સેદારી છે જ્યારે અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી પાસે ૧૨.૫૬ ટકાની હિસ્સેદારી છે. દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની પાસે પણ તેની ૬.૪૩ ટકાની હિસ્સેદારી રહેલી છે. એક નાટ્યાત્મક ઘટનાક્રમના ભાગરુપે સરકારે તેના ઉપર કબજો જમાવી લીધો છે. અધિકારીઓએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિઝિંગ એન્ડ ફાઈનાન્સિયલ સર્વિસ લિમિટેડના બોર્ડની હકાલપટ્ટી કરવા અને નવા છ સભ્યોના બોર્ડની રચવા કરવાને લીલીઝંડી આપી દીધી છે.

IL&FSમાં હિસ્સો...

         નવીદિલ્હી, તા. ૧ : વ્યાજની રકમ નહીં ચુકવવાની સ્થિતિમાં મુશ્કેલીમાં રહેલી સંકટગ્રસ્ત કંપની આઈએલએન્ડએફએસના મેનેજમેન્ટ પર હવે સરકારનો કબજો થઇ ગયો છે. આ કંપનીમાં અનેક મોટી કંપનીઓની હિસ્સેદારી રહેલી છે. એલઆઈસી સૌથી વધારે હિસ્સેદારી ધરાવે છે. કઈ કંપની કેટલી હિસ્સેદારી રહેલી છે તે નીચે મુજબ છે.

કંપની......................................... હિસ્સેદારી (ટકામાં)

એલઆઈસી..................................... ૨૫ ટકાથી વધુ

ઓરિક્સ કોર્પ.............................................. ૨૩.૫૪

અબૂધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી.................. ૧૨.૫૬

એસબીઆઈ.................................................. ૬.૪૨

નવા બોર્ડમાં સભ્યો.....

         નવીદિલ્હી, તા. ૧ : આઈએલએન્ડએફએસ માટે નવા બોર્ડની રચના કરી લેવામાં આવી છે. છ સભ્યોના નવા બોર્ડમાં કયા કયા સભ્યો છે તે નીચે મુજબ છે.

*    ઉદય કોટક (કોટક મહિન્દ્રા બેંકના એમડી)

*    વિનિત નય્યર (આઈએએસ ઓફિસર)

*    જીએન વાજપેયી (પૂર્વ સેબી વડા)

*    જીસી ચતુર્વેદી (આઈસીઆઈસીઆઈ બેંકના પૂર્વ ચેરમેન)

*    માલિની શંકર (આઈએએસ ઓફિસર)

*        નંદ કિશોર (ઓફિસર)

(12:00 am IST)