Gujarati News

Gujarati News

News of Sunday, 2nd August 2020

કોંગ્રેસના યૂથ અને ઓલ્ડ બ્રિગેડ વચ્ચે મતભેદ : મનમોહન સિંહના સમર્થનમાં અનેક પૂર્વમંત્રીઓએ ટીવીટ કર્યા

નવી દિલ્હી: રાજનીતિક રણનીતિ બનાવવા માટે પોતાના રાજ્યસભા સાંસદોની ગુરુવારે યોજાયેલી બેઠકના 2 દિવસ બાદ કોંગ્રેસમાં આંતરિક મતભેદ હવે સપાટી પર સામે આવી ગયો છે. પાર્ટીના અનેક વરિષ્ઠ નેતાઓ ટ્વીટર પર પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના સમર્થનમાં ટ્વીટ કર્યાં છે.

કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીની આગેવાનીમાં ગુરુવારે 34 રાજ્યસભાના સાંસદોની વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. આ બેઠક વર્તમાન રાજનીતિક મુદ્દાઓ પર ચર્ચા કરીને રણનીતિ તૈયાર કરવા માટે બોલાવવામાં આવી હતી.

જો કે આ બેઠક પોતાના મૂળ એજન્ડાથી ભટકી ગઈ. પાર્ટીના જ એક વરિષ્ઠ નેતા અને સાંસદે મુખ્ય મુદ્દાઓ પર પાર્ટીની અંદર સમન્વયના અભાવનો મુદ્દો ઉઠાવ્યો હતો. સાંસદે પાર્ટીને આત્મનિરીક્ષણ કરવાની જરૂરત હોવાનું જણાવ્યું હતું.

આ બેઠકમાં યુવા નેતાઓ તરફથી અનેક તર્ક-વિતર્ક કરવામાં આવ્યા અને આલોચના પણ કરવામાં આવી. આ યુવા નેતાઓએ પાર્ટીની લોકપ્રિયતાના ઘટાડા પાછળ UPA-2 સરકારને જવાબદાર ઠેરવી. પાર્ટીના સાંસદ રાજીવ સાટવે પૂર્વની સરકારોમાં મંત્રી પદ પર રહેલા નેતાઓએ હારના કારણો પર ગંભીરતાથી વિશ્લેષણ કરવું જોઈએ. આ બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી મનમોહન સિંહ પણ હાજર હતા.

આ વર્ચ્યૂઅલ બેઠકમાં મનમોહન સરકારમાં મંત્રી રહેલા અનેક પૂર્વ કેન્દ્રીય મંત્રીઓ અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના વિશ્વાસુ નેતાઓ વચ્ચે મતભેદ ઉજાગર થયા હતા. 2014માં ભાજપ સામે કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો.

આ મુદ્દે શનિવારે પણ પૂર્વ મંત્રી મનીષ તિવારીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, ભાજપ 10 વર્ષ સુધી સત્તાથી બહાર રહી. આમ છતાં એક વખત પણ તેમણે અટલ બિહારી વાજપેયી કે તેમની સરકારના કામકાજને જવાબદાર નથી ઠેરવ્યું.

કોંગ્રેસ નેતા શશિ થરૂર, આનંદ શર્મા અને મુંબઈ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મિલિંદ દેવડાએ પણ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનો બચાવ કરતા મનિષ તિવારીનું સમર્થન કર્યું હતું.

મિલિંદ દેવરાએ ટ્વીટ કરીને જણાવ્યું કે, 2014માં પદ પરથી હટતા સમયે મનમોહન સિંહ બોલ્યા હતા કે, ઈતિહાસ મારા પ્રત્યે દયાળું હશે.

શું તેમણે ક્યારેય એવું વિચાર્યુ હશે કે, તેમની ખુદની પાર્ટીના કેટલાક લોકો તેમની વર્ષોની સેવા પર સવાલ ઉઠાવશે અને તે પણ તેમની હાજરીમાં?

કોંગ્રેસના અન્ય નેતા શશિ થરૂરે પણ મનિષ તિવારી અને મિલિન્દ દેવરાના ટ્વીટનો જવાબ આપ્યો અને જણાવ્યું કે, હું મનિષ તિવારી અને મિલિન્દ દેવરા સાથે સહમત છું.

બીજી તરફ અન્ય પૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદ શર્માએ 10 વર્ષના કોંગ્રેસ શાસનની સિદ્ધીઓ સંદર્ભે એક પછી એક ટ્વીટ કર્યાં. જેમાં જણાવ્યું કે, તે કેવી રીતે ભાજપ, રાજનીતિક વિરોધીઓ અને રાજનીતિક ષડયંત્રનો શિકાર થઈ ગયા.

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ પણ આ બેઠકમાં હાજર હતા. જો કે તેમણે મૌન સાધ્યું છે, પરંતુ કોંગ્રેસ સાંસદે બેઠક દરમિયાન કોઈ પણ મતભેદની ખબરોને ફગાવી છે.

(3:29 pm IST)