Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

શું યુરોપમાં શરૂ થયો કોરોનાનો બીજો રાઉન્ડ ? કેસો અચાનક વધ્યા

જ્યાં સુધી કોરોનાની વેકિસન આવે નહીં ત્યાં સુધી જનતાએ 'આ વાયરસની સાથે જીવતા' શીખવું પડશે : વાયરસ નાબૂદ થાય તેવી શકયતાઓ નથી

લંડન તા. ૧ : યુકેના વડાપ્રધાન બોરિસ જોહનસન અને હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે એ પ્રકારે ચેતવણી આપી છે કે ખંડ પર કોરોનાના બીજા રાઉન્ડની શકયતાઓ રહેલી છે. જયારે નિષ્ણાતોએ એવું જણાવ્યું છે કે લોકડાઉનના નિયમો હળવા થવાના કારણે યુરોપમાં ફરી એકવખત કોરોનાના કેસ વધી શકે છે. તેમણે એ પ્રકારે દાવો કર્યો છે કે જયાં સુધી વેકિસન આવે નહીં ત્યાં સુધી લોકોએ કોરોનાની સાથે જીવતા શીખવું પડશે કારણકે કોરોના વાયરસ નાબૂદ થઈ શકે તેમ નથી.

યુકેના મંત્રીઓએ ટ્રાવેલિંગ માટેના સ્થળોના પ્રતિબંધને લઈને એક યોજના અંગે મુલાકાત કરી હતી. જેમાં હોલિડે માટેના યુરોપિયન દેશોના કેટલાંક સ્થળો અંગેની ચર્ચા થઈ હતી કે જયાંથી કોરોનાનું સંક્રમણ વધુ ફેલાય તેવી શકયતાઓ રહેલી છે. એક વાત તો ચોક્કસ છે કે યુરોપમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થયો છે. લગભગ ૩૬ દેશોમાં ચેપમાં વધારો થયો હોવાનું વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે. આ કારણે કોરોનાના બીજા રાઉન્ડની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. જયારે યુરોપમાં સ્પેન, ફ્રાંસ, બેલ્જિયન અને જર્મનીના પ્રખ્યાત હોલિડે સ્થળો પર કેસ વધ્યા હોવાનું સામે આવ્યું છે. પણ, કોરોનાના કારણે થતા મૃત્યુદરમાં વધારો થયો નથી.

ચેપી રોગના નિષ્ણાત એવા ત્યાંની યુનિવર્સિટીના એક પ્રોફેસરે કોરોના વાયરસના બીજા રાઉન્ડ વિશે વાત કરતા જણાવ્યું કે સમગ્ર યુરોપમાં કેસોમાં વધારો થશે. યુરોપના તમામ દેશના લોકોએ કોરોનાની સાથે જીવતા શીખવું પડશે અને માસ્ક પહેરવું પડશે તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે. જયાં સુધી વેકિસન (રસી) નહીં આવે અને પ્રતિબંધ સંબંધિત નિયમોનો અમલ નહીં થાય ત્યાં સુધી આ વાયરસ ફેલાતો રહેશે. મને નથી લાગતુ કે આપણે કયારેય આ કોરોના વાયરસને નાબૂદ કરી શકીશું.

ત્યાંના અન્ય એક ડોકટરે આ વિશે વાત કરતા જણાવ્યું કે યુરોપિયન દેશોમાં માર્ચ અને એપ્રિલ મહિનામાં કોરોનાના જે કેસ હતા તેની સરખામણીમાં હાલ કેસ ઓછા છે. પણ જે પ્રકારે આ કેસનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તે જોખમી છે. જો આ પ્રકારે જ કેસનું ડેવલપમેન્ટ રહ્યું તો ફરી કેસો વધતા વાર લાગશે નહીં. જયારે કેટલાંક નિષ્ણાંતોએ એવું પણ જણાવ્યું છે કે કોરોનાથી થતા મોતના આંકડામાં વધારો નથી થયો જે કોરોનાના બીજા રાઉન્ડ વિરુદ્ઘનો પુરાવો છે. કોરોનાનો બીજો રાઉન્ડ સૂચિત કરે છે કે વાયરસ નાબૂદ થયો હતો અને ફરી પરત આવ્યો છે. જયારે રોગચાળાશાસ્ત્ર સંબંધિત કેટલાંક નિષ્ણાતોએ એવું પણ કહ્યું છે કે આ મુદ્દે રાજકારણીઓની ચર્ચાથી કોરોનાના બીજો રાઉન્ડ હવે 'ડરામણો શબ્દ' બની ગયો છે.

(12:58 pm IST)