Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

દિલ્હીથી બહુ ચંચૂપાત ન થાય તો કોંગ્રેસ ફરી બેઠી થઇ શકે છેઃ માધવસિંહ સોલંકી

હાર્દિકની ઘણી કેપેસીટી છેઃ કોંગી આગેવાનોએ ડહાપણપૂર્વક તેને આ જવાબદારી સોંપી છે

નવી દિલ્હી તા. ૧ : ગુજરાત અને દેશની રાજનીતિમાં એક સમયે ભૂકંપ લાવી દેનારા પૂર્વ મુખ્યમંત્રી પૂર્વ વિદેશી પ્રધાન અને કોંગ્રેસના પીઢ નેતા માધવસિંહ સોલંકીએ ર૪ કલાકના ઓડિટર દિક્ષીત સોની સાથેની વાતચીતમાં કોંગ્રેસ કેમ રપ વર્ષથી ગુજરાતમાં વિપક્ષની પાટલીએ બેઠી છે? તેનો જવાબ પણ દિલ ખોલીને આપ્યો હતો.

તેઓની મધ્યાહન ભોજન યોજના સમગ્ર દેશ માટે આર્શીવાદ સમાન સાબિત થઇ છે. અત્યારની રાજનીતિમાં તમને નીતિ જણાય છે. તે અંગે તેઓએ કહ્યું કે, રાજનીતિમાં શું છે અને શું નથી તે કહેવુ મુશ્કેલ છે. રાજનીતિ કરનારાઓમાં કેટલીકવાર નીતિનો અભાવ દેખાય છે. સત્યથી વેગળુ વર્તન કરવું. બોલવું, ચાલવું, વાત કહીને ફેરવી તોળવી આ બધું સામાન્ય નીતિમતાની બહારની વસ્તુ છે. એ ન હોવી જોઇએ પણ હકીકતમાં આવું બધું છે. પક્ષપલટો કરનારાઓ વિશે તેઓએ કહ્યું કે, કસમનસીબી એ છે કે, એવા કિસ્સા પણ સાંભળ્યા કે, ત્રણ વખત પક્ષપલટો કરનારા પણ આપણે ત્યાં છે. તેઓને ટેકો આપનારા લોકો પણ આપણે ત્યાં છે તે આપણી કમનસીબી છે.

રાજનીતિમાં તમે કેવી રીતે આવ્યા તે વિશે કહ્યંુ કે, મારે વિધાનસભામાં જવુ જ ન હતું. મારે વકીલાત કરવી છે. બાબુભાઇએ મારૃં નામ લીધું હતું બીજા દિવસે મારૃં નામ પેપરમાં આવ્યું  ત્યારે મને ખબર પડી કે ચૂંટણીમાં ઉમેદવાર તરીકે મારૃં નામ છે.

ગુજરાતમાં છેલ્લા રપ વર્ષથી કોંગ્રેસ સંઘર્ષ કરી રહ્યું છે. તેના માટે કયુ કારણ જવાબદાર છે તે વિશે તેઓએ જવાબ આપ્યો કે, પક્ષમાં મુખ્ય કારણ નેતાગીરીનું છે. જયાં નેતાગીરી નબળી પડે ત્યાં કોંગ્રેસના હાથમાંથી સત્તા જાય છે. કેટલીક ગરબડ એવી છે કે, કોંગ્રેસમાં નીચે વહીવટ કરવો હોય તો દિલ્હીથી ઘણી દખલ થાય છે. ગુજરાતમાં તંત્ર સારી રીતે ગોઠવાય અને દિલ્હીથી બહુ દોરીસંચાર ન થાય તો કોંગ્રેસ ફરી બેેઠી થઇ શકે છે.

હાર્દિક પટેલને પક્ષમાં સોંપાયેલી જવાબદારી વિશે તેઓએ કહ્યું કે, કોંગ્રેસ આગેવાનોએ ડહાપણ પૂર્વક હાર્દિકને આ જવાબદારી સોંપી છે. હાર્દિકની ઘણી કેપેસિટી છે. પણ અગાઉ તે વેડફાઇ જતી હતી એને યોગ્ય ચેનલ મળે અને તે સ્ટ્રોંગ હોય તો હાર્દિકનું કામ સફળ થઇ શકે છે. તેથી હાર્દિકને આ જવાબદારી સોંપાઇ છે. તો જૂના કોંગ્રેસી નેતાઓ પણ કોંગ્રેસને છોડીને જઇ રહ્યાં છે. તે શું કારણ છે તે વિશે તેઓએ કહ્યું કે, તેને કોઇ સિદ્ધાંતવાદ નથી. હમ્બક મહેચ્છાઓ જ કારણભૂત છે.

હાલમાં જ કોરોનામુકત થયેલ ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રિય પ્રધાન ભરતસિંહ સોલંકી, માધવસિંહભાઇના પુત્ર થાય છે.

(11:11 am IST)