Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

હવે તુર્કીનો ભારત વિરોધી મોરચો, વિરોધીઓને સપોર્ટ

ભારત વિરોધી ચળવળકારોને ફંડિંગ પૂરું પાડી રહ્યું છે : તુર્કીની સરકાર કાશ્મીરના ભાગલાવાદી નેતા સૈયદ અલી શાહ ગીલાની જેવાને તો કેટલાય વર્ષોથી ફંડિંગ આપે છે

અંકારા, તા. ૩૧ : ભારત સામે ખુલ્લે્આમ પાકિસ્તાનનો સાથ આપી રહેલા તુર્કીએ ભારત વિરોધી ગતિવિધિઓ કરનારાઓ માટે લાલ જાજમ પાથરી છે. એક રિપોર્ટ પ્રમાણે તુર્કી એ તમામ સંગઠનોને ફંડ આપી રહ્યુ છે જે ભારત વિરોધી પ્રવૃત્તિઓ સાથે અને મુસ્લિમોના બ્રેન વોશ સાથે સંકળાયેલા છે. એક અંગ્રેજી અખબારના આ અહેવાલ પ્રમાણે કેરાલા અને કાશ્મીર સહિતના તમામ કટ્ટરવાદી સંગઠનોને તુર્કી દ્વારા નાણાકીય સહાય આપવામાં આવી રહી છે. એક સરકારી અધિકારીને ટાંકીને અહેવાલમાં કહેવાયું છે કે, તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોઆનનુ સ્વપ્ન પોતાને મુસ્લિમ દેશોના નેતા તરીકે સ્થાપિત કરવાનુ છે અને તેના માટે તેઓ તુર્કીને પણ ધાર્મિક કટ્ટરતા તરફ લઈ જઈ રહ્યા છે.

તેમણે તાજેતરમાં જ તુર્કીના ઐતહાસિક ચર્ચને મસ્જિદમાં ફેરવી નાંખ્યુ છે. પોતાના એજન્ડા માટે એર્દોઆન ભારતીય મુસ્લિમો પર તુર્કીનો પ્રભાવ વધારવા માંગે છે. તુર્કીની સરકાર કાશ્મીરના ભાગલાવાદી નેતા સૈયદ અલી શાહ ગીલાની જેવાને તો કેટલાય વર્ષોથી ફંડિંગ આપે છે અને હવે તુર્કીએ પોતાના ફંડિંગનો વ્યાપ વધારવા માંડતા ભારતની સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી છે. ભારતના કેટલાક કટ્ટરવાદીઓને તુર્કી પોતાના ખર્ચે બોલાવી રહ્યુ છે.કેરાલામાં કટ્ટરવાદી વિચારધારાને પ્રોત્સાહન આપનારાઓને પણ પૈસા આપવામાં આવી રહ્યા છે. અધિકારીના કહેવા પ્રમાણે પાકિસ્તાન સાથે મળીને તુર્કીએ ઝાકીર નાઈકને પણ પૈસા પૂરા પાડ્યા છે.હાલમાં ઝાકીર મલેશિયામાં રહે છે.પાકિસ્તાન માટે તો તુર્કી નવુ દુબઈ બની રહ્યુ છે.

(12:00 am IST)