Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

નાગરિકોને વસ્તી વચ્ચે રહેતા કૂતરાઓને ખવડાવવાનો અધિકાર છે

શેરીના કૂતરાઓને ભોજનનો અધિકાર : તેઓ બેજુબાન છે આપણે નહી : દિલ્હી હાઇકોર્ટ

કુતરા પણ સમુદાયોની વચ્ચે રહેતો જીવ છે અને તેને એવા સ્થળોએ ખવડાવવું જોઇએ જયાં માનવ વસ્તી આવતી-જતી નથી  : કોઇપણ વ્યકિત બીજા વ્યકિતને ત્યાં સુધી કુતરાઓેને ખવડાવવાથી રોકી ન શકે જયાં સુધી આ સમસ્યા ન બને :       પશુઓને ગરિમા અને સન્માન સાથે જીવવાનો અધિકાર છે, તેમના પણ ભાવનાઓ હોય છે

નવી દિલ્હી તા. ૨ : શેરીઓમાં રખડતાં કુતરાઓને લઇને દિલ્હી હાઇકોર્ટે આજે મહત્વનો નિર્ણય આપ્યો છે. કોર્ટનું કહેવુ છે કે, રખડતાં કુતરાઓને ભોજનનો અધિકાર છે અને નાગરિકોને વસ્તી વચ્ચે રહેતા કુતરાઓને ખવડાવવાનો અધિકાર છે. હાઇકોર્ટે એમ પણ કહ્યું હતું કે, આ અધિકારનો ઉપયોગ કરતી વખતે આ બાબતે સાવધાની રાખવી જોઇએ કે અન્ય કોઇને નુકસાન કે અસુવિધા ના થાય.

દિલ્હી હોઇકોર્ટે રખડતાં કુતરાઓને ખવડાવવા સંબંધે દિશા નિર્દેશ જારી કરતાં કહ્યું કે, કુતરા પણ સમુદાયોની વચ્ચે રહેતો જીવ છે અને તેને પોતાના વિસ્તારમાં એવા સ્થળોએ ખવડાવવું જોઇએ જયાં માનવ વસ્તી જતી નથી. કોર્ટનું કહેવું હતું કે, શેરીમાં રખડતાં કુતરાઓ પ્રત્યે દયા રાખનાર કોઇપણ વ્યકિત પોતાના ઘરે આંગણે કે દરવાજે અથવા ઘરના રસ્તા કે અન્ય જગ્યાએ કુતરાને ખવડાવી શકે છે, જે અન્યના રહેઠાણોથી દૂર હોય, પરંતુ કોઇપણ વ્યકિત બીજા વ્યકિતને ત્યાં સુધી કુતરાઓેને ખવડાવવાથી રોકી ન શકે જયાં સુધી આ સમસ્યા ન બને.

દિલ્હી હાઇકોર્ટના ન્યાયમૂર્તિ જે આર મિઢાએ ૮૬ પાનાંનો નિર્ણય આપ્યો હતો. તેમણે પોતાના નિર્ણયમાં સારવાર પદ્ઘતિ, રેસ્કયુ મિશન, શિકાર, દાણચોરી, ડેડબોડીને શોધવા, ઓળખ કરવા, પોલીસને મદદ કરવામાં કુતરાઓની અલગ-અલગ પ્રજાતિઓની ભૂમિકાઓ દર્શાવી હતી. હાઇકોર્ટનું કહેવુ હતું કે, જાગરુકતા ફેલાવવાની જરૂર છે કે પશુઓને ગરિમા અને સન્માન સાથે જીવવાનો અધિકાર છે અને ભારતીય જીવ જંતુ કલ્યાણ બોર્ડને મીડિયા સાથે મળીને જાગરુકતા મિશન ચલાવવા કહ્યું હતું.

દિલ્હી હાઇકોર્ટે તેના નિર્ણયમાં જણાવ્યું કે, આપણે તમામ જીવો પ્રત્યે દયા રાખવી જોઇએ. જાનવર ભલે બેજુબાન હોય પરંતુ એક સમાજ તરીકે આપણે તેમના તરફથી બોલવું જોઇએ અને તેમને કોઇ દર્દ કે પીડા આપવી ના જોઇએ. જાનવરો પ્રત્યે ક્રૂરતાને લીધે તેમને માનસિક પીડા થતી હોય છે. તેઓ પણ આપણી જેમ શ્વાસ લે છે અને તેમનામાં પણ ભાવનાઓ હોય છે. જાનવરોને ખાવાનું, પાણી, આશરો, સામાન્ય વ્યવહાર, દવા વગેરે સારસંભાળની જરૂરત હોય છે.

(10:10 am IST)