Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

દેશમાં ૭૫ ટકા ટેલિકોમ ઉપકરણો ચીની કંપનીના

દેશમાં ચીન વિરોધમાં જોરદાર આક્રોશ : બીએસએનએલ-એમટીએનએલ નવા ટેન્ડરમાં મેકઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા નવી જોગવાઈ કરશે

 નવી દિલ્હી, તા. ૧ : વિશ્વસનીય સૂત્રોએ આપેલી સત્તાવાર માહિતી અનુસાર નવા ટેન્ડરમાં મેક ઈન ઈન્ડિયા અને ભારતીય ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે નવી જોગવાઈ કરાશે. ઉલ્લેખનીય છે કે બીએસએનએલ અને એમટીએનએલ પર સૌથી વધુ ચીની પ્રોડક્ટ ખરીદવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે આદેશ આપ્યો હતો કે સરકારી કંપની ચીની કંપનીઓ પાસેથી સામાન ખરીદવાથી દૂર રહે. લગભગ ૭૫ ટકા ટેલિકોમ ઉપકરણો ચીનની બે પ્રમુખ કંપનીઓ ઝેડટીઈ અને હુવેઈ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતા હતા. અમેરિકાએ પણ મંગળવારે હુવેઈ અને ઝેડટીઈને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવી છે. કેન્દ્ર સરકારના ટેલીકોમ મંત્રાલય તરફથી જાહેર કરાયેલાં આદેશમાં કહેવાયું હતું કે ૪જી ફેસિલિટીના અપગ્રેડેશનમાં કોઈ પણ ચાઈનીઝ કંપનીઓએ બનાવેલા ઉપકરણોનો ઉપયોગ કરવામાં પ્રોજેક્ટ્સમાં ચીની કંપનીઓની એન્ટ્રી બંધ કરશે.

              ગડકરીએ કહ્યું કે, ચાઈનીઝ કંપનીઓ સાથે ભાગીદારીમાં પણ ભારતમાં કામ થશે નહીં. બીજી તરફ, કેન્દ્ર સરકાર હસ્તકના જાહેર સાહસ બીએસએનએલ અને એમટીએનએલ પોતાના ૪જી ટેન્ડર રદ કરવાનો નિર્ણય કર્યો છે. હવે ફરી નવા ટેન્ડર મંગાવવામાં આવશે. કેન્દ્ર સરકારે બીએસએનએલ અને એમટીએનએલને ચીની કંપનીઓ પાસેથી જરુરી પાર્ટસ કે સામાન નહીં ખરીદવા આદેશ આપ્યો હતો, ત્યારબાદ બીએસએનએલ અને એમટીએનએલ એ પોતાના ટેન્ડર રદ કરી દીધાં છે. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ જણાવ્યું કે, કોઇ ચાઇનીઝ કંપની જોઇન્ટ વેન્ચર કરી હાઇવે પ્રોજેક્ટ્સમાં એન્ટ્રી કરવાનો પ્રયત્ન કરશે તો ત્યાં પણ તેને રોકી દેવામાં આવશે. તેમણે એમ પણ જણાવ્યું કે એમએસએમઈ સેક્ટરમાં ચાઇનીઝ રોકાણકારોને મહત્વ નહીં મળે. ગડકરીના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર આ મુદ્દે ટૂંક જ સમયમાં પોલિસી બહાર પાડશે, જેના આધારે ચાઇનીજ કંપનીઓની એન્ટ્રી બંધ થશે અને ભારતીય કંપનીઓ માટે નિયમો સરળ બનાવવામાં આવશે. નવા નિયમો થકી હાઇવે પ્રોજેક્ટ્સમાં ભારતીય કંપનીઓને વધારે તક આપવામાં આવશે. આ માટે હાઇવે સેક્રેટરી અને નેશનલ હાઈવે ઓથોરિટીની એક બેઠક પણ યોજાશે, જેમાં ટેન્ડર મુદ્દે ટેકનિકલ અને ફાઇનાન્સિયલ નોર્મ્સ સરળ કરવા બાબતે ચર્ચા કરવામાં આવશે.  ગલવાનમાં ચીની સેનાના ઘાતકી હુમલા બાદ  #BoycottChina અભિયાન હેઠળ સૌપ્રથમ ભારતીય રેલવેએ ચીની કંપનીઓના ૪૭૧ કરોડના કોન્ટ્રાક્ટ રદ કરી દીધા હતા. બાદમાં કેન્દ્ર સરકારે એકાએક ૫૯ ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો.

(12:00 am IST)