Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

મોદી ગમે તેટલા વખાણ કરે પણ કર્ણાટકની ચૂંટણીમાં ભાજપ સાથે કોઈ ગઢબંધન નહિ:દેવગૌડાની સફવાત

નવી દિલ્હી: કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી રહ્યો છે.કર્ણાટકમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરતા પીએમ મોદીએ એક જનસભામાં પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના વખાણ કર્યા હતાં મોદી દ્વારા જેડીએસ પ્રમુખના વખાણ થયા બાદ તરત જ ભાજપ અને જેડીએસમાં ગઠબંધનની ચર્ચાઓ થવા લાગી. જો કે દેવગૌડાએ સ્પષ્ટતા કરી કે જેડીએસ ચૂંટણીમાં કોઈની સાથે ગઠબંધન કરશે નહીં.

   જનતા દળ (સેક્યુલર) પ્રમુખ એચડી દેવગૌડાએ કહ્યું કે વડાપ્રધાન ભલે તેમના ગમે તેટલા વખાણ કરે, પરંતુ ભાજપ સાથે ગઠબંધનનો કોઈ સવાલ ઊભો થતો નથી. પૂર્વ વડાપ્રધાને કહ્યું કે પીએમ મોદીએ તેમનો ઉલ્લેખ કર્ણાટક સરકાર પર કટાક્ષ કરતા કર્યો હતો. દેવગૌડાએ જણાવ્યું કે સિદ્ધારમૈયા જે રીતે કર્ણાટકના લોકોનું અપમાન કરતા તે બતાવવા માટે નરેન્દ્ર મોદીએ તેમના નામનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે એ વાતનો એ અર્થ નથી કે જેડીએસ અને ભાજપ વચ્ચે કોઈ પ્રકારનું ગઠબંધન કે સમજૂતિ થઈ છે.

   દેવગૌડાએ કહ્યું કે બની શકે કે મારા વખાણ કરીને તેઓ (વડાપ્રધાન) સહાનુભૂતિ મેળવવા માંગતા હોય. એજ હોઈ શકે. તેનો અર્થ એ નથી કે (ભાજપ અને જેડીએસ વચ્ચે) કોઈ સહમતિ છે. દેવગૌડાએ કહ્યું તેઓ પોતાના એકલાના દમ પર રાજ્યમાં સરકાર બનાવશે અને તે પણ  કોઈના સમર્થન વગર. તેમણે કહ્યું કે જેડીએસએ બીએસપી સાથે ગઠબંધન કર્યુ છે અને તે પણ ફક્ત 20 બેઠકો માટે. તેમણે કહ્યું કે તેમના માટે રાજ્ય સર્વોપરી છે.

    અત્રે જણાવવાનું કે સિદ્ધારમૈયાએ દેવગૌડા પર વંશવાદની રાજનીતિનો આરોપ  લગાવ્યો હતો. જેના પર તેમણે કહ્યું હતું કે સિદ્ઘારમૈયા પોતાના પુત્રને ચૂંટણી લડાવી રહ્યાં છે, આથી તેમના આ આરોપ  પર કઈ પણ કહેવાની ગુંજાઈશ જ રહેતી નથી.

    અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને આડે હાથ લીધા અને કહ્યું કે જેડીએસ સુપ્રીમો એચડી દેવગૌડાને અપમાનિત કરવા એ તેમનો 'અહંકાર' દર્શાવે છે. કર્ણાટકમાં ચૂંટણી રેલીમાં પૂર્વ વડાપ્રધાનના વખાણ કરતા મોદીએ કહ્યું કે દેવગૌડા સૌથી વધુ સન્માનિત અને કદાવર નેતાઓમાંના એક છે. જેમના માટે તેમના મનમાં ખુબ સન્માન છે.

પીએમ મોદીએ કહ્યું કે "કોંગ્રેસ અધ્યક્ષે 15-20 દિવસ પહેલા રાજકીય રેલીમાં જે કહ્યું તે મેં સાંભળ્યું...જે રીતે તેમણે દેવગૌડાજી અંગે વાત કરી.. શું આ તમારા સંસ્કાર છે? આ તો અહંકાર છે." વડાપ્રધાને કહ્યું કે "તમારુ જીવન (કોંગ્રેસ અધ્યશ્ર) તો હજુ શરૂ થયું છે. દેવગૌડા દેશના કદાવર નેતાઓમાંથી એક છે. તમે તેમનું અપમાન કરી રહ્યાં છો. "

મોદીએ રાહુલ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે "તમને શું લાગે છે. જો તેમનો મિજાજ આ પ્રકારનો છે... અહંકાર સાતમા આસમાને પહોંચી ગયો છે.... આ તો જીવનની હજુ શરૂઆત જ છે... જો તમે અત્યારથી જ આમ કરો તો આવનારા દિવસોમાં કેટલા ખરાબ હશે તે તમને તમારી હરકતોથી ખબર પડી જશે". વડાપ્રધાને કહ્યું કે આવા અહંકારી નેતાઓ સાથે કોંગ્રેસ પાર્ટી લોકતંત્ર માટે એક 'મોટો ખતરો' છે.

   પીએમ મોદીએ કહ્યું કે રાજકારણમાં મતભેદ હોઈ શકે છે પરંતુ સાર્વજનિક જીવનમાં મર્યાદા હોય છે. પ્રત્યેક વ્યક્તિનો પોતાનો અહંકાર હોઈ શકે છે પરંતુ સામાજિક જીવનમાં કેટલાક મૂલ્ય હોય છે. તેમણે પૂર્વ વડાપ્રધાનના વખાણ કરતા તેમને માટીનો લાલ, ખેડૂત પુત્ર ગણાવ્યાં. પીએમ મોદી, જિડીએસની મજબુત પકડવાળા વિસ્તારોમાં થયેલી રાહુલની રેલીઓના ભાષણ તરફ સંકેત કરી રહ્યાં હતાં. રાહુલે પોતાના સંબોધનમાં દેવગૌડા પર હુમલો કરતા તેમની પાર્ટીને ભાજપની ' બી ટીમ' ગણાવી હતી.

   દેવગૌડાએ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની ટિપ્પણી કે જેમાં તેમણે કહ્યું હતું કે તેમની પાર્ટી ભાજપનું સમર્થન કરશે તેની ટિકા કરી. તેમણે દાવો કર્યો કે જ્યારે સિદ્ધારમૈયા જેડીએસમાં હતાં ત્યારે તેઓ 2004માં ભાજપના સમર્થનથી મુખ્યમંત્રી બનવા માંગતા હતાં. દેવગૌડાના અપમાનને લઈને રાહુલ ગાંધીની મોદી દ્વારા આલોચનાનું લગભગ સમર્થન કરતા તેમણે કહ્યું કે એક કન્નડિગા વડાપ્રધાન બન્યા હતાં અને મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ તે કન્નડિગાના ગૌરવને ખતમ કરવાનો પ્રયત્ન કર્યો. તેમણે કહ્યું કે કોંગ્રેસ આ રીતે કન્નડ ગૌરવને સન્માન આપે છે.

(1:04 am IST)