Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

નવા એમ્સ સહિત ઘણી યોજનાને કેબિનેટની લીલીઝંડી : જોબ વધશે

પ્રધાનમંત્રી આરોગ્ય સુરક્ષા યોજનાની અવધિને વધારી દેવાઈ : નવા એમ્સના નિર્માણ, સરકારી મેડિકલ કોલેજોને અપગ્રેડ કરાશે : કારોબારી વિવાદનો ઉકેલ લાવવા કાયદામાં સુધારો : હવે ૪ એરપોર્ટને અપગ્રેડ કરાશે

નવીદિલ્હી,તા. ૨ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં કેટલાક મોટા નિર્ણયો પર મંજુરીની મહોર આજે મારવામાં આવી હતી. મિટિંગમાં વડાપ્રધાન આરોગ્ય સુરક્ષા યોજનાની અવધિ ૧૨મી પંચવર્ષીય યોજનાથી વધારીને વર્ષ ૨૦૧૯-૨૦ સુધી કરી દીધી હતી. આ યોજના હેઠળ નવા એમ્સના નિર્માણ અને સરકારી મેડિકલ કોલેજોના અપગ્રેડેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. નવા એમ્સ સહિત કેટલીક યોજનાઓને કેબિનેટે મંજુરી આપી હતી. આ યોજના માટે ૧૪૮૩૨ કરોડ રૂપિયાની નાણાંકીય ફાળવણી કરવામાં આવનાર છે. મંત્રીમંડળે આ ઉપરાંત કેટલીક અન્ય યોજનાઓને પણ મંજુરી આપી હતી. નવા એમ્સની સ્થાપનાથી આરોગ્ય શિક્ષણમાં ધરખમ ફેરફાર લાવી શકાશે. સાથે સાથે આરોગ્ય સેવા સાથે જોડાયેલા પ્રોફેશનલોની કમીની તકલીફને દૂર કરી શકાશે. કેબિનેટે કેટલાક રાજ્યોમાં એમ્સ બનાવવાની દરખાસ્તને મંજુરી આપી હતી. નવા એમ્સના નિર્માણની સાથે સાથે આના સંચાલન અને જાળવણીનો ખર્ચ સંપૂર્ણપણે કેન્દ્ર સરકાર દ્વારા ઉઠાવવામાં આવે છે. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે હિસ્સેદારીના આધાર પર હોસ્પિટલોને આધુનિક બ્લોક અને ટ્રોમા સેન્ટરના નિર્માણ તથા સાધન સામગ્રીની ખરીદી તથા નવી સુવિધાઓના વિકાસની કામગીરી હાથ ધરવામાં આવે છે. સરકાર તરફથી જારી કરવામાં આવેલી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, નવા એમ્સના નિર્માણથી ૩૦૦૦થી વધુ લોકોને રોજગારી મળશે. કેન્દ્રીય મંત્રીમંડળે નવી દિલ્હીના નજફગઢમાં ૧૦૦ બેડની સામાન્ય હોસ્પિટલના નિર્માણને પણ મંજુરી આપી હતી. આના પર ૯૫ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. કેબિનેટ બેઠકમાં કારોબારી વિવાદના વહેલીતકે નિરાકરણ માટે કાયદામાં સુધારાને પણ મંજુરી આપવામાં આવી હતી. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં ભારતના રેંકિંગમાં વધારે સુધારો લાવવાના હેતુસર આ પગલું લેવામાં આવ્યું છે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ ઇન્ડેક્સ વર્લ્ડબેંક દ્વારા જારી કરવામાં આવે છે. મિટિંગમાં દેશના ચાર એરપોર્ટને અપગ્રેડ કરવા ઉપર પણ સહમતિ થઇ છે જેમાં લખનૌ, ચેન્નાઈ અને ગુવાહાટી વિમાની મથક સામેલ છે. લખનૌમાં ૮૮૦૦૦ સ્કવેર મીટરમાં વધુ એક ટર્મિનલ બનાવવામાં આવશે. સ્થાનિક અને ઇન્ટરનેશનલ ટ્રાફિકને હેન્ડલ કરવામાં સરળતા રહેશે. ગુવાહાટી એરપોર્ટ ઉપર પણ નવા ટર્મિનલને મંજુરી આપવામાં આવી છે. મંત્રીમંડળે કૃષિ ક્ષેત્રમાં હરીત ક્રાંતિ યોજનાને જારી રાખવાની મંજુરી આપી છે. ૧૧ યોજનાઓને હરીત ક્રાંતિ ઉન્નતિ યોજના હેઠળ લાવવામાં આવી છે. આ યોજના માટે ૩૩૨૭૩ કરોડ રૂપિયા નક્કી કરાયા છે. કેબિનેટ બેઠકમાં પેટ્રોલિયમ એન્ડ સેફ્ટી ઓર્ગેનાઇઝેશનના ટેકનિક કેડર હેઠળ ગ્રુપ-એ સેવાની રચના અને કેડર સમીક્ષાને પણ મંજુરી અપાઈ છે.

(8:46 pm IST)