Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

અમેરીકાના જ્યોર્જીયા સ્ટેટમાં સવાનાહ ખાતે

ભોજલરામબાપાની જન્મજયંતિ ઉજવાયી

         અમેરીકા તા. ૩૦ કરૃણાનિધાન ભગવાન શ્રી રામચંદ્રજીના ઉપાસક તથા સૌરાષ્ટ્રની ધરતીને પાવન કરનાર એવા પૂ.ભોજલરામબાપાની જન્મજયંતિનો ઉત્સવ અમેરીકા ખાતે પણ ધામધૂમથી ઉજવવામાં આવ્યો.

         અમેરીકાના જ્યોર્જીયા સ્ટેટમાં આવેલ સવાનાહ ખાતે SGVP અમદાવાદની શાખા SGVP ગુરુકુલ ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિરમાં પૂ.ભોજલરામ બાપાની જન્મજયંતિનો મહોત્સવ ધામધૂમથી ઉજવાયો.

         આજના પરમ પવિત્ર દિને સંસ્થાના અધ્યક્ષ પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી ચરિત્રની કથા અને ભજન સંકિર્તનનું ભવ્ય આાયોજન થયું હતું. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાવભક્તિથી ભજન સંકિર્તન કરીને આનંદની અનુભૂતિ કરી હતી.

         આજના પાવન પ્રસંગે પૂ.ભોજલરામબાપાના જીવનચરિત્રની કથા વર્ણવતા કચ્છના નારણપર ગામના શાસ્ત્રી અજયભાઇએ જણાવ્યું હતું કે 'વૈશાખ સુદ પૂર્ણિમા એટલે પૂ.ભોજલરામબાપાની જન્મજયંતિ. ભોજાભગતનો જન્મ જ અંધશ્રદ્ધાળુઓને અંધશ્રદ્ધામાંથી બહાર લાવવા માટે જ થયો હતો. ભોજાભગતએ મીનળવાવ પરની જે લોકોમાં અંધશ્રદ્ધા હતી એ પૂ. ભોજાભગતે દૂર કરી અને આજીવન પૂ.ભોજાભગત પોતાના શિષ્ય પૂ.જલારામબાપાની સાથે અન્નાર્થીઓની સેવા કરતા. આવા સૌરાષ્ટ્રની ભૂમિને પાવન કરનાર પૂ.ભોજલરામ બાપાના જીવનમાંથી સેવાનો ગુણ શીખવો જોઇએ. આવા ફતેપુરની ધરતીને પોતાના પુનિત પગલાથી પાવન કરનાર પૂ.ભોજલરામબાપાના ચરણોમાં કોટી પ્રણામ.'

         આ મહોત્સવના અંતે સૌ ભાવિક ભક્તજનોએ સાથે મળીને મહાઆરતીનો લાભ લીધો હતો.

(5:13 pm IST)