Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

કર્ણાટકમાં ભાજપને ૧૫૦થી વધુ બેઠકો મળશે : યેદીયુરપ્પા

કોંગ્રેસને ૫૦થી વધારે સીટો નહીં મળે : યેદીયુરપ્પા : જેડીએસ ૨૫ બેઠકો સુધી મર્યાદિત રહેશે : ભાજપ નેતા

મૈસુરુ,તા. ૧ : કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને શક્તિશાળી નેતા બીએસ યેદીયુરપ્પાએ આજે દાવો કર્યો હતો કે, કોંગ્રેસને રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ૫૦થી વધારે સીટો મળશે નહીં જ્યારે ભાજપ ૧૫૦થી વધુ સીટો જીતીને શાનદાર દેખાવ સાથે ચૂંટાઈ આવશે. તેમણે ઉમેર્યું હતું કે, જેડીએસ પણ ૨૫ સીટો સુધી મર્યાદિત રહેશે. યેદીયુરપ્પાએ મૈસુરુમાં એક જાહેરસભાને સંબોધતા આ મુજબનો દાવો કર્યો હતો. કેટલાક લોકો કહી રહ્યા છે કે, ભાજપ જેડીએસની સાથે મળીને  ગઠબંધન કરી લેશે અને સરકાર બનાવશે પરંતુ તેઓ કહેવા માંગે છે કે, અમે પોતાની તાકાત ઉપર કર્ણાટકમાં સરકાર બનાવવા જઇ રહ્યા છે. યેદીયુરપ્પાએ એમ પણ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહ અને અન્ય વરિષ્ઠ નેતાઓ છેલ્લા ઘણા સમયથી ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તેમના માર્ગદર્શનના લીધે જ પાર્ટીને સફળતા મળશે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભાઓ દરમિયાન દરેક જગ્યાએ મુખ્યમંત્રી પદના ઉમેદવાર યેદીયુરપ્પા ઉપસ્થિત રહ્યા હતા. નરેન્દ્ર મોદી કર્ણાટકમાં આજે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી ચુક્યા છે અને હવે ટૂંકા ગાળામાં ૧૭થી પણ વધારે જાહેરસભા કરનાર છે. આ રેલી માટે પાર્ટી તરફથી રણનીતિ તૈયાર કરવામાં આવી ચુકી છે. કર્ણાટક ચૂંટણીમાં ભાજપે ૧૫૦ સીટો જીતવા માટેની રણનીતિ બનાવી છે. દરેક ચૂંટણીમાં આક્રમકરીતે ભાજપના લોકો મેદાનમાં ઉતરી રહ્યા છે. ૧૨મી મેના દિવસે કર્ણાટકમાં મતદાન યોજાનાર છે. ત્યારબાદ મતગણતરી યોજાશે. ૧૫મી મેના દિવસે પરિણામ જાહેર થનાર છે. રાહુલ ગાંધી ઉપર આજે આક્રમક પ્રહાર કરતા મોદી નજરે પડ્યા હતા. કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ પક્ષો પોતપોતાની તૈયારીમાં છે. હજુ સુધીમાં સર્વેક્ષણ કોંગ્રેસની સ્થિતિને મજબૂત દર્શાવી રહ્યા છે ત્યારે આજે વડાપ્રધાન મોદીએ અંતિમ તબક્કામાં ચૂંટણી મેદાનમાં ઉતરીને હવે માહોલ બદલવાના પ્રયાસ કરે તેવી વકી છે.

(12:00 am IST)