Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

દેશના 5 રાજ્યોની ચૂંટણીમાં ખેડૂતોની રણનીતિ તૈયાર : ભાજપને વોટ નહિ આપવા અપીલ કરશે

હરિયાણામાં ત્રણ કેન્દ્રીય મંત્રીઓને ગામમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવશે.: અનેકવિધ કાર્યક્રમો જાહેર

નવી દિલ્હી : આવનારા દિવસોમાં 5 રાજ્યોમાં ચૂંટણી થવાની છે. બીજેપી આ રાજ્યોમાં મજબૂતીથી ચૂંટણી લડી રહી છે. કેરળ અને પોંડિચેરીમાં જ્યાં બીજેપી પગ જમાવવા ઇચ્છે છે,સામ અને પશ્ચિમ બંગાળ)માં ભગવા પાર્ટીએ વિરોધીઓની ઊંઘ ઉડાડી રાખી છે. આ દરમિયાન સંયુક્ત કિસાન મોરચાએ જાહેરાત કરી છે કે તે પાંચેય રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને વોટ ના આપવાની અપીલ કરશે.

સ્વરાજ ઇન્ડિયાના સંસ્થાપક યોગેન્દ્ર યાદવે કહ્યું કે, 10 ટ્રેડ સંગઠનોની સાથે અમારી મીટિંગ થઈ છે. સરકાર સાર્વજનિક ક્ષેત્રોનું જે ખાનગીકરણ કરી રહી છે તેના વિરોધમાં 15 માર્ચના આખા દેશના મજૂરો અને કર્મચારીઓ રસ્તાઓ પર ઉતરશે અને રેલવે સ્ટેશનોની બહાર ધરણા પ્રદર્શન કરશે.

તેમણે કહ્યું કે, સરકાર તરફથી આ આંદોલનને સમાપ્ત કરવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારમાં હરિયાણાના જે 3 કેન્દ્રીય મંત્રી છે એ 3 કેન્દ્રીય મંત્રીઓના તેમના ગામમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવશે.

યોગેન્દ્ર યાદવે કહ્યું કે, સંયુક્ત કિસાન મોરચાની આજની બેઠકમાં અમે 15 માર્ચ સુધીના કાર્યક્રમોને અંતિમ રૂપ આપ્યું છે. 6 માર્ચના જ્યારે વિરોધ પ્રદર્શનના 100 દિવસ પૂર્ણ થશે તો ખેડૂતો સવારે 11 વાગ્યાથી સાંજે 4 વાગ્યાની વચ્ચે કુંડલી-માનસર-પલવલ એક્સપ્રેસ વેને અલગ-અલગ સ્થાનો પર રોકશે. કિસાન મોરચાએ આગળ કહ્યું કે, 8 માર્ચના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર તમામ પ્રદર્શન સ્થળો પર મહિલા પ્રદર્શનકારીઓને સામે લાવવામાં આવશે.

માર્ચથી કર્ણાટકમાં 'એમએસપી અપાવો' આંદોલન શરૂ કરવામાં આવશે, જેમાં પીએમથી પાકો માટે એમએસપીની નક્કી કરવા કહેવામાં આવશે. ભારતીય કિસાન યૂનિયનના બલબીર એસ. રાજેવાલે આગળ કહ્યું કે, અમે પશ્ચિમ બંગાળ અને કેરળમાં ચૂંટણી માટે અલગ-અલગ ટીમોને મોકલીશું. અમે કોઈ પણ પાર્ટીનું સમર્થન નહીં કરીએ, પરંતુ લોકોને અપીલ કરીશું કે તેઓ એ ઉમેદવારોને વોટ આપે જે બીજેપીને હરાવી શકે છે. અમે લોકોને ખેડૂતો પ્રત્યે મોદી સરકારના વલણ વિશે જણાવીશું.

(11:36 pm IST)