Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

આ પાંચ કારણોને લીધે ૨૦૧૯ પહેલા સાથી પક્ષો છોડી શકે છે ભાજપનો સાથ

ગુજરાત ચૂંટણી બાદથી બગડી સ્થિતિ

નવી દિલ્હી તા. ૨ : વર્ષ ૨૦૧૪ના થોડા મહિના પહેલાં ભાજપ સમગ્ર દેશમાં અપરાજિત લાગતો હતો, પરંતુ ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના ગઢમાં તે ૯૯ બેઠકો પર સમેટાઈ ગયો, તે જોતાં એ કહી ન શકાય કે ભાજપ અપરાજિત રહેશે. ગુજરાત ચૂંટણીઓના થોડા સમય બાદથી ભાજપને તેના એનડીએના સાથી પક્ષો પરેશાન કરી રહ્યા છે. આ પાંચ કારણ એવાં છે, જેના કારણે ભાજપ અને તેના સાથી પક્ષો વચ્ચે તણાવ ઊભો થઈ શકે છે.

પહેલુ કારણ

પહેલું કારણ રાજસ્થાનની પેટા ચૂંટણીનાં પરિણામો છે, જેમાં ભાજપે રાજસ્થાનમાં અલવર અને અજમેર લોકસભા બેઠકો ઉપરાંત માંડલગઢ વિધાનસભા બેઠક ગુમાવી છે. આ રાજસ્થાનનાં મુખ્યમંત્રી વસુંધરા રાજે માટે આંચકા સમાન છે, કારણ કે ભાજપે ૨૦૧૪ લોકસભામાં અહીંની તમામ ૨૫ બેઠકો પર વિજય પ્રાપ્ત કર્યો હતો. રાજસ્થાન ઉપરાંત ભાજપ માટે સત્તાવિરોધી લહેર મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ માથાનો દુખાવો છે, જયાં તે ૨૦૦૩થી સત્તામાં છે.

બીજુ કારણ

શિવસેનાએ ગયા મહિને તેની કારોબારીમાં નિર્ણય લીધો હતો કે તે આગામી લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓમાં એકલા હાથે લડશે. ભાજપે તેનું પહેલું ચૂંટણી ગઠબંધન શિવસેના સાથે લગભગ ત્રણ દશક પહેલાં કર્યું હતું, પરંતુ નરેન્દ્ર મોદીના ઉદય બાદ તેમના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. મહારાષ્ટ્રમાં ૨૦૧૪ની વિધાનસભા ચૂંટણીઓ પહેલાં બંનેએ ટિકિટ વહેંચણીમાં મતભેદ બાદ એકલા ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો. થોડા મહિના બાદ શિવસેનાએ દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં ભાગીદારી તો કરી લીધી, પણ ત્યાં સુધી ગઠબંધન તેના અંતિમ પડાવ પર પહોંચી ચૂકયું હતું.

ત્રીજું કારણ

દક્ષિણ ભારતમાં પણ ભાજપ માટે મુશ્કેલીઓ વધી શકે છે. ગયા અઠવાડિયે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ભાજપ સાથે તેમની તેલુગુદેશમ પાર્ટીના સંબંધોમાં વધતી ખટાશ પર ઇશારો કર્યો હતો. નાયડુએ કહ્યું હતું કે, તેઓ હાલ માત્ર મિત્ર ધર્મ નિભાવી રહ્યા છે અને બંનેના ભવિષ્યમાં સાથે રહેવા પર ભાજપે વિચાર કરવો જોઈએ. નાયડુની નારાજગીનું સૌથી મોટું કારણ એ છે કે, તે ભાજપના સાથી હોવા છતાં કેન્દ્ર પાસે પોતાના રાજયને વિશેષ રાજયનો દરજ્જો અપાવી શકયા નથી. આ સાથે ભાજપના નેતાઓ અને જગનમોહન રેડ્ડીની વાયએસઆર કોંગ્રેસ વચ્ચે વધી રહેલી નિકટતા તેમને પસંદ આવી રહી નથી.

ચોથું કારણ

જો બિહારની વાત કરીએ તો ગયા અઠવાડિયાથી કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના અધ્યક્ષ ઉપેન્દ્ર કશુવાહાએ પટનામાં શિક્ષણ પ્રત્યે જાગરૂકતા વધારવા માટે માનવ શ્રૃંખલા બનાવવાનું આહ્વાન કર્યું હતું, પરંતુ આ શ્રૃંખલામાં એનડીએનો કોઈ બીજો પક્ષ સામેલ થયો નહોતો, પરંતુ લાલુ યાદવના રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના કેટલાક નેતાઓ આ આયોજન પર પહોંચી ગયા હતા. ગયા વર્ષે નીતીશ કુમારના એનડીએમાં પાછા ફર્યા બાદ કુશવાહા અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન જીતન રામ માંઝીના હિન્દુસ્તાની આવામ મોર્ચાના ભાજપ સાથે રહેવાના આસાર ઓછા નજરે પડી રહ્યા છે.

પાંચમું કારણ

વધુ એક કારણ છે કુલદીપ વિશ્નોઈની હરિયાણા જનહિત કોંગ્રેસ (હજકોં)નું ૨૦૧૬માં કોંગ્રેસ પાર્ટી સાથે વિલય થવું. ગત લોકસભા ચૂંટણીઓમાં તેણે ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું. ત્યારે હજકોં ભલે કોઈ બેઠક જીતી શકી ન હોય, પણ પાર્ટીને છ ટકાથી વધુ વોટ મળ્યા હતા. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે છેલ્લાં કેટલાંક વર્ષોમાં જે રીતે રાજયમાં કાયદા-વ્યવસ્થાને નબળા પાડી દીધા છે, ત્યારે વિશ્નોઈની વાપસીથી કોંગ્રેસને ઘણો ફાયદો મળી શકે છે. હવે ભાજપ રાજયોમાં તેનાં સંગઠનો મજબૂત કરવા માગશે અથવા તો પછી ૨૦૧૯ સુધી પોતાના સાથી પક્ષો સાથે ગઠબંધન ધર્મ નિભાવી શકે છે.(૨૧.૬)

 

(10:56 am IST)