Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

છેલ્લા ૫ વર્ષમાં ભારતની નાગરિકતા માગવામાં પાકિસ્તાનીઓ સૌથી મોખરે

છેલ્લા ૫ વર્ષમાં ૬ લાખ કરતાં પણ વધારે ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી દીધી

નવી દિલ્હી, તા.૧: કેન્દ્રીય ગૃહ રાજય મંત્રી નિત્યાનંદ રાયે CAA અને NRCને લઈ વિસ્તારપૂર્વકની જાણકારી આપી હતી. આ દરમિયાન તેમણે સદનમાં અમુક એવા આંકડાઓ રજૂ કર્યા જેના કારણે સૌ કોઈ ચોંકી ઉઠ્યુ હતું. નિત્યાનંદ રાયે જણાવ્યું કે, છેલ્લા ૫ વર્ષમાં ૮૭ દેશના કુલ ૧૦,૬૪૬ લોકોએ ભારતની નાગરિકતા માગી છે.

આંકડાઓ પ્રમાણે ભારતની નાગરિકતાની સૌથી વધારે માગણી પાકિસ્તાનીઓ દ્વારા કરવામાં આવેલી છે. છેલ્લા ૫ વર્ષથી પાકિસ્તાની અલ્પસંખ્યકોએ ભારતના શરણમાં આવવાનું ચાલુ કરી દીધું છે. કુલ ૭,૭૮૨ પાકિસ્તાનીઓએ ભારતની નાગરિકતા માટે અપીલ કરી છે.

તે સિવાય આ યાદીમાં બીજા નંબરે ભારતના પાડોશી બાંગ્લાદેશનું નામ છે. બાંગ્લાદેશના ૧૮૪ લોકોએ હિંદુસ્તાનની નાગરિકતા માટે અપ્લાય કરેલું છે. ત્રીજા નંબરે સંકટમાં ઘેરાયેલા અફઘાનિસ્તાનનું નામ છે જયાંના ૭૯૫ લોકો ભારતના નાગરિક બનવા માટે તૈયાર જણાઈ રહ્યા છે.

જો છેલ્લા ૧૦ વર્ષની વાત કરીએ તો આ યાદીમાં બાંગ્લાદેશ, પાકિસ્તાનને પછાડીને નંબર-૧ બની જાય છે. આંકડાઓ પ્રમાણે છેલ્લા ૧૦ વર્ષમાં ૧૫,૧૭૬ બાંગ્લાદેશીઓએ ભારતની નાગરિકતા માગી છે. જયારે ૪,૦૮૫ પાકિસ્તાનીઓ એવા પણ છે જેમને ભારતના શરણમાં આવવાનું યોગ્ય લાગ્યું.

એક તરફ અનેક લોકો દ્વારા ભારતીય નાગરિકતાની માગણી કરવામાં આવી છે તો એક વર્ગ એવો પણ છે જેણે પોતાની ભારતીય નાગરિકતાનો ત્યાગ કરીને અન્ય દેશોની નાગરિકતા અપનાવી છે. છેલ્લા ૫ વર્ષમાં ૬ લાખ કરતા પણ વધારે ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી દીધી છે. 

લેખિત ઉત્ત્।રમાં કહેવામાં આવ્યું હતું કે, ૨૦૧૭ના વર્ષમાં ૧,૩૩,૦૪૯ ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી દીધી હતી. જયારે ૨૦૧૮ના વર્ષમાં ૧,૩૪,૫૬૧ લોકોએ ભારતીય સદસ્યતા છોડી. ૨૦૧૯માં ૧,૪૪,૦૧૭ ભારતીયોએ પોતાની સદસ્યતા છોડી. ૨૦૨૦માં ૮૫,૨૪૮ લોકોએ અને ૨૦૨૧ના વર્ષમાં ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધીમાં ૧,૧૧,૨૮૭ ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી છે.

(11:24 am IST)