Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

ગાઈડ લાઈનમાં મુખ્ય ફોક્સ ભીડને એકઠી થતી રોકવા પર

કેન્દ્ર સરકારની કોરોના સંદર્ભે નવી ગાઈડલાઈન : ૬૫ વર્ષથી વધારે ઉંમરની વ્યક્તિઓ અને ૧૦ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ઘરમાં રહેવાની સલાહ અપાઈ

નવી દિલ્હી, તા. ૧ : દેશમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે સતત વધી રહ્યું છે. ત્યારે સરકારે આ મહિને પણ નવી ગાઇડલાઇન બહાર પાડી છે. કેન્દ્ર સરકાર કોરોનાને અટકાવવા માટે સતત પ્રયત્નો કરી રહ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ૧ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધીની નવી ગાઈડલાઈન બહાર પાડી દીધી છે. નવી ગાઈડલાઈન આજથી લાગૂ થઈ ગઈ છે. ગૃહ મંત્રાલયના દિશા નિર્દેશના જણાવ્યાનુસાર રાજ્યોને કડકાઈથી કોરોનાનું સંક્રમણ રોકવાના ઉપાયોને લાગુ કરવા, ભીડને કાબૂમાં કરવા માટે કહ્યું છે. આ વખતે સરકારનું મુખ્ય ફોકસ ભીડને નિયંત્રિત કરવાનું છે.

ગૃહમંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કડકાઈથી કોરોનાને અટકાવવાના ઉપાયો, વિભિન્ન ગતિવિધિઓ પર એસઓપી અને ભીડને નિયંત્રિત કરવા માટે જરૂરી ઉપાયો કરવાના નિર્દેશો આપ્યા છે. કન્ટેઈનમેન્ટ ઝોનમાં કડકાઈ ચાલુ રહેશે. અહીં ૬૫ વર્ષથી વધારે ઉંમરના વ્યક્તિઓ અને ૧૦ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ઘરમાં રહેવાની સલાહ અપાઈ. સરકારના નાઈટ કર્ફ્યુ લગાવવાના નિર્ણયને લઈને રાજ્ય સરકારોને પૂરી છુટ અપાઈ છે. હવે રાજ્ય સરકારો ઉપર છે કે તે કોરોનાના હિસાબે કર્ફ્યુ લગાવે છે કે નહીં. નાઈટ કર્ફ્યૂનો સમય પણ હવે રાજ્ય સરકારો જ નક્કી કરશે. કન્ટેઈનમેન્ટ ઝોનમાં ફક્ત જરૂરી ગતિવિધિઓને પરવાનગી આપવામાં આવી છે. સ્થાનિક જિલ્લા, પોલીસ અને નગરપાલિકા અધિકારીઓ એ સુનિશ્ચિત કરવા માટે જવાબદાર રહેશે કે નિર્ધારિત કેન્ટોનમેન્ટ ઉપાયોનું કડકાઈથી પાલન કરવામાં આવે અને રાજ્ય – કેન્દ્રશાસિત પ્રદેશ સરકાર સંબંધિત અધિકારીઓની જવાબદારી નક્કી કરશે. કન્ટેઈનમેન્ટ ઝોનની બહાર કોઈ પણ પ્રકારનું સ્થાનિક લોકડાઉન લાગૂ કરતા પહેલા રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો કેન્દ્રની મંજૂરી લેવાની રહેશે. ગૃહ મંત્રાલયની નવી ગાઈડલાઈનમાં સિનેમા ઘરો, થિયેટર્સ, સ્વિમિંગ પુલ્સ વગેરેને લઈ પ્રતિબંધ ચાલુ છે. સિનેમા હોલ હજું પણ ૫૦ ટકા દર્શકની ક્ષમતાની સાથે ચાલશે.

સરકારે લગ્નમાં આવનારા મહેમાનોની સંખ્યા ૨૦૦ રાખી છે. પરંતુ દિશાનિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકારો પોતાને ત્યાં કોરોનાના મામલાને જોતા આ સંખ્યાને ૧૦૦ અથવા તેનાથી નીચે પણ કરી શકે છે. દિલ્હી સરકારે લગ્ન સમારોહમાં આવનારા મહેમાનની સંખ્યા ૫૦ કરી દીધી છે. યૂપી સરકારે આ સંખ્યા ૧૦૦ની રાખી છે.

(9:25 pm IST)