Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

ખેડૂતો અને સરકાર વચ્ચેની બેઠક અનિર્ણિત : હવે ૩ ડિસેમ્બરે બેઠક

નવા કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂત આંદોલન નહીં સમેટાય : નવા કાયદા પર વિચારણા માટે કમિટિ બનાવવાની ઓફર નકારવા ઉપરાંત કેન્દ્રીય પ્રધાને બ્રેક ટાઈમ ઉપર ચા માટે કરેલી ઓફર પણ ઠુકરાવી દીધી

નવી દિલ્હી : ખેડૂતો સતત નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે. આ મડાગાંઠને સમાપ્ત કરવા માટે મંગળવારે વિજ્ઞાન ભવન ખાતે સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે બેઠક મળી હતી. બેઠકમાં સરકારે હાલના કાયદાની સમૂક્ષા માટે ખેડૂત નેતાઓની એક સમિતિ બનાવવાની દરખાસ્ત મૂકી હતી જો કે, આ મુદ્દે ખેડૂતો સહમત થયા ન હતા અને મડાગાંઠ ઉકેલી શકાઈ નહતી. જોકે, ખેડૂતો અને સરકાર વચ્ચે ત્રીજી ડિસેમ્બરે ફરી બેઠક યોજાશે એવી માહિતી મળી છે. નવા કૃષિ કાયદા વિરૂદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂત નેતાઓની કેન્દ્ર સરકાર સાથેની પહેલા તબક્કાની વાતચીત પૂર્ણ થઈ ગઈ છે. ખેડૂતોએ આ કાયદા પર ચર્ચા માટે સમિતિ બનાવવાની કેન્દ્રની રજૂઆતને ફગાવી દીધી છે. સરકારે ખેડૂતો સાથે મંગળવાર બપોરે ૩ વાગ્યે વાતચીત શરૂ કરી હતી. લગભગ બે કલાક ચાલી રહેલી બેઠકમાં કેન્દ્રએ જ ખેડૂતોની સામે નવી કમિટી બનાવવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. જેમાં સરકાર અને ખેડૂત પ્રતિનિધિઓ ઉપરાંત એક્સપર્ટસને રાખવાની વાત કરી હતી. કેન્દ્રએ ખેડૂતોને મિનિમમ સપોર્ટ પ્રાઈઝ પર પ્રેઝન્ટેશન પણ આપ્યું હતું.

દરમિયાનમાંએમએસપી પર રજૂઆત બાદ મંત્રીઓએ મીટિંગમાં ટી બ્રેક લીધી હતી. મંત્રીઓએ ખેડૂતોને ચાની ઓફર પણ કરી હતી. ત્યારે જ, એક ખેડૂત ઊભો થયો અને કહ્યું કે તેણે (પ્રધાન) તેમની સાથેની સિંઘુ સરહદ પર જલેબી અને લંગરનો સ્વાદ લેવા સામી ઓફર કરી હતી. એટલું જ નહીં, મંત્રીઓએ આપેલી ચાના પ્રસ્તાવને ખેડૂતોએ ઠુકરાવી દીધા હતા. આ બેઠક બાદ ખેડૂત નેતાઓ બહાર આવ્યા હતા.

સરકારે ખેડૂત નેતાઓની એક સમિતિ બનાવવાની દરખાસ્ત કરી છે, જે હાલના કાયદાની સમીક્ષા કરશે. જોકે, આ ઓફર ખેડૂતોએ સ્વિકારી નહતી. નવા કૃષિ કાયદાની ચર્ચા કરવા માટે સરકારે પ્રસ્તાવ મૂક્યો છે કે ખેડૂત નેતાઓ તેમની સંસ્થાઓમાંથી ૪-૫ લોકોનાં નામ આપે અને સરકારના પ્રતિનિધિઓ અને કૃષિ નિષ્ણાતોની બનેલી એક સમિતિની રચના કરે અને તેઓ એક સાથે મળીને આ કાયદા પર મંથન કરશે.

આ બેઠકમાં કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર અને પિયુષ ગોયલે પણ ભાગ લીધો હતો. આ બેઠકમાં ભાગ લેવા વિજ્ઞાન ભવન ખાતે ૩૫ જેટલા ખેડૂતોના પ્રતિનિધિઓ પહોંચ્યા હતા. દરમિયાનમાં શાહીન બાગના કાર્યકર બિલ્કિસ દાદી પણ આ પ્રદર્શનમાં હાજર રહેવાના હતા પરંતુ દિલ્હી પોલીસે દાદીને સિંઘુ બોર્ડર પર નિદર્શન સ્થળે જતાં અટકાવ્યા. પ્રદર્શનમાં ભાગ લેવા પોલીસે સિંઘુ બોર્ડર (દિલ્હી-હરિયાણા બોર્ડર) પહોંચેલા બિલ્કિસ દાદીની અટકાયત કરી હતી. અગાઉ એવું અહેવાલ મળ્યું હતું કે એમસીડી ટોલ પ્લાઝા પર પોલીસે તેને અટકાવ્યો હતો અને કાર દ્વારા પરત મોકલી દીધો હતો.

કેન્દ્રનાં ત્રણ કૃષિ બિલોની વિરુદ્ધ પંજાબમાં તો દેખાવો પહેલેથી ચાલી રહ્યાં હતાં, જોકે ૬ દિવસ પહેલાં જ પંજાબ-હરિયાણાના ખેડૂતોએ દિલ્હી કૂચ કરી હતી. પોલીસે તેમને બોર્ડર પર જ રોકી દીધા. સરકારે ખેડૂતોને કહ્યું હતું કે તેઓ દેખાવો બંધ કરીને બુરાડી આવી જાત તો વાતચીત પહેલાં જ થઈ ગઈ હોત. કિસાનોએ સરકારની શરત ન માની, પરંતુ રવિવારે કહ્યું કે હવે દિલ્હીના ૫ એન્ટ્રી પોઈન્ટ્સને સીલ કરાશે. કિસાનોએ કહ્યું હતું કે તેઓ ૪ મહિના સુધી ચાલે તેટલાં રાશન-પાણી સાથે લઈને આવ્યાં છે. એ પછી સરકારમાં બેઠકો શરૂ થઈ.

           રવિવારે રાતે ભાજપ-અધ્યક્ષ જેપી નડ્ડાના ઘરે ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે બેઠક કરી હતી. સોમવારે ફરી બેઠક થઈ. ગૃહમંત્રીના ઘરે થયેલી બેઠકમાં કૃષિમંત્રી અને ભાજપના ઘણા નેતાઓ હાજર રહ્યા હતા. કિસાનો સાથે ૩ ડિસેમ્બરે વાતચીત કરવા જીદ પર ચડેલી સરકારે સોમવારે જીદ છોડી દીધી અને ૧ ડિસેમ્બર એટલે કે આજે બપોરે ૩ વાગ્યે ૩૨ કિસાન સંગઠનોના નેતાઓને વાતચીત કરવા માટે વિજ્ઞાન ભવન બોલાવ્યા હતા. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું જે ખેડૂત નેતાઓ ૧૩ નવેમ્બરની મીટિંગમાં સામેલ હતા, તેમને ચર્ચામાં સામેલ થવા માટેની જાણ કરવામાં આવી છે. સોમવારની બેઠક દરમિયાન એવા સંકેત મળી રહ્યા હતા કે સરકાર કિસાનોને કોઈપણ પ્રકારની શરત વગર વાતચીત માટેનું આમંત્રણ મોકલશે. એવું જ બન્યું, મોડી રાતે સરકારે પ્રસ્તાવ મોકલી દીધો. જોકે કૃષિમંત્રીએ વધી રહેલું કોરોના સંક્રમણ અને વધુ ઠંડી વધવાનું કારણ જણાવી ઝડપી ચર્ચા કરવા માટે તૈયાર થયા હોવાનું જણાવ્યું હતું.

(9:53 pm IST)